ખાસ-ખબર સંવાદદાતા
એક તરફ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. બીજી તરફ રામાયણને વિશ્વ ફલક સુધી પહોંચાડવા માટે 45 કિલો વજન સાથેનો વિશાળ રામાયણ મહાગ્રંથ વેદિક કોસ્મોસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં નચિકેતા સ્ટેશનરી મોલમાં આ રામાયણ ઉપલબ્ધ છે. જેને સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરવામાં આવ્યો છે. આવનારી પેઢીને માહિતગાર કરવા 100 વર્ષ સુધી સાચવી શકાય તેવી રામાયણ ખાસ તૈયાર કરવામાં આવી છે તેમજ 360 ડીગ્રી ફરી શકે એવું વાંચન સ્ટેન્ડ તૈયાર કરાયું છે. તેમજ 2050 ઇટાલિયન પેજ પર વનસ્પતિ ઇન્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રામાયણ મહાગ્રંથની 1.65 લાખ આંકવામાં આવી છે.
આ મહાગ્રંથની વિશેષતા એ છે કે, ચિત્રકારો દ્વારા રામાયણના અલગ અલગ પ્રસંગો અનુરૂપ કેનવાસ પર ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. જેને જોઈ નિહાળી ઘણું બધું સમજી શકાય છે. તો સાથે જ વનસ્પતિ ઇન્કનો ઉપયોગ કર્યો હોવાથી આ ગ્રંથ લગભગ 100 વર્ષ કરતા વધુ સમય સુધી સાચવી શકાય તેમ છે. જેની કિંમત હાલ 1.65 લાખ આંકવામાં આવી છે. જે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત રાજકોટના એસ્ટ્રોન ચોક સ્થિત નચિકેતા સ્ટેશનરી મોલ ખાતે ઉપલબ્ધ છે.
- Advertisement -
વેદિક કોસ્મોસના ડાયરેક્ટર હેમંતભાઈ શેઠ દ્વારા સંસ્કૃત ભાષામાં 24000 શ્લોકને વિદેશી સ્કોલર્સ સહિત 15 વૈદિક નિષ્ણાંતો દ્વારા સંપાદિત કરાયા છે. તેમજ વાલ્મીકિ રામાયણને સંસ્કૃત ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષામાં એન્ટિક સ્વરૂપે રજૂ કરી આજની યુવા પેઢી અને પશ્ચિમી સભ્યતાને સનાતની ધર્મ સાથે સંયોજવાનો પ્રયાસ કર્યો છે.
પ્રાણીજન્ય ગુંદરને બદલે વનસ્પતિજન્ય ગુંદરનો ઉપયોગ
રાજકોટની નચિકેતા સ્ટેશનરી મોલના માલિક ધનજીભાઈ કાવરે જણાવ્યું હતું કે, આમ તો કોઈ પુસ્તક છાપીને તેને પ્રસિદ્ધ કરવું એ બે પાંચ મહિનાનું કાર્ય ગણાય, પણ પ્રકાશનગૃહ વેદિક કોસ્મોસે શિવકાશીમાં પ્રિન્ટ કરાવેલી વાલ્મીકિ રામાયણને હિન્દી તથા અંગ્રેજી ભાષામાં તૈયાર કરવામાં પૂરા 5 વર્ષનો સમય લાગ્યો છે. આશરે 2050 ઇટાલિયન પેજ પર વેજીટેબલ ઇન્ક અને બાઇડિંગમાં પ્રાણીજન્ય ગુંદરને બદલે વનસ્પતિજન્ય ગુંદરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- Advertisement -
રામાયણને સાચવવા ત્રણ ખાનાનું સંપુટ બનાવાયું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 633 પેજ, 682 પેજ અને 734 પેજના એમ કુલ ત્રણ અલગ અલગ પુસ્તકના સેટમાં પ્રિન્ટ થયેલી આ સંપૂર્ણ રામાયણને વ્યવસ્થિત રીતે સાચવવા માટે ઇટાલિયન શમી વૃક્ષના લાકડાની કલાત્મક ત્રણ ખાનાનું સ્પેશિયલ સંપુટ બનાવવામાં આવ્યું છે. જે સંપુટ પર રામાયણ પ્રસ્થાપિત કરી તેનું વાંચન કરી શકાય છે. આ વાંચન સ્ટેન્ડ 360 ડિગ્રી ફરી શકે તેવું બનાવાયું છે. ત્રણેય પુસ્તકોના મુખ પુષ્ટ પર અને કલાત્મક વુડન બોક્સ પર સોરસ્કી‘ ડાયમંડ એટલે કે (સાચા હીરા) જડવામાં આવ્યા છે.