– કોસ્ટગાર્ડના ડોર્નિયર વિમાને સતત ‘માથે ચકક્રર’ લગાવીને પરત ધકેલી દીધું
પાકિસ્તાની નૌકાદળનું યુધ્ધજહાજ ભારતીય જળસીમામાં ઘુસી ગયાને પગલે કોસ્ટગાર્ડે હરકતમાં આવીને ડોર્નિયર વિમાન મારફત પાછુ તગેડી મુક્યુ હતું. પાકિસ્તાનના નાપાક ઇરાદામાં માત્ર કોસ્ટગાર્ડ જ ભારે પડી ગયું હતું અને ભારતીય નૌસેનાને મેદાનમાં પણ આવવું પડ્યું ન હતું.
- Advertisement -
પાકિસ્તાની નૌકાદળનું યુધ્ધ જહાજ ‘અલમગીર’ ગત જુુલાઈમાં ગુજરાત સ્થિત ભારતીય જળસીમામાં ઘુસી આવ્યું હતું ત્યારે કોસ્ટગાર્ડના ડોર્નિયર મેરીટાઈમ સર્વેલન્સ વિમાને તેને પાછુ ખદેડી દીધું હતું. સરકારી સુત્રોએ કહયું કે ગુજરાત નજીકની ભારતીય જળસીમામાં પાંચ નોટીકલ માઇલના વિસ્તારમાં ભારતીય સુરક્ષા એજન્સીઓ પાડોશી દેશોની માછીમારી બોટોને પણ ઘુસવા દેતી નથી ત્યારે પાકિસ્તાની યુધ્ધ જહાજ ઘુસી ગયું હોવાનું કોસ્ટ ગાર્ડના ધ્યાને આવતા તાબડતોબ પરત ફરવાની ચેતવણી આપવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ વિશે કોસ્ટગાર્ડ દ્વારા કોઇ સતાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી પરંતુ સુત્રોએ કહ્યું કે પાકિસ્તાન યુધ્ધજહાજ અલમગીરના કેપ્ટનને ભારત તરફથી જવાબી કાર્યવાહી થવાનો અંદાજ આવી ગયો હોય તેમ રેડિયો કોમ્યુનિકેશન મેસેજના કોઇ જવાબ આપ્યા વિના જ પરત ફરી જવાનો રસ્તો અપનાવ્યો હતો. એમ કહેવાય છે કે ભારતીય જળસીમામાં કેટલા અંતર સુધી અંદર ઘુસી શકાય છે તે ચકાસવા યુધ્ધજહાજ આવ્યું હતું પરંતુ કોસ્ટગાર્ડના એલર્ટ ડોર્નિયર વિમાને દાખલ થતા વેત તેને પકડી પાડ્યું હતું અને પરિણામ પાકની નાકામ હરકત નિષ્ફળ નિવડી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વર્ષોથી તંગ જ રહ્યા છે. જો કે, કેટલાક વખતથી કોઇ ગંભીર ઘટનાક્રમ સર્જાયો નથી. ચીન સાથે પણ સરહદી વિવાદ ચાલુ છે. તાજેતરમાં ચીની વિમાન ભારતીય સીમામાં ઘુસી ગયા હતા તે સામે ભારતે વિરોધ નોંધાવ્યો હતો. હવે પાકિસ્તાની હરકત સામે આવી છે તેને ગંભીર ગણાવાય છે. જો કે, સુરક્ષા એજન્સી દ્વારા કોઇ આ મામલે સતાવાર જવાબ આપવામાં આવ્યો નથી.