નર્મદા સહિતના ડેમોમાં પાણી ઘટ્યું : રાજ્યભરમાં એકમાત્ર આજી-2માં સૌથી વધુ 97.19ટકા અને આજી-1માં 70 ટકાથી વધુ પાણી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
કાળઝાળ ગરમી અને આકરા ઉનાળામાં સપડાયેલા ગુજરાતને પાણી સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
સૌથી મોટા નર્મદા ડેમથી માંડીને રાજ્યનાં અન્ય જળાશયોમાં પણ પાણી તળિયે પહોંચવા લાગ્યું છે. ચોમાસાને હજુ દોઢ મહિનાની વાર છે તેવા સમયે પાણી સમસ્યા મોઢુ ફાડે તેવા ભણકારા છે.
રાજ્યના સૌથી મોટા એવા નર્મદા ડેમમાં ગત વર્ષની સરખામણીએ 456.54 મીલીયન ક્યુબીક મીટર પાણી ઓછુ છે. ચોમાસા પૂર્વે હજુ આકરી ગરમી પડવાની છે અને પાણી સંકટ ઉભુ ન થાય તે માટે રાજ્ય સરકારે નર્મદાનું પાણી સિંચાઈ માટે નહીં છોડવાનું નક્કી કર્યું છે. ઉનાળામાં માત્ર ઘાંસચારો ઉગાડવા માટે જ નર્મદાના પાણી છોડવામાં આવશે. ગત વર્ષે રાજ્ય સરકારે રાજ્યભરમાં સિંચાઈ માટે નર્મદાના પાણી પૂરા પાડ્યા હતા. 29 એપ્રિલની સ્થિતિએ રાજ્યના જળાશયોમાં 12465 મીલીયન ક્યુબીક મીટર પાણી છે. 25244.4 એમસીએમની કુલ ક્ષમતા સામે પાણી ઓછું છે. ગત વર્ષે 12775 એમસીએમ પાણી હતું.
ગત વર્ષની સરખામણીએ 310 એમસીએમ પાણી ઓછુ છે. રાજ્ય સરકારે જારી કરેલા આંકડાઓ એવું સૂચવે છે કે ઉતર ગુજરાતમાં પાણીની કટોકટી વધુ છે. જ્યાંના જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ 279 એમસીએમ ઓછું પાણી છે. મધ્ય ગુજરાતના જળાશયોમાં 238 એમસીએમ ઓછું પાણી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ 631 એમસીએમ વધુ પાણી છે જ્યારે સૌરાષ્ટ્રમાં ગત વર્ષની સરખામણીએ 61 એમસીએમ વધુ પાણી રહ્યું છે. સૌરાષ્ટ્રના જળાશયોમાં નર્મદાના પાણી ઠાલવવામાં આવ્યા હોવાથી જળસપાટી વધુ હોવાનું જણાવાઇ છે.
- Advertisement -
સતાવાર રિપોર્ટમાં એમ જણાવાયું છે કે, રાજ્યનાં કુલ 206 ડેમમાંથી એકમાત્ર આજી-2માં ક્ષમતા કરતાં 97.19 ટકા પાણી છે. માત્ર 6 ડેમમાં 70 થી 79 ટકા પાણી છે, આ છ જળાશયોમાં કચ્છનાં કાલાઘોઘા, સુરેન્દ્રનગરનાં ધોળીધજા, ગિર સોમનાથના રાવલ, જૂનાગઢના હસ્નાપુર, મહીસાગરના વણાંકબોરી, રાજકોટના આજી-1 અને ભરુચનાં ધોળી ડેમનો સમાવેશ થાય છે. બાકીના 198 જળાશયો પૈકી 53માં 30 થી 49 ટકા પાણી છે.
જ્યારે 25 ડેમોમાં 50 થી 69 ટકા પાણી છે. 54 ડેમોમાં 10 ટકાથી પણ ઓછું પાણી છે. જ્યારે 33 ડેમો તળિયાઝાટક છે. રાજ્ય સરકારે 29 એપ્રિલની સ્થિતિએ છેલ્લા સાત દિવસમાં દક્ષિણ ગુજરાતના જળાશયોમાંથી 35.73 એમસીએમ પાણી છોડ્યું હતું જ્યારે સૌરાષ્ટ્રના ડેમોમાંથી 8.75 એમસીએમ,મધ્ય ગુજરાતમાં 7.40 એમસીએમ, ઉતર ગુજરાતમાં 1.53 એમસીએમ અને કચ્છમાં 0.85 એમસીએમ પાણી છોડવામાં આવ્યું હતું.



