રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ઉદ્યોગનગર પોલીસે ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સ બસોમાં ચાલતા કરોડોના ટેક્સ ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સરકારને આરટીઓ ટેક્સ અને વીમાની રકમમાં ચૂનો ચોપડવાના ઇરાદે એક જ રજીસ્ટ્રેશન નંબરની નકલી નંબર પ્લેટ લગાવી અલગ-અલગ રૂટ પર બસો દોડાવવાના સુનિયોજિત રેકેટનો ભાંડો ફોડ્યો છે. આ કૌભાંડમાં પોલીસે અંદાજે 1.55 કરોડથી વધુ કિંમતની 10 લક્ઝરી બસો અને એક ઓમ્ની કાર સહિત કુલ 11 વાહનો કબજે કર્યા છે. આ મામલે બે અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક જ નંબર પ્લેટનો ઉપયોગ બે બસોમાં થઈ રહ્યો છે. આ માહિતીના આધારે પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર રબારીકા ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જૂનાગઢ તરફથી આવી રહેલી ‘શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સ’ની બસને અટકાવી તપાસ કરતા તેના પર અન્ય બસનો નંબર લગાડેલો હોવાનું બહાર આવ્યું હતું. બસ ચાલક કૌશિક જયસ્વાલ પાસે જરૂરી દસ્તાવેજો ન હતા અને તેણે પૂછપરછમાં ભાઈની બસનો નંબર પોતાની બસ પર લગાડ્યાની કબૂલાત કરી હતી. થોડી જ વારમાં એ જ નંબર ધરાવતી બીજી બસ પણ ત્યાંથી પસાર થતાં પોલીસે તેને પણ ઝડપી લીધી હતીઆગળની તપાસમાં પોલીસે જેતપુર-જૂનાગઢ હાઈવે પર આવેલા ‘પાવન ટ્રાવેલ્સ’ના ડેલામાં દરોડો પાડી એક જ રજીસ્ટ્રેશન નંબર ધરાવતી વધુ ચાર બસો નકલી નંબર પ્લેટ સાથે કબજે કરી હતી. તપાસમાં સામે આવ્યું કે એક બસ સૌરાષ્ટ્રમાં ચાલતી હોય ત્યારે એ જ નંબર ધરાવતી બીજી બસ સુરત રૂટ પર દોડતી હતી, જેથી આરટીઓ ટેક્સ અને અન્ય નિયમોથી બચી શકાય. આ સમગ્ર પ્રકરણમાં પાવન અલ્પેશભાઈ જયસ્વાલ, અલ્પેશ ઉર્ફે ટોનુ જયસ્વાલ અને કૌશિક યોગેશભાઈ જયસ્વાલ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 318(4), 336(2), 336(3), 340(2) તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુના નોંધાયા છે. પોલીસે બે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. આ કૌભાંડમાં આરટીઓના કોઈ કર્મચારી અથવા અન્ય વચેટિયાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
- Advertisement -
અમરેલીના કુકાવાવના દેવગામ રહેતા શખ્સ સામે છેતરપિંડીની ફરિયાદ
રાજકોટના એક કિસ્સામાં જેના ખાતામાં ભૂલથી 5 લાખ જમાં થયા હતા તેણે મૂળ માલિકને રકમ આપવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. પરિણામે તેના વિરુદ્ધ આજે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. રાજકોટના કાલાવડ રોડ પર પંડિત દિનદયાળનગરમાં રહેતાં રાહુલ કોઠારી ડો. યાજ્ઞિક રોડ પર સ્ટાર શોપિંગ સેન્ટરમાં ઓમ શાંતિ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવી પેમેન્ટ બેંકની સર્વિસ પ્રોવાઇડ કરવાનું કામ કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે, તેના ડો.યાજ્ઞિક રોડ પર આવેલી કોટક બેંકના એકાઉન્ટમાંથી 5 લાખ 3 આરટીજીએસથી વેન્ઝી એન્ટરપ્રાઇઝ નામની પેઢીને મોકલવાના હતા. તેની ઓફિસમાં કામ કરતાં કિશોર ચાવડાએ ભૂલથી બીજા એકાઉન્ટમાં આ રકમ ટ્રાન્સફર – કરી દીધી હતી જેથી બેંકને આ અંગે જાણ કરી હતી. તપાસના અંતે જે ખાતામાં ભૂલથી રકમ જમાં થઈ હતી તે પેઢીનું નામ અભય ફેશન હોવાનું જાણવા મળ્યું હતું. એકાઉન્ટ ધારક તરીકે અભય વિભાભાઈ શીરોડીયા છે. પરિણામે તેનો સંપર્ક કરી ભૂલથી તેના એકાઉન્ટમાં રકમ જમાં થઇ ગયાનું કહીં રકમ પરત આપવાનું કહ્યું હતું. જેની સામે તેણે કહ્યું કે, તેણે રકમ ખર્ચ કરી નાંખી છે. થોડા દિવસ બાદ પરત આપી દેશે. એકાદ મહિના સુધી રકમ વારંવાર ઉઘરાણી કરવા છતાં પરત આપી ન હતી. આખરે એ. ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરતા તેને બોલાવ્યો હતો. તે વખતે કહ્યું કે, તેણે 5 લાખમાંથી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મિત્રો પાસેથી કટકે-કટકે લીધેલા પૈસા ભરપાઈ કરી દીધા છે. બાકીની રકમ મુંબઇ જુગારમાં હારી ગયો છે તેણે માત્ર વાયદાઓ જ આપતા અંતે તેના વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પીઆઇ વાઢિયા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટ-અમદાવાદમાંથી ખરાબ લોકવાળી ચોરેલી છ રિક્ષા સાથે જોડીયાનો શખ્સ ઝડપાયો
- Advertisement -
રાજકોટમાં વાહનચોરીના નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી બાતમી આધારે જોડિયાના શખ્સને છ ચોરાઉ રીક્ષા સાથે ઝડપી લીધો હતો પ્રાથમિક તપાસમાં તેણે આ તમામ રીક્ષા રાજકોટ અને અમદાવાદમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી ખરાબ લોકવાળી રિક્ષાની ઉઠાંતરી કરતો હતો વેચવા નીકળતા જ પોલીસે ઝડપી લઇ 5.65 લાખની 6 રીક્ષા કબ્જે કરી છે. રાજકોટમાં વાહનચોરીના પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એમ.રાણાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એ.એસ.આઇ વિજયરાજસિંહ જાડેજા, તુલશીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયા તથા ધર્મેશભાઇ ખાંડેખાને મળેલી બાતમી આધારે માધાપર ચોકડી બ્રિજ નીચેથી જોડિયાના જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગોવિંદ પરમાર ઉ.26ને શંકાસ્પદ રીક્ષા સાથે અટકાયતમાં લઇ પૂછતાછ કરતા તેની પાસેથી છ ચોરાઉ રીક્ષા મળી આવી હતી આ અંગે પૂછતાછ કરતા પોતે આ તમામ રીક્ષાઓ બી ડિવિઝન, થોરાળા, એ ડિવિઝન પોલીસની હદ ઉપરાંત અમદાવાદના કાલુપુર વિસ્તારમાંથી ઉઠાંતરી કરી હોવાની કબૂલાત આપી હતી આ અગાઉ તેની સામે રાજકોટ, મોરબી અને જામનગરમાં ચોરીના 13 ગુના નોંધાયેલા છે મુખ્યત્વે જે રિક્ષાઓના લોક ખરાબ હોય તેને ઉપરાંત ડાયરેક્ટ છેડા કરી ચોરીઓ કરતો હતો. દેખાડા ખાતર કડીયા કામની મજૂરી કરે છે ચોરાઉ રીક્ષા વેચી નાખતો હતો ક્રાઈમ બ્રાંચે 5.65 લાખની રીક્ષાઓ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
કોઠારીયાનો પેડલર સિરાઝ ઉપલેટાના ચીખલીયામાંથી 8.67 લાખના 7 કિલો ગાંજા સાથે ઝડપાયો
રાજકોટ જિલ્લાના ઉપલેટાના ચીખલીયા ગામે એસઓજીએ દરોડો પાડી રહેણાંક મકાનમાંથી 17 કિલો 342 ગ્રામ ગાંજા સાથે રાજકોટના કોઠારિયાના કુખ્યાત પેડલર સિરાજની ધરપકડ કરી રૂ.8.67 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે સુરત નજીક સોનગઢથી ગાંજો લાવી આપનાર ઉપલેટા અને ભાયાવદરના બે શખ્સોની શોધખોળ પોલીસે હાથ ધરી છે. રાજકોટ જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા મળેલી સૂચના અન્વયે એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઇ જી.જે.ઝાલાની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કોઠીવારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉપલેટાના ચીખલીયા ગામે સિરાજ હનીફ વિસર પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો લાવી વેચાણ કરી રહ્યો છે આ બાતમી આધારે એસઓજીની ટીમે દરોડો પાડી મકાનમાંથી 8,67,100ની કિંમતનો 17.342 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી રાજકોટના કોઠારીયા સોલ્વન્ટના સિરાજ હનીફ વિસરની ધરપકડ કરી ગાંજો અને મોબાઈલ મળી કુલ 8.72,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા સિરાજે એવી કબુલાત આપી હતી કે, ગાંજાનો જથ્થો ભાયાવદરના નવાજ અશરફ મધરા અને ઉપલેટાના વસીમ ઈકબાલ રફાઈ સુરત નજીક સોનગઢથી સપ્તાહ પૂર્વે લાવી તેને આપી ગયા હતા વસીમ ટ્રક ડ્રાયવિંગ કરતો હોય તે નવાજ અને અન્ય એક શખ્સ સાથે અગાઉ પણ ચારેક વાર ગાંજાની ખેપ મારી આવ્યો છે. બંને ખેપિયા ગાંજાનો જથ્થો સુરત સહિતના સ્થળોએથી લાવી અહીં સિરાજ વિસરને આપી દેતા હતા. જે બાદ સિરાજ છૂટકમાં વેંચાણ કરતો હતો. જેથી પોલીસે પેડલરની ધરપકડ કરી બેથી વધુ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
કુવાડવા પાસે ટ્રકચાલકે કારને ઠોકરે લેતા કોડીનાર હોસ્પિટલના આરોગ્ય કર્મચારીનું મોત
રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કોડીનારના આરોગ્ય કર્મચારીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે મૃતક પોતાના પુત્ર દેવાંગ અને મિત્ર વિકાસભાઈ જોશી સાથે ગાંધીનગર કામ સબબ ગયા હતા પરત આવતી વખતે બનેલા બનાવથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. કોડીનારના જિન પ્લોટ ખાતે રહેતા લલિતભાઈ બાલકદાસ ટીલાવત ઉ.54, પુત્ર દેવાંગ અને જૂનાગઢ હિલ ગાર્ડન ખાતે રહેતા મિત્ર વિકાસભાઈ લાભશંકર જોષી ઉ.65 કામ સબબ ગાંધીનગર ગયા હતા ત્યાંથી કાર લઈને પરત ફરતી વખતે કાર પુત્ર દેવાંગ ચલાવતો હતો રાજકોટના કુવાડવા નજીક નેશનલ હાઇવે પર સચ્ચા સૌદા રેસ્ટોરન્ટ પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવતા ટ્રકે કારને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણેય વ્યક્તિને ઇજા થતા તાકીદે 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં લલિતભાઈને મૃત જાહેર કરાયા હતા. દેવાંગને પ્રાથમિક સારવાર અપાઈ હતી અને વિકાસભાઈને વધુ ઈજા હોય સારવાર માટે દાખલ કરાયા હતા બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને ટ્રક ચાલક સામે કાર્યવાહી કરવા તપાસ હાથ ધરી હતી લલીતભાઈ કોડીનાર હોસ્પિટલમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે મોભીના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
નુરાનીપરામાં યુવકને ગાળો ભાંડી હવે તારો વારો છે કહી ધમકી આપી
રાજકોટના નુરાનીપરામાં રહેતા અને મજૂરી કરતા સોહીલ ઇબ્રાહીમભાઈ ખેબર ઉ.22એ પીપરાણા ગામના અનીસ તેમજ રસુલપરાના મુન્નો, બાબલો, શાહરુખ સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે રાત્રે હુ તથા મારા મિત્ર સોહીલ તથા એજાજ તથા અમન ચારેય ઘર પાસે બેઠા હતા ત્યારે અનીસ, મુન્નો, બાબલો તથા શાહરૂખ બધા અમારી સાથે બેઠા હતા ત્યા આવેલ અને આ અનિશના હાથમાં ધોકા જેવુ કાઇક હોય જેથી હુ ત્યાથી ભાગી ગયો હતો અને થોડીવાર પછી ત્યા આવતા મારી પત્ની સનાએ મને વાત કરેલ કે આ માણસોએ શેરીમા આવી તમારૂ નામ લઇને ક્યા ગયો સોહીલ તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલતા હતા જેથી શેરીમાં માણસો ભેગા થઈ ગયેલ અને તમારા મામા અલ્લારખાભાઇ આવી જતા તેને 112 પર ફોન કરી પોલીસની ગાડી બોલાવતા આ લોકો જતા રહ્યા હતા બાદ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લેખીતમાં જાણ કરી હતી બાદ મિત્ર સોહીલનો ફોન આવેલ અને વાત કરેલ કે હુ અત્યારે રસુલપરામાં ચોકડીએ માવો ખાવા આવ્યો હતો અને મને અત્યારે મુન્નાભાઈ તથા અનિસ બન્ને ઢીકા પાટાથી માર મારે છે તેમ જણાવેલ અને સોહીલના ફોનમાથી અનીશએ મારી સાથે વાત કરેલ અને કહેવા લાગેલ કે હવે તારો વારો છે છે તેમ કહી મને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ હતો જેથી બંને સામે ફરિયાદ નોંધાવી હતી.
મવડીમાં ભંગારના ડેલાના ધંધાર્થી પતિએ-પુત્રને મારી નાખવાની ધમકી
મવડીમાં રહેતા અને ભંગારનો ડેલો ધરાવતા મગનભાઇ મેઘજીભાઈ રીબડીયા ઉ.64એ આ જ વિસ્તારમાં રહેતા પ્રતીક ચનાભાઈ સોરઠીયા સામે તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત અમારા માલ-સામાનના ગોડાઉનમા વેપાર ધંધો કરીએ છીએ અમારી જગ્યામા પ્રતીકભાઈ સોરઠીયાએ ગેરકાયદે બાંધકામ કરેલ હોય જે ઘણા સમયથી અમારી સાથે માથાકુટ કરતા આવેલ છે અને ધાક-ધમકી આપતા આવેલ છે અગાઉ ઘણીવાર અમારી માલીકીની જગ્યામા તેમની બોલેરો પાર્ક કરી અમારી સાથે બોલાચાલી કરેલ તે વખતે તેમના વીરુધ્ધ અરજી કરી હોય જેનુ મનદુખ રાખી અવાર-નવાર અમા રા ભંગારના ડેલા પાસે આવી અને ગાળો તેમજ ધમકી આપી જતા રહે છે આમ પ્રતીકભાઇ માનસીક ત્રાસ આપતા હોય છે દરમિયાન ગત 18 તારીખે હુ તથા મારો દીકરો વીપુલભાઇ અમારા ડેલે હતા ત્યારે આ પ્રતીકભાઇ ડેલા પાસે આવી મારી રી ક્ષા કોઇને નડે નહી તે રીતે પાર્ક કરેલ હોઇ તેમ છતા આ રીક્ષા વચ્ચે મુકેલી છે તેમ કહીને મને તથા મારા દીકરાને બેફામ ગાળો ભાંડી એકદમ ઉશ્કેરાઈ જઈને હવે પછી જો અહીંયા રીક્ષા રાખશો તો તમને બન્ને બાપ-દીકરાને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપીને જતા રહ્યા હોય ફરિયાદ નોંધાવી હતી.
બામણબોર ગામે કાકા-ભત્રીજાને ગાળો ભાંડી છ શખ્સોનો પાઇપથી હુમલો
રાજકોટ તાલુકાના બામણબોર ગામે રહેતા અને મજૂરી કરતા રણજીતભાઈ ચોથાભાઈ સુમરા ઉ.22એ અનિલ રૂખડભાઈ, રોહિત ગોદાભાઈ ગમારા, વિરાજ ગમારા, રોહિત નારણભાઇ ગમારા, નિલેશ ગમારા અને અભય ટોળીયા સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 5 તારીખે સાંજે હું મારા ઘરે હતો ત્યારે મારા નાના ભાઈ હાર્દિકે મને વાત કરેલ કે હું ગ્રીન પ્લાય પાસે મોસા લઈને જતો હતો ત્યારે અનિલએ મને રોકેલ અને વાહન ધીમું ચલાવવા બાબતે ઝઘડો કરી બોલાચાલી કરી હતી જેથી મેં તુરંત જ આ અનિલને ફોન કરીને સમજાવતા તે મારી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો બાદ 6 તારીખે સાંજે હું તથા મારા કાકા મખાભાઈ બંને અમારા કામે હતા ત્યારે અનિલના કૌટુંબિક ભાઈ રોહિત ગમારા ગઈકાલે થયેલ ફોનમાં ઝઘડા બાબતે મને બોલાવેલ પણ અમે ત્યાં ગયેલ નહીં અને ગ્રીનપ્લાયની અંદર જતા રહ્યા હતા અમારી પાછળ પાછળ રોહિતભાઈ તથા વિરાજ અને અભય આવેલ આ લોકો આવીને મારી તથા મારા કાકા સાથે ઝપાઝપી કરવા લાગેલ અને અમને નીચે પછાડી દીધેલ તેટલી વારમાં રોહિત તથા નિલેશ, આવી ગયેલ હતા બાદમાં મને તથા મારા કાકા મખાભાઈને આ સ્ટીલના પાઇપ વડે માર મારવા લાગ્યા હતા બાદ વીરાજએ ક્યાંકથી પ્લાસ્ટિક નો પાઇપ કાઢી મારા કાકા મખાભાઇને મારવા લાગ્યો હતો અને ગાળો દીધી હતી બાદમાં લોકો ભેગા થઈ જતા આ લોકો ત્યાંથી જતા રહ્યા હતા બાદ મને તથા મારા કાકા ને કારમાં બેસાડી પ્રથમ સારવાર કુવાડવા CHC બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને સારવાર લઇ ફરિયાદ નોંધાવી હતી.
નાના મવા રોડ ઉપર ફ્લેટમાં જુગાર રમતા છ ઝડપાયા
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી બી ત્રાજીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના વિજયભાઈ મેતા, કુલદીપસિંહ જાડેજા સહિતને મળેલી બાતમી આધારે નાના મવા રોડ ઉપર આવેલ આશ્રય એપાર્ટમેન્ટમાં દરોડો પાડી જુગાર રમતા હરેશ કેશવજીભાઇ ભીમાણી, સંદીપ અંબાવીભાઈ હીનશું, ડેનિશ ચંદુભાઈ ડેડકીયા, જસ્મીન હંસરાજભાઇ મણવર, હાર્દિક પ્રવીણભાઈ ગોરીયા અને પાર્થ ઉદયભાઈ હાંસલિયાની ધરપકડ કરી રોડક 57,000 કબ્જે કર્યા હતા.
જનરક્ષકના સ્ટાફે પ્રનગર પોલીસ સ્ટેશને લાવેલ ચારેય પીધેલી હાલતમાં ઝડપાયા
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં રહે તે માટે જનરક્ષક સતત પેટ્રોલિંગ કરતી હોય છે દરમિયાન પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારના જનરક્ષકના ઇન્ચાર્જ કોન્સ્ટેબલ નૂરજહાંબેન ગત રાત્રે પેટ્રોલિંગમાં હતા ત્યારે ચાર શખ્સો મારામારી કરતા હોય ચારેયને રાત્રે પ્રનગર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા જે ચારેયના મોઢામાંથી દારૂ પીધો હોય તેવી તીવ્ર વાસ આવતી હોય ચારેયના નામઠામ પૂછતાં નહેરુનગરનો મોસીનખાન મહમદ રફીક, અલ્કાપુરીનો સાકીર રફીકભાઇ નાગોરી, બજરંગવાડીનો મયુરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને બાલમુકુન્દમાં રહેતો રતનેશભાઈ મુકેશભાઈ વસાણી હોવાનું જણાવતા ઇન્વે રાઇટર તરીકે ફરજ પર રહેલા રાહુલભાઈ મેટાળીયાએ ચારેય સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી આ કેસની તપાસ બી વી ભગોરા ચલાવી રહ્યા છે.



