રેસકોર્સ મેદાનમાં ૨૮થી ૩૦ સપ્ટેમ્બર ત્રણ દિવસીય આધ્યાત્મિક મહોત્સવ
યુવાનોમાં સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ અને સનાતન મૂલ્યોના જાગરણનો સંદેશ
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં વિશ્વવિખ્યાત કથાકાર જયા કિશોરીજીના મુખારવિંદથી ભવ્ય ‘શ્રી સનાતન યુવા કથા મહોત્સવ’નું આયોજન થવા જઈ રહ્યું છે. સનાતન યુવા કથા સમિતિ પરિવાર, રાજકોટના ઉપક્રમે આગામી ૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બર દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ત્રિદિવસીય કથા મહોત્સવ યોજાશે. આ મહોત્સવની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે અને આયોજકો દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને આ દિવ્ય પ્રસંગમાં સહભાગી બનવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આયોજકોના જણાવ્યા મુજબ, આધુનિક યુગમાં યુવાનો પાસે અપરંપાર શક્તિ, ઊર્જા અને સપનાઓ છે. જો આ શક્તિને યોગ્ય દિશા મળે તો તેઓ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાની સાથે સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપી શકે છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને યોજાનારી ‘શ્રી સનાતન યુવા કથા’નો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીમાં સનાતન સંસ્કૃતિ, ભારતીય પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. કથા દરમિયાન યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રનિર્માણની ભાવના, ધર્મ, કર્મ, જ્ઞાન, ભક્તિ અને ગૌપ્રેમ જેવા મૂલ્યોનું સંવર્ધન થાય તેમજ પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વિકસે તે માટે વિવિધ પ્રસંગો અને ઉદાહરણો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને સરળ ભાષામાં રજૂ કરીને યુવા પેઢીને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરિત કરવામાં આવશે.
આયોજકોનું માનવું છે કે આજના ડિજિટલ યુગમાં અનેક યુવાનો વિવિધ પ્રકારના વ્યસનો અને નકારાત્મક પ્રવૃત્તિઓ તરફ આકર્ષાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ કથા યુવાનોને વ્યસનમુક્તિ, માતા-પિતા પ્રત્યે આદરભાવ, પરિવાર અને સમાજ પ્રત્યે જવાબદારી તેમજ સંસ્કારપૂર્ણ જીવન જીવવાની પ્રેરણા આપશે. કથાના માધ્યમથી દયાભાવ, શૂરવીરતા, કરુણા, સદાચાર અને રાષ્ટ્રીય ચેતના જેવા ગુણોના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ત્રણ દિવસીય આ કથા મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે ૮:૦૦થી ૧૧:૦૦ વાગ્યા સુધી જયા કિશોરીજીના મુખારવિંદથી કથાનું રસપાન કરાવવામાં આવશે. ઉપરાંત, ગુજરાતની લોકસંસ્કૃતિને પ્રોત્સાહન આપવા દરરોજ સાંજે ૫:૩૦થી ૭:૩૦ વાગ્યા સુધી ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ગુજરાતના જાણીતા લોકગાયકો અને કલાકારો પોતાની કલાની રજૂઆત કરશે. સનાતન યુવા કથા સમિતિ પરિવાર અને રાજકોટની ધર્મપ્રિય જનતાના સંયુક્ત આયોજન હેઠળ યોજાનારા આ આધ્યાત્મિક મહોત્સવમાં રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સનાતની પરિવારોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાશ્રવણનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




