દાગીના ગીરવે મૂકી લોન લઇ લીધી, પૈસા પડાવવા ગળું દબાવી, મારકૂટ કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો
લિવ ઈન રિલેશનથી કંટાળેલી યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો : તાલુકા પોલીસે ગુનો નોંધી કરી ત્રણેયની ધરપકડ
- Advertisement -
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેતપુર નગરપાલિકામાં આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી ચૂકેલા નંદનીબેન બોસમીયાએ રાજકોટમાં કરેલા આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. ગત 22 જૂન, 2026ના રોજ રાજકોટમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરનાર નંદનીને મરવા મજબૂર કરવા બદલ જૂનાગઢના અસલમ સમા, તેની પત્ની અને સાસુ વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે ત્રણેયને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાના નવાગઢ ખાતે રહેતા અને સાગની પટ્ટીનો વેપાર કરતા મૃતક નંદનીના પિતા આનંદભાઈ વજુભાઈ બોસમીયાએ જૂનાગઢ રહેતા અસલમ સમા, ઝરીના ઉર્ફે ભૂકંપ અને ગુડીબેન સામે તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની 23 વર્ષીય મોટી દીકરી નંદનીએ નવ મહિના પહેલા જૂનાગઢના અસલમ હુશેનભાઈ સમા સાથે મૈત્રીકરાર કર્યા હતા અને તેઓ જૂનાગઢ તથા રાજકોટમાં સાથે રહેતા હતા. અસલમની પત્ની અગાઉ રિસામણે ગઈ હોવાથી તે નંદની સાથે રહેતો હતો. જોકે, થોડા સમય પહેલાં અસલમની પત્ની પરત આવી જતાં અસલમે નંદનીને સ્પષ્ટ કહી દીધું હતું કે, “હવે મારી પત્ની આવી ગઈ છે એટલે તારી કોઈ જરૂર નથી. આ પછી તે નંદનીને શારીરિક-માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો અને તેને પિયર જતી રહેવા દબાણ કરતો હતો.આજથી ચાર મહિના પહેલાં અસલમની સાસુ ગુડીબેનએ નંદનીની નાની બહેન રૂપલને ફોન કરીને ધમકી આપી હતી કે, “નંદનીને કહી દેજે કે અમે તેને અસલમ સાથે જીવવા નહીં દઈએ. અસલમને કંઈ નહીં કરીએ પણ નંદનીની જિંદગી બરબાદ કરી નાખીશું.” જ્યારે અસલમની પત્ની ઝરીના ઉર્ફે ‘ભૂકંપ’ નામની મહિલાએ ફોન પર ધમકી આપતાં કહ્યું હતું કે, “નંદનીને કહી દેજે કે હું તેને બદસૂરત કરી નાખીશ અને અસલમ સાથે સુખેથી જીવવા નહીં દઉં.”લગ્નજીવનમાં ભંગાણ પડવાની સાથે અસલમે નંદનીનું આર્થિક શોષણ પણ શરૂ કર્યું હતું. તેણે નંદનીનો સોનાનો ચેઈન બેંકમાં ગિરવે મૂકીને પૈસા ઉપાડી લીધા હતા તે અવારનવાર નંદની પાસે રૂપિયાની માંગણી કરતો હતો અને પૈસા ન આપે તો ઢોર માર મારતો હતો. નંદની મુશ્કેલીમાં ન મુકાય તે માટે તેની માતા પણ તેને થોડા-થોડા પૈસા મોકલતી હતી. આપઘાતના આગલા દિવસે એટલે કે 21 જૂનના રોજ અસલમે ફરી પૈસા માંગ્યા હતા. નંદનીએ ના પાડતા અસલમે તેનું ગળું દબાવીને માર માર્યો હતો. ત્રાસથી કંટાળીને નંદની તે રાત્રે તેના મિત્ર ઉમંગ ઉર્ફે રવિ જોશીના ઘરે રોકાઈ હતી અને બીજા દિવસે વતન પરત ફરવાની હતી.
22 જૂનના રોજ બપોરે અસલમના માસીના દીકરા સાહિદે નંદનીને ફોન કરીને અસલમ સાથે સમાધાન માટે જંગલેશ્વર ખાતે પોતાના ઘરે બોલાવી હતી. મિત્ર ઉમંગ તેને ત્યાં મૂકી આવ્યો હતો. જો કે, આ મુલાકાત બાદ ત્રાસથી ભાંગી પડેલી નંદનીએ રાજકોટ સ્થિત પોતાના ફ્લેટ પર આવીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પિતા આનંદભાઈની ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસે મુખ્ય આરોપી અસલમ હુશેનભાઈ સમા, તેની પત્ની ઝરીના ઉર્ફે ભૂકંપ અને સાસુ ગુડીબેન વિરુદ્ધ મરવા મજબૂર કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
નંદની મામલતદાર અને પીએસઆઇની પરીક્ષાની તૈયારી કરતી હતી
ફરિયાદી પિતા આનંદભાઈએ જણાવ્યું કે, તેની પુત્રી નંદનીએ કોલેજનું બીજું વર્ષ પૂર્ણ કર્યું હતું. હાલ મામલતદાર અને પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતી હતી. જૂનાગઢમાં એમઆર તરીકે નોકરી કરતી ત્યારે અસ્લમના મકાનમાં ભાડે રહેવા જતાં તેની સાથે પરિચયમાં આવી હતી. ત્યાર પછી બંને લીવ ઈનમાં જૂનાગઢ રહ્યા બાદ રાજકોટ રહેવા આવી ગયા હતા.




