દેશ-વિદેશના અગ્રણી વૈજ્ઞાનિકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ ભાગ લઈ રસાયણશાસ્ત્રના વિવિધ આધુનિક વિષયો પર પોતાના સંશોધનો રજૂ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશ પાઠવી આયોજનને બિરદાવ્યું અને સફળતાની શુભકામના પાઠવી
- Advertisement -
NEP-2020 હેઠળ યુનિવર્સિટી સંશોધન અને નવીનતાને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે: કુલપતિ ડૉ. ઉત્પલ જોષી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગ તથા ચિરંતન રસાયણ સંસ્થા (CRS)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ત્રણ દિવસીય “RASAYAN-23″ International Symposiumનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્ટ ગેલેરી ખાતે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. વિજ્ઞાન, સંશોધન અને નવીનતાના સંગમને નવી દિશા આપતા આ પરિસંવાદની આ વર્ષની થીમ “Science Beyond Boundary: Invention, Discovery, Innovation and Society” રાખવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિસંવાદનો પ્રારંભ અતિથિઓના સ્વાગત ઉદ્બોધન બાદ સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિક અને પદ્મ-વિભૂષણથી સન્માનિત ડૉ. અનિલ કાકોડકર ઉપસ્થિત રહ્યા હતા, જેમના વરદહસ્તે આ પરિસંવાદનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન આજીવન સિદ્ધિ પુરસ્કાર વિજેતા ડૉ. અનિલ કાકોડકરનું પુષ્પગુચ્છ અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
મુખ્ય અતિથિ ડૉ. અનિલ કાકોડકરે પોતાના સંબોધનમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો શુભેચ્છા સંદેશ રજૂ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ પ્રકારના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિસંવાદનું આયોજન થઈ રહ્યું છે તે જાણીને તેમને અત્યંત આનંદ થયો છે. તેમણે સમગ્ર આયોજન સમિતિને અભિનંદન પાઠવી પરિસંવાદની સફળતા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. ડૉ. કાકોડકરે વધુમાં જણાવ્યું હતું કે ભારતની ઊર્જા આત્મનિર્ભરતા માટે થોરિયમ આધારિત પરમાણુ ઊર્જા કાર્યક્રમ અત્યંત મહત્વપૂર્ણ છે. ભારત પાસે થોરિયમનો વિશાળ ભંડાર હોવાથી ભવિષ્યમાં پرમાણુ ઊર્જા ક્ષેત્રે ભારત વિશ્વમાં અગ્રણી સ્થાન પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે ઉમેર્યું કે કોઈપણ દેશના વિકાસનું સ્તર પરમાણુ ઊર્જાના અસરકારક ઉપયોગ પર નિર્ભર રહે છે. પોતાના વક્તવ્યમાં તેમણે યુવા સંશોધકોને ખુલ્લા મનથી વિચારવાની, વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની તથા સમસ્યાઓના નવીન અને વ્યવહારુ ઉકેલો શોધવાની પ્રેરણા આપી હતી.
ચિરંતન રસાયણ સંસ્થા (CRS)ના પરિચય દરમિયાન પ્રો. બ્રજ ગોપાલ બાગે જણાવ્યું હતું કે આ પરિસંવાદનો મુખ્ય હેતુ વિશ્વભરના વૈજ્ઞાનિકો, સંશોધકો અને વિદ્યાર્થીઓને એક જ મંચ પર લાવી વૈજ્ઞાનિક જ્ઞાનના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. ઉત્પલ જોષીએ પોતાના અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ (NEP-2020) અને MERU જેવા અભિગમોના અમલીકરણ સાથે યુનિવર્સિટી સંશોધન અને નવીનતાને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. યુનિવર્સિટી પશ્ચિમ ભારતના અગ્રણી સંશોધન કેન્દ્ર તરીકે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી રહી છે. આ પરિસંવાદમાં કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજાએ સફળ આયોજન માટે તમામ પ્રાયોજકો, વૈજ્ઞાનિકો, સંશોધકો અને આયોજક સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો. સમારોહના અંતે રસાયણશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. ઉમેદ સી. ભોયાએ ઔપચારિક આભારવિધિ વ્યક્ત કરીને પરિસંવાદના પ્રારંભની જાહેરાત કરી હતી.
આ ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં દેશ-વિદેશના અગ્રણી વૈજ્ઞાનિકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ભાગ લઈ રસાયણશાસ્ત્રના વિવિધ આધુનિક વિષયો પર પોતાના સંશોધનો રજૂ કરશે. આ સિમ્પોઝિયમ દરમિયાન વિશિષ્ટ વ્યાખ્યાનો, ટેક્નિકલ સત્રો, પોસ્ટર પ્રેઝન્ટેશન યોજાશે તથા CRS દ્વારા વૈજ્ઞાનિકોના H-index અને સંશોધન પ્રદાનના મૂલ્યાંકનના આધારે વિવિધ એવોર્ડ પણ આપવામાં આવશે. આ પરિસંવાદનો સૌથી મોટો લાભ યુવા સંશોધકો અને વિદ્યાર્થીઓને મળશે, જેમને નેનોટેકનોલોજી, ગ્રીન કેમિસ્ટ્રી, બાયોટેકનોલોજી અને કૃષિ વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં નવું જાણવા સાથે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો પાસેથી માર્ગદર્શન મેળવવાની અનોખી તક પ્રાપ્ત થશે.




