ડાયરા કલાકાર માયાભાઈ આહીર દ્વારા સામાન્ય નાગરિકો અને કરદાતાઓ અંગે કરવામાં આવેલા નિવેદનથી વિવાદ
સામાન્ય નાગરિકોને “રેશનિંગના ઘઉં ખાનારા” અને “જિંદગીમાં ટેક્સ ન ભરનારા” કહીને તેમની મજાક ઉડાવવી એ માત્ર અજ્ઞાનતા જ નહીં પરંતુ સામાન્ય જનતાના સ્વાભિમાન પર પણ પ્રહાર
- Advertisement -
સુરત શહેરમાં થોડા દિવસ પહેલા યોજાયેલા એક કાર્યક્રમે હવે સામાજિક અને રાજકીય વિવાદનું રૂપ ધારણ કરી લીધું છે. હાલમાં જ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મેળવીને સેવા નિવૃત્ત થનાર અધિકારીના વિદાય સમારોહ નિમિત્તે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, લોકગાયક કીર્તિદાન ગઢવી અને લોકગાયિકા મૈથિલી ઠાકુર જેવા નામાંકિત કલાકારો હાજર હતા.
જોકે, આ ડાયરા દરમિયાન માયાભાઈ આહીરે સામાન્ય નાગરિકો અને ટેક્સપેયર્સને લઈને એક ટિપ્પણી કરી હતી કે, ‘જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. ‘તમે અમારો પગાર ખાઓ છો…’ જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય એ બધા!’ તમે અમારો પગાર ખાઓ છો કહેનાર રેશનિંગના ઘઉં ખાતા હોય. આ નિવેદનનો સોશિયલ મીડિયા યૂઝર્સ ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. યૂઝર્સ કહી રહ્યા છે કે, સામાન્ય નાગરિકોને “રેશનિંગના ઘઉં ખાનારા” અને “જિંદગીમાં ટેક્સ ન ભરનારા” કહીને તેમની મજાક ઉડાવવી એ માત્ર અજ્ઞાનતા જ નહીં, પરંતુ સામાન્ય જનતાના સ્વાભિમાન પર પણ પ્રહાર છે.
ડાયર દરમિયાન પોતાના નિવેદનમાં માયાભાઈ આહીર કદાચ માત્ર ‘ઇનકમ ટેક્સ’ (આવકવેરો)ને જ ટેક્સ ગણવાની ભૂલ કરી બેઠા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશનો દરેક નાગરિક, ભલે તે ગરીબ હોય કે અમીર, તે સવારથી સાંજ સુધી સરકારને ટેક્સ ચૂકવે છે જેને GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) અથવા ઇનડાયરેક્ટ ટેક્સ કહેવામાં આવે છે. મીઠું, સાબુ કે દિવાસળી ખરીદનાર પણ કરદાતા છે. એક મજૂર જ્યારે પોતાના બાળક માટે પારલે-જી બિસ્કિટનું પેકેટ, તેલનું પાઉચ, સાબુ, ચંપલ કે દવા ખરીદે છે, ત્યારે તેના પર તે સરકારને નિયત ટેક્સ ચૂકવે છે. દેશના અર્થતંત્રમાં માત્ર ડાયરેક્ટ ટેક્સ (આવકવેરો) ભરનારાઓનો જ ફાળો નથી, પરંતુ બહુમતી હિસ્સો ઇનડાયરેક્ટ ટેક્સ (GST અને એક્સાઇઝ ડ્યુટી)નો છે, જે દેશની ૧૪૦ કરોડની જનતા સામૂહિક રીતે ચૂકવે છે.
- Advertisement -
નિવેદનમાં રેશનિંગના ઘઉં ખાનારા લોકોને નીચા દેખાડવાનો પ્રયાસ થયો છે, જે અત્યંત આઘાતજનક છે. સરકાર ગરીબોને જે સસ્તું કે મફત અનાજ આપે છે, તે કોઈ નેતા કે કલાકાર પોતાના ગજવામાંથી આપતા નથી. તે દેશના નાગરિકો દ્વારા જ ચૂકવાયેલા ટેક્સના નાણાંમાંથી બનેલી ‘વેલફેર સ્ટેટ’ (કલ્યાણકારી રાજ્ય)ની યોજનાઓ છે. રેશનિંગની દુકાને લાઈનમાં ઊભો રહેતો સામાન્ય નાગરિક પણ જ્યારે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદે છે ત્યારે ટેક્સ ચૂકવે જ છે. તેથી કોઈપણ નાગરિકને સસ્તા અનાજના નામે ટોણો મારવો એ લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
સોશિયલ મીડિયા પર જ્યારે યુવાનો પોલીસ કે સરકારી અધિકારીને કહે છે કે “તમે અમારા ટેક્સના પૈસે પગાર લો છો”, ત્યારે તે કોઈ અપમાન નથી પરંતુ બંધારણીય વાસ્તવિકતા છે. સરકારી તંત્રના દરેક નાના-મોટા કર્મચારી, અધિકારી, મંત્રીઓ અને ન્યાયાધીશોના પગાર અને ભથ્થાં દેશની જનતાની પરસેવાની કમાણીમાંથી એકત્રિત થયેલા સરકારી ખજાનામાંથી જ ચૂકવાય છે. જનતા ‘માલિક’ (પબ્લિક) છે અને સરકારી તંત્ર ‘સેવક’ (પબ્લિક સર્વન્ટ) છે. માલિક જ્યારે પોતાના સેવકને સવાલ પૂછે અથવા જવાબદારી યાદ અપાવે, ત્યારે તેને ‘બાપુજીનો ટેક્સ’ કહીને ઉડાવી ન શકાય.
આ ઉપરાંત ડાયરામાં માયાભાઈ દ્વારા વીડિયો ઉતારનારા યુવાનો પર કટાક્ષ કરવામાં આવ્યો છે. આજે સોશિયલ મીડિયા અને મોબાઈલ કેમેરા એ ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ સામે સામાન્ય માણસનું સૌથી મોટું હથિયાર બન્યા છે. જો કોઈ સરકારી કર્મચારી ફરજ દરમિયાન લાંચ લેતો હોય કે સામાન્ય જનતા સાથે ગેરવર્તણૂક કરતો હોય કે કાયદાનું ઉલ્લંઘન કરતો હોય તો તેનો વીડિયો ઉતારવો એ ગુનો નથી પણ જાગ્રત નાગરિકતાની નિશાની છે. પારદર્શિતાથી એ જ ડરે છે જેને કંઈક છુપાવવાનું હોય. ઈમાનદાર અધિકારીઓને ક્યારેય જનતાના કેમેરાથી ડર લાગતો નથી.
કલાકારો અને સાહિત્યકારો સમાજનો અરીસો હોય છે. તેમની જવાબદારી જનતામાં જાગૃતિ લાવવાની અને સત્તાધારીઓને આયનો બતાવવાની હોય છે, નહીં કે સત્તા કે વહીવટીતંત્રના મોહમાં આવીને સામાન્ય જનતાનું અપમાન કરવાની. માયાભાઈ આહીરનું આ નિવેદન આર્થિક ગેરસમજ અને અહંકારથી પ્રેરિત દેખાય છે. દેશનો રિક્ષાચાલક, શાકભાજી વેચનાર કે મજૂર પણ એટલો જ સન્માનનીય ટેક્સપેયર છે જેટલો કોઈ મોટો ઉદ્યોગપતિ કે કલાકાર છે. લોકશાહીમાં ‘જનતા જ જનાર્દન છે’ એ વાત કલાકારોએ ક્યારેય ભૂલવી જોઈએ નહીં.
ડાયરામાં માયા આહીરનું સંપૂર્ણ નિવેદન શું હતું?
સુરતના ડાયરા દરમિયાન માયાભાઈ આહીરે સોશિયલ મીડિયા પર પોલીસના વીડિયો ઉતારતા સામાન્ય યુવાનો પર કટાક્ષ કરતા મંચ પરથી કહ્યું હતું કે, “અને એમાંય હવે તો વાત જ કરવાની નથી, જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. ‘તમે અમારો પગાર ખાઓ છો…’ જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય એ બધા! આવી જ રીત છે. આજે ઈ ત્યાં દેવા જાય છે ને ‘તમે અહીંયા અમારા ટેક્સ ઉપર પગાર લ્યો છો…’ ઈ રેશનિંગના ઘઉં ખાતા હોય ઈ બધા… અને એણે જિંદગીમાંય ટેક્સ નો ભર્યો હોય સાહેબ.” આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સામાન્ય જનતામાં આક્રોશ ફેલાયો હતો.




