રાજકોટ શહેર પોલીસનું ઓપરેશન મિડનાઈટ 31 શકમંદોને સકંજામાં લઇ પૂછતાછ હાથ ધરી
200 જેટલા શંકાસ્પદ મોબાઈલ નંબરના લોકેશન ટ્રેક કરી ડોક્યુમેન્ટની સઘન ચકાસણી શરુ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
28 મે, 2026એ ગાંધીનગરના સોનીપુરની સભામાં અમિત શાહે હુંકાર કર્યો હતો કે દેશભરમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. શાહના હુંકારના 5માં દિવસે જ એટલે કે ગઇકાલે(2 જૂન )ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ-સુરત-રાજકોટ-વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં બાંગ્લાદેશીઓને શોધવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. અમદાવાદમાં 166 બાંગ્લાદેશી પકડાયા છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ અહીં જે કમાતા એ પૈસા આંગિડયા મારફતે કોલકાતા મોકલતા અને ત્યાંથી બાંગ્લાદેશ જતા હતા. સાથે જ કેટલીક મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી પણ પૈસા બાંગ્લાદેશ મોકલાતા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા ઓપરેશન મીડ નાઈટ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું ગત મોડી રાત્રે શરૂ થયેલી મેગા ડ્રાઈવ અંતર્ગત રાજકોટ શહેર પોલીસની જુદી જુદી 13 જેટલી ટીમોએ કોમ્બિંગ હાથ ધરીને 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે ગુપ્તચર એજન્સીઓ અને ટેકનિકલ સેલને લાંબા સમયથી ઇનપુટ્સ મળી રહ્યા હતા કે રાજકોટ સહિત ગુજરાત ભરમાં કેટલાક શંકાસ્પદ લોકો ઓળખ છુપાવીને વસવાટ કરી રહ્યા છે જેમાં રાજકોટ પોલીસને આશરે 200 જેટલા શંકાસ્પદ મોબાઈલ નંબરો મળ્યા હતા, જેમના લોકેશન અને કોલ ડિટેલ્સ શંકાસ્પદ જણાતા આખું નેટવર્ક ટ્રેસ કર્યું હતું હાલ તમામની પૂછતાછ કરી જરૂરી ડોક્યુમેન્ટ ચકાસવાની, કેટલા સમયથી રહેતા હોવા સહિતની માહિતીઓ ઓકાવવા સઘન પૂછતાછ કરવામાં આવી રહી છે.
રાજકોટના ઈન્ચાર્જ પોલીસ કમિશ્ર્નર ચૈતન્ય માંડલીકના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની રાહબરીમાં મોડી રાત્રે રાજકોટમાં ઓપરેશન મીડ નાઈટ શરુ કરવામાં આવ્યું હતું રાત્રે શહેર પોલીસની 13 ટીમોએ સઘન ચેકિંગ શરુ કર્યું હતું શહેર એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને સ્થાનિક પોલીસ મથકોની અલગ-અલગ 13 ટીમો બનાવવામાં આવી હતી આ તમામ ટીમોએ ઔદ્યોગિક વિસ્તારો, બાંધકામની સાઇટો, ઝૂંપડપટ્ટીઓ અને શ્રમિકો વસતા વિસ્તારોને કોર્ડન કરી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શંકાસ્પદ લોકેશન્સ પર દરોડા પાડીને લોકોની પૂછપરછ શરૂ કરી 31 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી પકડાયેલા લોકોમાં પાંચ મહિલાઓનો પણ સમાવેશ થાય છે પોલીસની પ્રાથમિક તપાસમાં આ લોકો પાસે ભારતીય નાગરિક હોવાના પુરાવા મળી શક્યા નથી. તેઓ ક્યાંથી આવ્યા છે, ક્યારથી રાજકોટમાં રહે છે અને અહીં લાવવામાં કોણે મદદ કરી છે તે અંગે એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ આકરી પૂછપરછ કરી રહી છે.
હાલ પકડાયેલા તમામ શંકાસ્પદોના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને અન્ય દસ્તાવેજોનું જીણવટપૂર્વક વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો નકલી ભારતીય દસ્તાવેજો બનાવીને રહેતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હોવાથી પોલીસ કોઈ કચાસ રાખવા માંગતી નથી.
વેરિફિકેશનના અંતે જો આ શંકાસ્પદ લોકો ગેરકાયદે રીતે સરહદ પાર કરીને ભારતમાં ઘૂસેલા બાંગ્લાદેશી નાગરિકો સાબિત થશે, તો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડવાનું આ વિશેષ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. બાકીના શંકાસ્પદ મોબાઈલ નંબરોના ધારકોને ટ્રેસ કરવા માટે પોલીસની ટેકનિકલ ટીમો સતત કાર્યરત છે સ્થાનિક નાગરિકો અને મકાનમાલિકોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈ અજાણ્યા કે શંકાસ્પદ શ્રમિકને કામે રાખતા પહેલા અથવા ઓરડી ભાડે આપતા પહેલા તેની ઓળખની ખાતરી કરી અને પોલીસ વેરિફિકેશન ફરજીયાત કરાવે.



