આ ફિલ્મ 7 મે 2026માં રિલીઝ થઈ છે. હાર્દિક ગજ્જરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સિદ્ધાર્થ ગુપ્તા કૃષ્ણ, સુષ્મિતા ભટ્ટ રાધા, સંસ્કૃતિ જયના સત્યભામા અને નિવાશિની કૃષ્ણન રુક્મિણીની ભૂમિકામાં છે. ફિલ્મ ભગવાન કૃષ્ણના જીવનને પ્રેમ અને ભક્તિના દૃષ્ટિકોણથી રજૂ કરે છે. વૃંદાવનથી દ્વારકા અને કુરુક્ષેત્ર સુધીની યાત્રા દર્શાવવામાં આવી છે. વાર્તા પરંપરાગત છે અને તેને સત્યભામાના પરિપ્રેક્ષ્યથી પણ જોવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મની સ્ટોરીલાઈન લેખક રામ મોરીની સત્યભામા કૃતિ પરથી પ્રેરિત છે.
સિદ્ધાર્થ ગુપ્તા કૃષ્ણના પાત્રમાં પ્રેમાળ અને શાંત સ્વભાવ સારી રીતે ઉપસાવે છે. તેમની તુલના સ્વાભાવિક રીતે નિતીશ ભારદ્વાજ સાથે થઈ જાય છે. નિતીશ ભારદ્વાજમાં આધ્યાત્મિક ઊંડાણ, આંખોમાં દિવ્યતા અને વાણીમાં વિશેષ વજન હતું. સિદ્ધાર્થ પણ ઘણે અંશે ગમી જાય છે, પરંતુ તેમની રજૂઆતમાં પરંપરાગત દિવ્યતા અને ગૌરવનો અભાવ અનુભવાય છે.
- Advertisement -
ફિલ્મના વિઝ્યુઅલ્સ અને સિનેમેટોગ્રાફી ઘણા દ્રશ્યોમાં સુંદર છે. જો કે ગ્રાફિક્સ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ કેટલાક સીન્સમાં અસરકારક લાગે છે, પરંતુ ઘણા સ્થળે નબળા અને અસ્પષ્ટ જણાય છે. ખાસ કરીને રાધાના પ્રસંગોમાં સતત ગીતોની ભરમાર દ્રશ્યોને વધુ ઘોંઘાટભર્યા બનાવી દે છે અને અકળામણ અનુભવાય છે.
પહેલો હાફ ખૂબ જ સ્લો છે અને વાર્તામાં ઊંડાણની અછત છે. આખી વાર્તા ક્યારેક અવ્યવસ્થિત અને છૂટી-છવાઈ લાગે છે. ફિલ્મ ધાર્મિક અને ફેમિલી વોચ માટે યોગ્ય છે, પરંતુ મજબૂત સ્ટોરીટેલિંગ અને ઝડપી પેસિંગ ઇચ્છતા દર્શકોને નિરાશ કરી શકે છે. અપેક્ષાઓ ઓછી રાખીને જોવી વધુ યોગ્ય રહેશે.
આ ઉપરાંત કેટલીક ખાસ વાતો:
કૃષ્ણાવતાર જેવી પિરિયડ ફિલ્મમાં સૌથી મહત્વની બાબતોમાં એક ભાષા છે. જો ફિલ્મ મહાભારતકાળ કે કૃષ્ણયુગને એ જ દેશકાળમાં રજૂ કરવાની દાવેદારી કરતી હોય, તો તેના સંવાદો પણ તે સમયની ભાષિક સંસ્કૃતિને અનુરૂપ હોવા જોઈએ.
- Advertisement -
પરંતુ ફિલ્મમાં વપરાયેલા ઘણા શબ્દો અને વાક્યપ્રયોગો આજની હિન્દી-ઉર્દૂ બોલચાલ સાથે એટલા ગાઢ રીતે જોડાયેલા છે કે તે દર્શકને પ્રાચીન યુગમાંથી બહાર ખેંચી લે છે.
ફિલ્મમાં વપરાયેલા આવા શબ્દો અને પ્રયોગોમાં – રુકાવટ, સહારા, હશર, છુપ જાયેગી, પતા ન ચલે, નીંદ, ચાચી, ઠીક સે, અધૂરા, દોહરાયે, પતંગા, ગહેરાઈ, પાગલ, બસ મેં નહિ, ડર નહિ લગતે, ચીલાઉંગી, આપ કે બારે મેં, સમજ સે પરે, જાન બુઝકર, શગુન, શાદી, ડરપોક, આસમાન, અંજાન, મેરા બસ ચલે તો, ધડકન, અરજી, ઇસ તરહ, બારીશ, ફિસલન, આંસુ, ઉપરવાલા, ભૈયા, સિંદૂર, સવાલ, બાદ મેં, વાપસ, અલગ હું, ભરોસા, બદલાવ, સ્વીકાર નહિ કરેંગે, જુગનુ, બચપના છોડો જેવા અનેક પ્રયોગોનો સમાવેશ થાય છે.
આમાંના ઘણા શબ્દો પાછળની ફારસી-અરબી અથવા લોકહિન્દી પરંપરામાં વિશેષ લોકપ્રિય બનેલા છે. આસમાન, શાદી, અરજી, હશર જેવા શબ્દો સ્પષ્ટપણે ફારસી-અરબી પ્રભાવ ધરાવે છે, જ્યારે ઉપરવાલા, ભૈયા, ઠીક સે, આપકો પતા હૈ, એક બાર ભી નહિ સોચા, મેં બાદ મેં આતી હું જેવા વાક્યો આજની ઉત્તર ભારતીય ઘરેલું બોલચાલ જેવા લાગે છે.
પ્રશ્ન ફક્ત બે-ચાર શબ્દોનો નથી, પરંતુ આખી ભાષાના સ્વભાવનો છે. અહીં ભાષા ઘણી જગ્યાએ એવી લાગે છે જાણે કોઈ આધુનિક ટીવી-સીરિયલના સંવાદોને પૌરાણિક વસ્ત્રો પહેરાવી દેવામાં આવ્યા હોય.
મહાભારતકાળની ચોક્કસ લોકભાષા શું હતી તે વિશે સંપૂર્ણ નિશ્ચિતતા શક્ય નથી. સંસ્કૃત મુખ્યત્વે ઊંચી પરંપરાની ભાષા હતી અને સામાન્ય લોકો વિવિધ પ્રાકૃત આધારિત બોલીઓ બોલતા હશે. છતાં, પિરિયડ સિનેમામાં ભાષાનો એક સમયાતીત સ્વભાવ હોવો જરૂરી બને છે. વળી ડાયલોગ્સ આજનાં ગુજરાતી નાટક જેવાં લાગે છે – ઊંડાણ ઓછું અને શબ્દોની તુકબંધી દ્વારા ચમત્કૃતિ ઊભી કરવાનો પ્રયાસ વધુ!
સ્ત્રી પાત્રોના લુક, હેરસ્ટાઈલ અને વસ્ત્રપરિધાનમાં દેખાતી કચાશ પિરિયડ સિનેમાની વિશ્વસનીયતાને અસર કરે છે. શુદ્ધ પિરિયડ ફિલ્મ તરીકે રજૂ થતી કૃતિમાં પાત્રો પણ તે જ યુગના જીવંત અંશ જેવા લાગવા જોઈએ, પરંતુ અહીં આધુનિક એચડી મેકઅપ, પરફેક્ટ આઈબ્રો લાઇન, અતિશય શાર્પ આઈલાઈનર અને મેટ લિપસ્ટિકના શેડ્સ સ્પષ્ટપણે આધુનિકતા દર્શાવે છે.
પૌરાણિક કથાને ટીવી સિરિયલ જેવા આધુનિક સંવાદો પહેરાવાયા
લેખક રામ મોરીની ‘સત્યભામા’ કૃતિ પરથી પ્રેરિત ફિલ્મમાં આધુનિક હિન્દી-ઉર્દૂ શબ્દોની ભરમાર
દ્વાપર યુગની સાદગી ગાયબ: એચડી મેકઅપ, બ્લો-ડ્રાય હેરસ્ટાઇલ અને દરબારી સંગીત પરંપરા જેવી ઠુમરી-દાદરા શૈલીના કારણે ફિલ્મની વિશ્ર્વસનીયતા નબળી પડી
દ્વાપર યુગની સ્વાભાવિક સાદગી અને ઓર્ગેનિક મધુરતાની જગ્યાએ ગ્લેમરસ અને સલૂન-પર્ફેક્ટ લુકને વધુ પ્રાધાન્ય અપાયું છે.
ભારતીય પરંપરાગત શ્રુંગારશૈલી પ્રાકૃતિક આભા અને સૌમ્યતાને ઉજાગર કરતી હતી. હળદર, ચંદન, કાજળ, અત્તર અને ફૂલો આધારિત શ્રુંગાર પ્રચલિત હતો. અજંતા-ઇલોરાનાં ભીતિચિત્રો તથા પ્રાચીન શિલ્પોમાં પણ સ્ત્રીઓનો લુક વધુ મૃદુ અને સ્વાભાવિક દેખાય છે, જ્યારે અહીંનો મેકઅપ સોશિયલ મીડિયા અને આધુનિક ફેશન ફોટોશૂટથી પ્રેરિત વધુ લાગે છે.
સૌથી વધુ આંખે વળગે તેવી કચાશ પાત્રોની હેરસ્ટાઈલમાં દેખાય છે. ટ્રેલરમાં રાધાજી અને ગોપીઓના વાળ જે રીતે બ્લો-ડ્રાય કરેલા, સેટ કરેલા અને આધુનિક પદ્ધતિથી કર્લ કરીને છુટ્ટા મૂકેલા બતાવવામાં આવ્યા છે, તે બ્રજભૂમિની ગ્રામીણ વાસ્તવિકતા સાથે બિલકુલ મેળ ખાતા નથી. પ્રાચીન કાળમાં સ્ત્રીઓ જે ગરિમાપૂર્ણ અંબોડો કે ગૂંથેલી ચોટલી વાળતી અને તેને કુદરતી ફૂલોથી સજાવતી, તેની જગ્યાએ અહીં આધુનિક હેર-સ્ટાઇલિંગના ટ્રેન્ડ્સ વધુ દેખાય છે. જે પાત્રો ગાયો દોહતા, માખણ વલોવતા અને વન-વગડામાં વિહરતા હોય, તેમના વાળ આટલા આધુનિક રીતે વ્યવસ્થિત અને હેર-સ્પ્રેથી ફિક્સ કરેલા હોય તે દ્રશ્યની વિશ્વસનીયતા નબળી પાડે છે.
વસ્ત્રો અને દાગીનાની પસંદગીમાં પણ ઐતિહાસિક સંશોધનના સ્થાને વ્યવસાયિક ભવ્યતા વધુ દેખાય છે. કાપડ પરનું ચમકતું જરીકામ, સિક્વન્સ વર્ક અને લહેંગા-ચોલીનું આધુનિક ફિટિંગ ક્યાંયથી પણ હજારો વર્ષ જૂના કાપડના વણાટ કે સાદગીનો અહેસાસ કરાવતું નથી. તેમજ, પાત્રોએ પહેરેલા ઘરેણાં પ્રાચીન ભારતીય શિલ્પો કે ગ્રંથોના વર્ણન આધારિત લાગતા નથી, પરંતુ હિન્દી ટીવી સિરિયલોમાં વારંવાર જોવા મળતી ભારે કુંદન અને આધુનિક બ્રાઈડલ જ્વેલરી જેવા વધુ લાગે છે. આમ, મેકર્સ દ્વારા ઇતિહાસ પ્રત્યે વફાદાર રહેવાને બદલે માત્ર એક ગ્લેમરસ ફેન્ટસી વર્લ્ડ ઊભી કરવાની ઉતાવળ વધુ જણાય છે.
‘કૃષ્ણાવતારમ’ના ગીતો શ્રવણપ્રિય હોવા છતાં, તેમાં બેએક ગીતમાં પ્રયોજાયેલી શૈલી પૌરાણિક અનુભૂતિ કરતાં મધ્યકાલીન અને આધુનિક સંગીતપ્રભાવ તરફ વધુ નમેલી જણાય છે. આ એલ્બમમાં શાસ્ત્રીય રાગો, ખાસ કરીને કાફી કે ખમાજ રાગની છાયા ધરાવતું શ્યામલ સાંવરે, મેં પરૂં બાવરે ગીત રાધાજીના વિરહ અને પ્રેમભાવને ગંભીર સૂરો સાથે રજૂ કરે છે. આ ગીત શુદ્ધ શાસ્ત્રીય બંધિશ, ઠુમરી અને દાદરા શૈલી તેમજ સુગમ સંગીતના મિશ્રણ પર આધારિત લાગે છે. આ જ પ્રકારની છાયા મુખડા દિખા જા કાન્હામાં પણ અનુભવાય છે, જ્યાં રાધાજીની આકુળતા અને કૃષ્ણના દર્શનની આજીજીને અર્ધ-શાસ્ત્રીય ઠુમરી અંદાજમાં રજૂ કરવામાં આવી છે.
પ્રશ્ન એ છે કે શું એક કૃષ્ણકાલીન ફિલ્મમાં આવી સંગીતશૈલી યોગ્ય ગણાય? સંગીત ભલે મધુર હોય, છતાં ઐતિહાસિક દૃષ્ટિએ આ શૈલીઓનો વિકાસ ઘણો પાછળનો છે. ઠુમરી અને દાદરા પરંપરા મુખ્યત્વે 18મી-19મી સદીમાં લખનૌ અને બનારસના દરબારી સંસ્કારમાં વિકસી હતી. કૃષ્ણભક્તિ સાથે તેનો સંબંધ પછીથી ગાઢ બન્યો, પરંતુ તેનો અર્થ એ નથી કે તે કૃષ્ણયુગની મૂળ સંગીત પરંપરા હતી.
કૃષ્ણકાલીન સંગીત વિશે સંપૂર્ણ નિશ્ચિતતા શક્ય નથી, પરંતુ વૈદિક સામગાન, પ્રાચીન પ્રબંધગાન અને પછી વિકસેલી ધ્રુવપદ પરંપરા તે સમયના આધ્યાત્મિક અને ધાર્મિક સ્વભાવને વધુ નજીક લાગતી શૈલીઓ માનવામાં આવે છે. જો સર્જકો વ્રજભૂમિનો વધુ પ્રામાણિક માહોલ ઊભો કરવા માંગતા, તો તેમની પાસે ઠુમરી સિવાય પણ ઘણા રસપ્રદ વિકલ્પો ઉપલબ્ધ હતા.
આવા વિકલ્પોમાં હવેલી સંગીત અને કીર્તન પરંપરા સૌથી મહત્વપૂર્ણ ગણાય. ધ્રુવપદ આધારિત હવેલી કીર્તનોમાં જે ગંભીરતા, સમર્પણ અને દૈવીભાવ અનુભવાય છે, તે આવી પિરિયડ ફિલ્મોના માહોલ સાથે વધુ સુસંગત બની શકે. પખવાજ, ઝાંઝ અને મર્યાદિત વાદ્યોના સાથ સાથેનું સંગીત દ્રશ્યોમાં એક અલૌકિક ગાંભીર્ય ઊભું કરી શક્યું હોત. તેના મુકાબલે અહીં ઘણી જગ્યાએ સંગીત ભાવવિશ્વ રચવાને બદલે ભાવનાત્મક સૂચના આપતું વધુ લાગે છે – જાણે દર્શકને શું અનુભવવું તે સતત કહી રહ્યું હોય.
બીજો રસપ્રદ વિકલ્પ ભાવગીત અથવા વધુ સંયમિત સુગમ સંગીતનો હતો, જ્યાં ગાયકીની નાટકીય હરકતો કરતાં શબ્દોના ભાવને પ્રાધાન્ય મળે. તેની મદદથી રાધાજીની વિરહવેદના વધુ સરળ છતાં હૃદયસ્પર્શી રીતે રજૂ થઈ શકી હોત.



