માતાપિતા હંમેશા બાળકોના પ્રથમ હિતેચ્છુ રહ્યા છે. છતાં આજનાં પેરેન્ટ્સ બાળકો સાથે મિત્ર બની તેમણે યોગ્ય માર્ગ બતાવે છે તે ખૂબ જરૂરી છે.
ટીનેજ માત્ર શરીરના બદલાવની અવસ્થા નથી, પરંતુ વ્યક્તિત્વ, વિચારશક્તિ અને જીવનમૂલ્યો ઘડતી મહત્વપૂર્ણ માનસિક અવસ્થા છે. જેમાં માત્ર શરીરમાં જ નહીં પરંતુ મન, વિચારો અને વર્તનમાં પણ મોટા ફેરફારો આવે છે. આ માનસિક અને ભાવનાત્મક પરિવર્તનની અવસ્થા છે.
આજના આધુનિક સમયમાં ટીનેજર બાળકો અનેક પ્રકારના પ્રલોભનો અને આકર્ષણોથી ઘેરાયેલા છે.
મોબાઇલ, સોશિયલ મીડિયા, વેબસિરીઝ, ખોટી મિત્રોની સોબત, નશાની આદતો અને દેખાદેખીની સ્પર્ધા જેવી અનેક બાબતો યુવાનોને સહેલાઈથી પ્રભાવિત કરી શકે છે.
પહેલાં જે વસ્તુઓ જોવા જાણવા સુધી પહોંચવું મુશ્કેલ હતું, તે બધું એક ક્લિકમાં થાળીમાં પીરસાઈને તેમની સામે આવી જાય છે. આવી પરિસ્થિતિમાં ટીનેજર બાળકોને સાચું માર્ગદર્શન આપનાર વ્યક્તિની ખૂબ જરૂર રહે છે, જેથી ખરા ખોટા વચ્ચેનો ભેદ સમજી શકે અને ગેરમાર્ગે જતા અટકી શકે.
- Advertisement -
આ સમય દરમિયાન કિશોરોમાં પોતાની ઓળખ બનાવવાની ઇચ્છા સાથે ગમે અણગમો, હું કોણ છું? જીવનમાં શું કરવું છે? જેવા પ્રશ્નો વિશે વિચારવા લાગે છે. સ્વતંત્ર નિર્ણય લેવાની ભાવના વિકસે છે.
ટીનેજમાં મિત્રો અને સમાજનો પ્રભાવ પણ વધુ જોવા મળે છે,મિત્રોના વર્તન, વિચારો અને પસંદગીઓથી ઝડપથી પ્રભાવિત થાય છે. પોતાના દેખાવ, અભ્યાસ અને ભવિષ્ય વિશે ચિંતા પણ વધે છે, જેના કારણે આત્મવિશ્વાસ અને સંકોચ બંને અનુભવાય છે.
આ અવસ્થામાં માતા-પિતા અને શિક્ષકોનું માર્ગદર્શન ખૂબ જરૂરી બને છેમ સમજણ, પ્રેમ અને યોગ્ય માર્ગદર્શન દ્વારા કિશોરોને સકારાત્મક દિશામાં આગળ વધવામાં મદદ મળી શકે છે.
યુવાનીમાં પગ માંડતા બાળકોના સ્વભાવની એક ખાસ વિશેષતા એ છે કે તેમને વધારે રોકટોક પસંદ નથી આવતી. તેઓ પોતાની સ્વતંત્ર ઓળખ બનાવવાની કોશિશ કરતા હોય છે. આ ઉંમરે તેઓને લાગે છે કે હવે તેઓ મોટા થઈ ગયા છે અને પોતે નિર્ણય લેવા સક્ષમ છે. તેથી જો માતા-પિતા દરેક વાતમાં ના કહે, સતત રોકે ટોકે કે નિયંત્રણ રાખે, તો બાળકોમાં વિરોધભાવ જન્મે છે. ઘણીવાર જે કામ માટે મનાઈ હોય તે જ કામ કરવાની તેમની ઉત્સુકતા અને ઝૂનૂન વધુ વધી જાય છે.
- Advertisement -
ટીનેજર બાળકોને સમજવું ખૂબ જરૂરી છે. બાળકોની યોગ્ય માંગણીઓ પૂરી કરવામાં આવે તો તેઓમાં વિશ્વાસ અને સંતોષની લાગણી જન્મે છે. પરંતુ સાથે તેમને અપાતી છૂટ અને સ્વતંત્રતા પર માતા-પિતાનું નિયંત્રણ પણ જરૂરી છે. અતિશય છૂટ બાળકોને બેદરકાર અને સ્વચ્છંદી બનાવી શકે છે, જ્યારે વધુ કડકાઈ તેમને બળવાખોર બનાવી શકે છે. તેથી બંને વચ્ચેનું સંતુલન જાળવવું અત્યંત જરૂરી છે.
માતા-પિતા અથવા વડીલો ઘણીવાર ફરિયાદ કરે છે કે બાળક હવે પહેલું જેવું રહ્યું નથી અથવા તેની સાથે વાત કરવી મુશ્કેલ બની ગઈ છે. પરંતુ હકીકતમાં ટીનેજર બાળકોને સૌથી વધારે જરૂર સમજણ, વિશ્વાસ અને મિત્રતાભર્યા સંબંધોની હોય છે.
ખાસ કરીને દીકરી સાથે માતાની ભૂમિકા અહીં ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. એક મા દીકરીની માનસિક અવસ્થા અને જીવનના આ મહત્વના પડાવને ઉભરતી લાગણીઓને વધુ સમજી શકે છે. માતા જો બાળકની નજીક રહે, તેના વર્તન, મિત્રવર્તુળ અને દૈનિક હિલચાલને ઝીણવટથી સમજે, તો ઘણી સમસ્યાઓ શરૂઆતમાં જ ઓળખી શકાય છે. બાળકના સ્વભાવમાં આવતા નાના ફેરફારોને, જેમ કે અચાનક ગુસ્સો વધવો, એકાંતમાં રહેવું, અભ્યાસ પ્રત્યે ઉદાસીનતા વગેરેને માતા સરળતાથી સમજી શકે છે.
મીતા એક સમજુ માતા હતી. અમેરિકામાં આવી ત્યારથી એ જોતી આવી હતી કે અહી બાળકોને બહુ છુટ છે. તેમાય આજની જનરેશન ભારે જીદ્દી છે. તેના બે બાળકો મોટો રોકી અને નાની રીના ટીનેજર થયા ત્યાં સુધી બધું બરાબર હતું. પરંતુ રોકી 16 વર્ષનો થયો અને રીના 14 વર્ષની થઇ પછી બધું બદલાઈ ગયું. રોકીને તેના પિતાની હુંફ મળતી હતી આથી તે તેમની સાથે સ્પોર્ટ્સ અને બીજા શોખની વાતો કરતો, મીતાને હવે તેની ખાસ ચિંતા નહોતી.
પરંતુ રીનાને સંભાળવી મુશ્કેલી ભર્યું લાગતું હતું. આખો દિવસ ફોન અને લેપટોપની સાથે રૂમમાં ભરાઈ રહે ઘરમાં જરૂરીયાત વિના ખાસ વાતો કરતી નહોતી આથી મિતાને તેની ચિંતા વધવા લાગી. બહુ વિચારી તેણે રીના ના મ્યુઝિક ક્લાસ દૂર નક્કી કરાવ્યા. આના કારણે અઠવાડિયામાં બે વખત તેણે રીના સાથે ડ્રાઈવ કરી જવા આવવાનું રહેવા લાગ્યું. ,આ તેમની માટે વરદાન બની ગયું.
આ કલાક તે રીનાને તેના ફ્રેન્ડસ વિષે તેની સ્કુલ લાઈફ વિષે વિગતવાર પૂછતી અને જરૂર વિના કદીયે ટોકતી નહોતી. માત્ર સાંભળતી અને રસ બતાવતી રહેતી. આમ માત્ર થોડાજ વખતમાં મા દીકરી વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ. રીના હવે તેના ફ્રેન્ડના સિક્રેટ્સ પણ કહેવા લાગી. બદલામાં વાતો વાતોમાં મીતા તેણે ઉદાહરણો ટાંકી આમ ના કરતાં આમ કર્યું હોત તો શું ફાયદો કે નુકશાન થાય એ સમજાવતી. આમ ઝાઝા પ્રયત્નો કે મનમોટાવ વિના દીકરીને પડખામાં રાખી મિતાએ ખૂબ સમજદારી પૂર્વક સંભાળી લીધી.
ટીીનેજર બાળકો બહારથી કઠોર, આત્મવિશ્વાસી અથવા ઉદ્દંડ દેખાવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અંદરથી ખૂબ જ લાગણીશીલ અને સંવેદનશીલ હોય છે. તેઓ પોતાના વિચારો અને લાગણીઓને સહેલાઈથી વ્યક્ત કરી શકતા નથી. ઘણીવાર ડરતા હોય છે કે કોઈ તેમને સમજી નહીં શકે અથવા તેમની મજાક ઉડાવશે.
બાળકોની નજીક જવાનું એક ઉત્તમ સાધન છે – તેમના રસ અને શોખમાં રસ લેવું. આજના ટીનેજરોને સંગીત, રમતગમત, મોબાઇલ ગેમ્સ, ફિલ્મો, સોશિયલ મીડિયા, ટેકનોલોજી અથવા વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં રસ હોય છે. મોટા લોકો જો તેમના ગમતા વિષયો વિશે થોડું જ્ઞાન મેળવે અને તેમની સાથે તે અંગે ચર્ચા કરે, તો બાળકોને લાગે છે કે મને સમજવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ લાગણી તેમને નજીક લાવે છે.
બાળકો ખૂબ સમજદાર અને હોંશિયાર હોય છે. જો તેઓને એમ બતાવવામાં આવે કે મોટાઓ કરતાં તેમને વધુ જાણ છે, આવડત ધરાવે છે ત્યારે તેઓ વધુ આત્મવિશ્વાસ અનુભવે છે. ટીનેજર બાળકો સાથે નજીકનો સંબંધ બનાવવો મુશ્કેલ તો છે, પરંતુ અશક્ય નથી. પ્રેમ, ધીરજ, સમજણ અને મિત્રતાભર્યા વ્યવહારથી તેઓના મન સુધી સરળતાથી પહોંચી શકાય છે. અહીં વિશ્વાસ સૌથી મોટો આધારસ્તંભ છે.
આજના અતિ વ્યસ્તતા ભર્યા જીવનમાં એક મા અને પિતાનું બાળકોની નજદીક રહેવું ખાસ જરૂરી છે. બાળકનાં યોગ્ય ઉછેરની અસરથી તેમની આવતી કાલ ઉજ્જવળ બનવાની છે.



