કર્ણાટકમાં સત્તા પરિવર્તન: સિદ્ધારમૈયાની વિદાય, ડી.કે. શિવકુમારનો ઉદય અને કોંગ્રેસના નવા રાજકીય સમીકરણો
અઢી-અઢી વર્ષની સત્તા વહેંચણીની ફોર્મ્યુલા હવે વાસ્તવિકતા બની છે અને રાજ્યનું નેતૃત્વ નવા હાથોમાં જવા તૈયાર
- Advertisement -
કર્ણાટકની રાજનીતિમાં મે 2026 એક ઐતિહાસિક વળાંક લઈને આવ્યો છે. રાજ્યના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 28 મેના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું, અને તેની સાથે જ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતી અટકળો પર પૂર્ણવિરામ મૂકાયું. કોંગ્રેસ દ્વારા 2023ની વિધાનસભા ચૂંટણી પછી ઘડવામાં આવેલી અઢી-અઢી વર્ષની સત્તા વહેંચણીની ફોર્મ્યુલા હવે વાસ્તવિકતા બની છે અને રાજ્યનું નેતૃત્વ નવા હાથોમાં જવા તૈયાર છે.
સિદ્ધારમૈયાની વિદાય માત્ર એક મુખ્યમંત્રીના રાજીનામાની ઘટના નથી; તે કર્ણાટક કોંગ્રેસની અંદર ચાલતી સત્તા, સામાજિક સમીકરણો અને આગામી ચૂંટણીની વ્યૂહરચનાઓ સાથે જોડાયેલો એક મોટો રાજકીય પરિવર્તનબિંદુ છે.
સમાજવાદી પૃષ્ઠભૂમિથી મુખ્યમંત્રી પદ સુધી
સિદ્ધારમૈયાની રાજકીય સફર અનોખી રહી છે. તેઓ મૂળ લોહિયાવાદી વિચારધારા સાથે જોડાયેલા હતા અને લાંબા સમય સુધી કોંગ્રેસના વિરોધી રાજકારણમાં સક્રિય રહ્યા હતા. 2006માં જેડીએસમાંથી અલગ થયા બાદ તેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. તે સમયે બહુ ઓછા લોકોને અંદાજ હતો કે આ નેતા ભવિષ્યમાં કર્ણાટક કોંગ્રેસનો સૌથી મોટો ચહેરો બની જશે.
ગરીબ પરિવારમાં જન્મેલા અને કુરુબા (ચરવાહા) સમુદાયમાંથી આવતા સિદ્ધારમૈયાએ અભ્યાસ કરીને એલએલબીની ડિગ્રી મેળવી હતી અને થોડો સમય લેક્ચરર તરીકે પણ કામ કર્યું હતું. રાજકારણમાં તેમનો ઉદય ધીમે ધીમે થયો, પરંતુ એકવાર તેઓ રાજ્યસ્તરના નેતા બન્યા પછી સતત પોતાની અલગ ઓળખ ઊભી કરતા રહ્યા.
તેમની સૌથી મોટી રાજકીય શક્તિ ‘અહિંદા’ સામાજિક સમીકરણ રહ્યું, જેમાં ઓબીસી, દલિત અને લઘુમતી વર્ગોને એક મજબૂત રાજકીય ગઠબંધનમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ સામાજિક એન્જિનિયરિંગે તેમને કર્ણાટકના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં સ્થાન અપાવ્યું.
પદયાત્રાથી સત્તા સુધી
સિદ્ધારમૈયાના રાજકીય જીવનની સૌથી યાદગાર ઘટનાઓમાં 2010ની બેંગલુરુથી બેલ્લારી સુધીની 320 કિલોમીટરની પદયાત્રાનો સમાવેશ થાય છે. તે સમયે બેલ્લારીના માઇનિંગ ઉદ્યોગ અને જનાર્દન રેડ્ડીના પ્રભાવ સામે કોંગ્રેસ વિરોધી અભિયાન ચલાવી રહી હતી.
આ પદયાત્રાએ રાજ્યમાં કોંગ્રેસ માટે નવી રાજકીય ઊર્જા ઊભી કરી હતી. ઘણા વિશ્લેષકો માને છે કે આ જ અભિયાનના કારણે 2013માં કોંગ્રેસને સત્તામાં વાપસી કરવાનો માર્ગ સરળ બન્યો હતો અને સિદ્ધારમૈયા પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા.
વિત્તીય વ્યવસ્થાપનમાં પણ તેમણે અલગ છાપ છોડી છે. પોતાના રાજકીય જીવન દરમિયાન તેમણે 17 વખત કર્ણાટકનું બજેટ રજૂ કર્યું છે, જે ભારતીય રાજકારણમાં એક દુર્લભ રેકોર્ડ ગણાય છે. આ મામલે તેઓ માત્ર ગુજરાતના વજુભાઈ વાળા પછી બીજા ક્રમે આવે છે.
વિદાયની ભાવુક ક્ષણ
28 મે 2026નો દિવસ કર્ણાટક કોંગ્રેસ માટે અત્યંત ભાવુક રહ્યો. મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં સિદ્ધારમૈયાએ પોતાના સહયોગીઓને નિર્ણયની જાણ કરી. અનેક મંત્રીઓ અને કાર્યકરો માટે આ ક્ષણ સ્વીકારવી મુશ્કેલ બની હતી. કેટલાક નેતાઓ જાહેરમાં ભાવુક થઈ ગયા હતા.
સિદ્ધારમૈયાએ રાજીનામા પછી સ્પષ્ટ કર્યું કે તેમણે હાઈકમાન્ડના નિર્ણય અને પોતાની સ્વેચ્છા બંનેના આધારે પદ છોડ્યું છે. તેમણે બંધારણ પ્રત્યે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે લોકશાહી વ્યવસ્થાએ જ તેમને સામાન્ય ચરવાહા પરિવારમાંથી રાજ્યના સર્વોચ્ચ પદ સુધી પહોંચવાની તક આપી.
તેમણે આ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ સક્રિય રાજકારણ છોડવાના નથી. હાઈકમાન્ડ દ્વારા રાજ્યસભાની ઓફર કરવામાં આવી હોવાની ચર્ચાઓ વચ્ચે તેમણે દિલ્હી જવાની તક ઠુકરાવી દીધી અને કહ્યું કે કર્ણાટકની જનતાએ તેમને પાંચ વર્ષ માટે ચૂંટ્યા છે, તેથી તેઓ બાકીના કાર્યકાળ દરમિયાન રાજ્યની રાજનીતિમાં જ સક્રિય રહેશે.
2023ની અંદરખાને થયેલી સમજૂતી
2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળ્યા બાદ મુખ્યમંત્રી કોણ બનશે તે સૌથી મોટો પ્રશ્ન હતો. એક તરફ સિદ્ધારમૈયા રાજ્યના સૌથી લોકપ્રિય કોંગ્રેસી ચહેરા હતા, તો બીજી તરફ ડી.કે. શિવકુમારે સંગઠનને મજબૂત બનાવવામાં અને ચૂંટણી જીતાડવામાં અસાધારણ ભૂમિકા ભજવી હતી.
અંતે પક્ષના ટોચના નેતૃત્વે સત્તા વહેંચણીનો માર્ગ પસંદ કર્યો. ચર્ચાઓ મુજબ તે સમયે એવી સમજણ બની હતી કે શરૂઆતના અઢી વર્ષ સિદ્ધારમૈયા મુખ્યમંત્રી રહેશે અને ત્યારબાદ નેતૃત્વ પરિવર્તન કરવામાં આવશે. આ સમજૂતીને કારણે તાત્કાલિક આંતરિક ટકરાવ ટળી ગયો હતો, પરંતુ તેની અસર ભવિષ્યમાં દેખાવાની જ હતી.
સિદ્ધારમૈયાનો યુગ આથમ્યો: ગરીબ પરિવારમાંથી આવી ‘અહિંદા’ સામાજિક સમીકરણ દ્વારા મુખ્યમંત્રી સુધી 5હોંચ્યાં
દિલ્હીની નિર્ણાયક બેઠક
મે 2026માં દિલ્હીમાં કોંગ્રેસના ટોચના નેતૃત્વ અને કર્ણાટકના નેતાઓ વચ્ચે થયેલી મહત્વપૂર્ણ બેઠક આ સમગ્ર પ્રક્રિયાનો નિર્ણાયક તબક્કો બની. આ બેઠક દરમિયાન સિદ્ધારમૈયાને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે હવે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને નેતૃત્વ પરિવર્તન કરવું જરૂરી છે. કહેવાય છે કે તેમણે પોતાના પક્ષમાં અનેક દલીલો રજૂ કરી, પરંતુ અંતે હાઈકમાન્ડ પોતાના નિર્ણય પર અડગ રહ્યું.
સિદ્ધારમૈયાએ માત્ર એટલી વિનંતી કરી કે તેઓ બેંગલુરુ પરત જઈને પોતાના મંત્રિમંડળ અને સમર્થકોને વિશ્વાસમાં લઈ શકે. ત્યારબાદ રાજીનામાની પ્રક્રિયા શરૂ થઈ.
ડી.કે. શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચક
સિદ્ધારમૈયાના ઉત્તરાધિકારી તરીકે સૌથી આગળ રહેલું નામ ડી.કે. શિવકુમારનું છે. વોક્કાલિગા સમુદાયમાંથી આવતા શિવકુમાર લાંબા સમયથી કોંગ્રેસના સૌથી અસરકારક સંગઠનાત્મક નેતાઓમાં ગણાય છે.
1962માં કનકપુરામાં જન્મેલા શિવકુમાર આઠ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. શરૂઆતમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમણે સતત પોતાની રાજકીય સ્થિતિ મજબૂત બનાવી.
તેમની ઓળખ માત્ર ચૂંટણી જીતનારા નેતા તરીકે નહીં, પરંતુ મુશ્કેલીના સમયમાં પક્ષને બચાવનારા નેતા તરીકે પણ રહી છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ધારાસભ્યોને એકજૂથ રાખવાની જવાબદારી તેમણે સફળતાપૂર્વક નિભાવી હતી. આ જ કારણ છે કે તેમને કોંગ્રેસના “ટ્રબલ શૂટર” તરીકે ઓળખવામાં આવે છે.
જો કે તેમનો રાજકીય માર્ગ વિવાદોથી મુક્ત રહ્યો નથી. આવકવેરા વિભાગના દરોડા, ઈડીની કાર્યવાહી, તિહાર જેલમાં વિતાવેલો સમય અને ગેરકાયદેસર ખનન તથા જમીન સંબંધિત આરોપોએ તેમના કરિયરને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. છતાં તેઓ આ તમામ કેસોને રાજકીય પ્રેરિત ગણાવતા રહ્યા છે.
2023ની ચૂંટણી દરમિયાન જાહેર કરાયેલા હલફનામા મુજબ તેમની સંપત્તિ 1214 કરોડ રૂપિયાથી વધુ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જેના કારણે તેઓ દેશના સૌથી સમૃદ્ધ ધારાસભ્યોમાં ગણાય છે.
ખઞઉઅ વિવાદ અને રાજકીય સંદેશ
સિદ્ધારમૈયાની વિદાય પાછળ માત્ર સત્તા વહેંચણીની ફોમ્ર્યુલા જ જવાબદાર હોવાનું માનવું પૂરતું નથી. તાજેતરના ખઞઉઅ પ્લોટ ફાળવણી વિવાદે પણ તેમની છબી પર અસર કરી હતી. ભલે તેમને બાદમાં ક્લીનચીટ મળી ગઈ હોય, પરંતુ લાંબા સમયથી “મિસ્ટર ક્લીન” તરીકે ઓળખાતા નેતા માટે આ વિવાદ રાજકીય રીતે અસ્વસ્થતા સર્જનારો સાબિત થયો હતો.
બીજું મહત્વનું કારણ તેમની ઉંમર પણ છે. હાલમાં તેઓ 79 વર્ષના છે અને 2028ની ચૂંટણી સુધીમાં 80 વર્ષના થઈ જશે. કોંગ્રેસ કદાચ સમયસર નેતૃત્વ પરિવર્તન કરીને આગામી પેઢીને સ્થાપિત કરવા માંગે છે.
કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર
સિદ્ધારમૈયાના પ્રસ્થાન પછી કોંગ્રેસ સામે સૌથી મોટો પ્રશ્ર્ન તેમના સામાજિક આધારવર્ગને જાળવી રાખવાનો રહેશે.
કુરુબા સમુદાયમાં તેમનો વ્યક્તિગત પ્રભાવ નોંધપાત્ર રહ્યો છે. સાથે સાથે મુસ્લિમ મતદારોમાં પણ તેઓ કોંગ્રેસના સૌથી સ્વીકાર્ય ચહેરા માનવામાં આવે છે. તેમના હટવાથી આ મતદારોમાં અસંતોષ કે અસુરક્ષાની લાગણી ઊભી ન થાય તેની ચિંતા કોંગ્રેસને સ્વાભાવિક રીતે રહેશે.
આ કારણસર નવી સરકારમાં સામાજિક સંતુલન જાળવવા માટે બે અથવા ત્રણ ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા ચાલી રહી છે. તેમાં દલિત, મુસ્લિમ અથવા આદિવાસી સમુદાયના પ્રતિનિધિઓને સ્થાન મળી શકે છે.
સત્તા સંતુલનનો બીજો સ્તંભ
ડી.કે. શિવકુમારના નેતૃત્વને સંતુલિત રાખવા માટે પક્ષ સંગઠનમાં પણ ફેરફારો થઈ શકે છે. આદિવાસી અને વાલ્મિકી સમુદાયના પ્રભાવશાળી નેતા સતીશ જારકીહોલીને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે આગળ લાવવાની ચર્ચા છે.
જો આવું થાય તો સરકાર અને સંગઠન વચ્ચે શક્તિનું સંતુલન જાળવવામાં મદદ મળશે. સાથે સાથે સિદ્ધારમૈયાના સમર્થક વર્ગને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યાનો સંદેશ જશે.
એક યુગના અંતનો સંકેત!
કર્ણાટકમાં થયેલું આ સત્તા પરિવર્તન માત્ર રાજ્યની ઘટના નથી. તે ભારતીય રાજકારણમાં 1970 અને 1980ના દાયકાની સમાજવાદી પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓના ધીમે ધીમે વિદાય લેતા યુગનું પણ પ્રતીક છે.
સિદ્ધારમૈયા જેવા નેતાઓએ જાતિઆધારિત સામાજિક ગઠબંધનો, લાંબી જનસંપર્ક યાત્રાઓ અને પરંપરાગત સંગઠનશક્તિના આધારે પોતાની રાજકીય ઓળખ બનાવી હતી. હવે કોંગ્રેસ નવા નેતૃત્વ, નવી પેઢી અને નવા સામાજિક સમીકરણો સાથે આગળ વધવા માગે છે.
આ પરિવર્તન સફળ સાબિત થશે કે નહીં તેનો જવાબ આગામી બે વર્ષમાં મળશે. પરંતુ એટલું નિશ્ચિત છે કે કર્ણાટકમાં શરૂ થયેલો આ સત્તા પરિવર્તનનો અધ્યાય માત્ર એક મુખ્યમંત્રીના રાજીનામાથી ઘણો મોટો છે; તે રાજ્યની રાજકીય દિશા અને કોંગ્રેસના ભવિષ્ય બંનેને પ્રભાવિત કરી શકે છે.



