અછૂત સમસ્યાથી લઈને સાથીઓના નામે અંતિમ પત્ર: પુસ્તકમાં ક્રાંતિવીરના દુર્લભ લેખોનો સંગ્રહ
27 સપ્ટેમ્બર, 1931ના રોજ લાહોરના અખબાર ‘ધ પીપલ’માં પ્રકાશિત થયેલા લખાણે ઈશ્ર્વરના અસ્તિત્વ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા
- Advertisement -
ભગતસિંહની શહિદીને એક સદી પૂરી થવાની છે. ત્યારે તેમનું પુસ્તક ‘હું નાસ્તિક કેમ છું?’ આજે પણ ખૂબ વંચાય છે. મારે આજે તેના વિશે વાત કરવી છે. સ્વતંત્રતા સેનાની બાબા રણધીરસિંહ 1930-31ની વચ્ચે લાહોરની સેન્ટ્રલ જેલમાં કેદ હતા. તેઓ એક ધાર્મિક વ્યક્તિ હતા, જેમને એ જાણીને ખૂબ દુ:ખ થયું કે, ભગતસિંહને ઈશ્વર પર વિશ્વાસ નથી. તેઓ કોઈ રીતે ભગતસિંહની કાલકોઠરીમાં પહોંચવામાં સફળ થયા અને એમને ઈશ્વરના અસ્તિત્વ પર વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કર્યો. અસફળ થવા પર બાબાએ નારાજ થઈને કહ્યું, “પ્રસિદ્ધિથી તમારું દિમાગ ખરાબ થઈ ગયું છે અને તમે અહંકારી બની ગયા છો, જે એક કાળા પરદાની જેમ તમારા અને ઈશ્વરની વચ્ચે ઊભી છે. આ ટિપ્પણીના જવાબમાં જ ભગતસિંહે આ લેખ લખ્યો. આ લેખ ભગતસિંહે જેલમાં રહીને લખ્યો હતો અને આ 27 સપ્ટેમ્બર, 1931એ લાહોરના અખબાર ’ધ પીપલ’માં પ્રકાશિત થયો. આલેખમાં ભગતસિંહે ઈશ્વરની ઉપસ્થિતિ પર અનેક તર્કપૂર્ણ સવાલ ઊભા કર્યા છે અને આ સંસારના નિર્માણ, મનુષ્યના જન્મ, મનુષ્યના મનમાં ઈશ્વરની કલ્પનાની સાથે-સાથે સંસારમાં મનુષ્યની દીનતા, એનું શોષણ, દુનિયામાં વ્યાપ્ત અરાજકતા અને વર્ગભેદની સ્થિતિઓનું પણ વિશ્લેષણ કર્યું છે. આ લેખ ભગતસિંહના લેખનના સૌથી ચર્ચિત હિસ્સાઓમાં રહ્યો છે.
આમ આ ભગતસિંહે લખેલો એક નિબંધ માત્ર છે. પણ આ નિબંધ ખૂબ જ ચર્ચીત બન્યો હતો. ’હું નાસ્તિક કેમ છું’ નિબંધ એમણે લાહોર સેન્ટ્રલ જેલમાં કારાવાસ દરમિયાન 1930માં લખ્યો હતો. આ નિબંધ એમના સૌથી ચર્ચિત અને પ્રભાવશાળી કાર્યોમાંથી એક છે. આ પુસ્તકમાં ભગતસિંહે ઈશ્વરના અસ્તિત્વ પર તાર્કિક રૂપથી પ્રશ્ન ઉઠાવ્યા છે. તેઓ ધર્મ, અંધવિશ્વાસ અને સામાજિક કુરીતિઓ પર પણ પોતાનું મંતવ્ય રજૂ કરે છે. ભગતસિંહનું માનવું હતું કે, ઈશ્વરનો વિચાર શોષણ અને અન્યાયને સાચા ઠેરવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેઓ એક ન્યાયપૂર્ણ અને સમાન સમાજના નિર્માણ પર વિશ્વાસ કરતા હતા, જ્યાં ઈશ્વરની અવધારણાની કોઈ જરૂર ન હતી. એને સરળ અને સ્પષ્ટ ભાષામાં લખવામાં આવ્યો છે, જે એને સામાન્ય જનતા માટે સુલભ બનાવે છે. ભગતસિંહે પોતાની વાતોને પ્રભાવશાળી રીતે વ્યક્ત કરવા માટે તર્ક, ઉદાહરણો અને ઉપમાઓનો પ્રયોગ કર્યો છે. એમનું લેખન ભાવુક અને પ્રેરક છે, જે વાચકોને પ્રેરિત કરે છે.
આ પુસ્તકમાં આ લેખ ઉપરાંત દેશમાં અછૂત સમસ્યા, સાંપ્રદાયિક તોફાનો અને એનો ઇલાજ, ભગતસિંહનો સુખદેવને નામે લખાયેલ પત્ર, બોમ્બકાંડ પર સેશન કોર્ટમાં નિવેદન, વિધ્યાર્થીઓના નામે પત્ર, સંપાદક- મોર્ડન રિવ્યુના નામે પત્ર, પિતાજીના નામે પત્ર, નાના ભાઇ કુલતારના નામે અંતિમ પત્ર, શહાદતથી પહેલા સાથીઓના નામે અંતિમ પત્ર અને છેવટે કોમના નામે સંદેશ. આમ તેમના બધા જ મહત્વના નિબંધનો સંગ્રહ છે આ પુસ્તક. જે ભગતસિંહની સમગ્ર વિચારશૈલીને સમજવામાં વાચકોને મદદ કરશે. માત્ર 125 પાનામાં ભગતસિંહની ખૂબ જ મહત્વની માહિતી આ પુસ્તકમાં સમાવી લેવામાં આવી છે. ’હું નાસ્તિક કેમ છું?’ ભગતસિંહના સાહિત્યિક અને ક્રાંતિકારી વારસાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. આ એક એવું પુસ્તક છે, જે વાચકોને વિચારવા, પ્રશ્નો પર વિચાર કરવા અને એક સારા સમાજની રચના માટે પ્રેરિત કરે છે. આ પુસ્તક દરેક યુવાને વાચવું જોઇએ.



