ગામમાં પ્રવેશવાના રસ્તા પર ટૉલ બૂથ મુકાતા સ્થાનિકો પરેશાન: ખેતર, ઘર કે ધંધા પર જવા માટે પણ ફરજિયાત ટેક્સ વસૂલાતો હોવાનો આક્ષેપ
ખેતરે જવા 2થી 3 કિલોમીટર રોંગ સાઈડ વાહન ચલાવવાની મજબૂરી: તંત્ર યોગ્ય ઉકેલ નહીં લાવે તો ગ્રામજનોએ નવો રસ્તો બનાવવાની આપી ચેતવણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.27
વાંકાનેર તાલુકાના વધાસીયા ગામના ગ્રામજનોએ નેશનલ હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા દ્વારા ગામમાં પ્રવેશવાના રસ્તા પર સ્થાપિત કરાયેલા ટોલ બૂથ સામે મોરચો માંડ્યો છે. ગ્રામજનોએ આ બાબતે પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર પાઠવીને ગેરકાયદેસર ટોલ બૂથ હટાવવા અને ગામમાં અવરજવરનો રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો કરવાની ઉગ્ર માંગ કરી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ટોલ બૂથના કારણે ગ્રામજનોને પોતાના જ ઘર, ધંધા કે ખેતરે જવા માટે પણ નાછૂટકે ટોલ ટેક્સ ચૂકવવો પડે છે, જેના લીધે આર્થિક બોજ સાથે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, ટોલ બૂથના કર્મચારીઓ દ્વારા અવારનવાર ગ્રામજનો સાથે ઘર્ષણ અને દુવ્ર્યવહાર કરવામાં આવતો હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.
ગ્રામજનોએ આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓ રજૂ કરતા જણાવ્યું છે કે, નેશનલ હાઈવેથી નવા વધાસીયા અને જૂના વધાસીયા ગામ તરફ જતા રસ્તા પરના ટોલ બૂથ તાત્કાલિક રદ કરવા જોઈએ. આ સાથે જ નેશનલ હાઈવેથી વધાસીયા અને વધાસીયાથી હાઈવે થઈને વાંકાનેર તરફ જવા-આવવામાં પડતી તકલીફને ધ્યાનમાં રાખીને વચ્ચેથી ડિવાઈડર (કટ) મૂકવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. ગામની આશરે 2500 થી 3000 ની વસ્તી છે, જેમને ખેત મજૂરી, ખેતીકામ કે કોમર્શિયલ કામકાજ માટે દિવસમાં અનેક વખત હાઈવે પર અવરજવર કરવી પડે છે. ગ્રામજનોની આશરે 4000 વીઘા જેટલી ખેતીની જમીન હાઈવેની પૂર્વ દિશાએ આવેલી છે. ખેતરોમાં જવા માટે હાલ તેમને 2 થી 3 કિલોમીટર સુધી રોંગ સાઈડ વાહન ચલાવવું પડે છે, જે અત્યંત જોખમી છે અને તેના કારણે ગંભીર અકસ્માત કે પોલીસ દંડનો સતત ભય રહે છે.
વધાસીયા ટોલ પ્લાઝા પરથી પસાર થતા સ્થાનિક વાહનો પાસેથી પણ પ્લાઝાના મેનેજર દ્વારા ફરજિયાત ટોલ ટેક્સ વસૂલવાનો આગ્રહ રાખવામાં આવે છે. ગ્રામજનોની દલીલ છે કે તેમની પોતાની માલિકીની જમીન, ખેતરો, પેટ્રોલ પંપ કે હોટેલે જવા માટે તેમની પાસેથી ટેક્સ વસૂલી શકાય નહીં. એટલું જ નહીં, બહારગામથી વધાસીયા આવતા મહેમાનોના વાહનોને પણ રોકીને ટોલ લેવામાં આવે છે. જ્યારે ગ્રામજનો આ અંગે મેનેજરને રૂબરૂ રજૂઆત કરવા જાય છે, ત્યારે તેમનો જવાબ ઉદ્ધતાઈભર્યો હોય છે અને પોલીસ કેસ કરવાની ધમકીઓ આપવામાં આવે છે. આ પરિસ્થિતિથી કંટાળીને ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા આ ટોલ બૂથને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં નહીં આવે, તો તેઓ સ્વેચ્છાએ અવરજવર માટે પોતાનો અલગ નવો રસ્તો બનાવી લેશે.



