રખડતા કૂતરાઓ મુદ્દે હાઇકોર્ટે સરકાર, મનપા, ન.પા. પાસે રિપોર્ટ માંગ્યો
NHAIને કહ્યું – તમારી જવાબદારી કેન્દ્ર – રાજયસરકાર પર ન ઢોળો
- Advertisement -
સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યની હાઈકોર્ટની દેખરેખ હેઠળ સરકારને દર ચાર મહિને રખડતા કૂતરા અંગેનો અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે. આ સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે રખડતા કૂતરાના મુદ્દે સુઓમોટો લઈને રાજ્ય સરકાર, તમામ ૮ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓને નોટિસ પાઠવી રિપોર્ટ માંગ્યો છે.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી પાસે જવાબ માંગતા. તેણે પોતાની જવાબદારી સરકાર પર ઢોળી દીધી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે નેશનલ હાઈવે ઓથોરિટીની ઝાટકણી કાઢતા ટકોર કરી હતી કે, દરેક વખતે ઓથોરિટી તેમની જવાબદારી સરકાર પર નાખી શકે નહીં. કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ પ્રોજેક્ટને ‘પાઈલોટ પ્રોજેફટ’ તરીકે હાથ ધરી અન્ય કોર્પોરેશનો માટે ઉદાહરણ પૂરું પાડવા સૂચના આપી હતી. આ કેસની વધુ સુનાવણી ૪ ઓગસ્ટે હાથ ધરાશે. હાઈકોર્ટે રાજ્ય સરકાર, પશુપાલન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી અને તમામ નગરપાલિકાઓને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે ૨૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ રખડતા કૂતરાઓના વધતા હુમલા અને તેનાથી લોકોના જીવન પર ઊભા થયેલા જોખમને ધ્યાનમાં રાખીને દેશની રાજ્ય સરકારોને મહત્વપૂર્ણ હુકમ આપ્યો હતો. દિલ્હીમાં છ વર્ષની બાળકીનું રેબીઝથી થયેલા મૃત્યુના સમાચારોના આધારે કોર્ટે સુઓમોટો કેસ શરૂ કર્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે સમગ્ર દેશમાં ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને સામાન્ય નાગરિકો રખડતા કૂતરાઓના હુમલાનો ભોગ બની રહ્યા છે, અને માનવજીવનનું રક્ષણ કરવું એ રાજ્યની પ્રાથમિક જવાબદારી છે. તેની સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પ્રાણીઓના અધિકારોનું પણ રક્ષણ થવું જોઈએ, પરંતુ માનવજીવનની સુરક્ષાના ભોગે નહીં. સુપ્રીમ કોર્ટે અગાઉ દિલ્હી-NCR વિસ્તારમાં રખડતા કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં રાખવા અને તેમને ફરી રસ્તા પર ન છોડવાનો આદેશ આપ્યો હતો. જો કે પ્રાણીપ્રેમી સંસ્થાઓ અને NGO દ્વારા દલીલ કરવામાં આવી હતી 3, Animal Birth Control (ABC) Rules, ૨૦૨૩ મુજબ કૂતરાઓનું નસબંધી (સ્ટેરિલાઇઝેશન), ડીવોર્મિંગ અને રસીકરણ કર્યા બાદ તેમને જે વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હોય ત્યાં જ પાછા છોડવા ફરજિયાત છે.
- Advertisement -
‘કૂતરાઓ માટે અલગ ‘ફીડિંગ ઝોન’ બનાવો’
સુપ્રીમ કોર્ટે તમામ નગરપાલિકાઓને દરેક વોર્ડમાં કૂતરાઓ માટે અલગ ‘ફ્રીડિંગ ઝોન’ બનાવવાનો આદેશ આપ્યો છે અને જાહેર રસ્તા કે જાહેર સ્થળોએ કૂતરાઓને ખવડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે જ દરેક નગરપાલિકાને ફરિયાદ માટે હેલ્પલાઈન શરૂ કરવા, ડોગ શેલ્ટર, પશુચિકિત્સકો અને અન્ય જરૂરી સુવિધાઓ ઊભી કરવા આદેશ કરાયો છે.




