ઝાડા-ઉલટીના 384 કેસ, ટાઈફોઈડનો 1 અને કમળાના 2 કેસ નોંધાયા: આરોગ્ય વિભાગે પાણીની શુદ્ધતા ચકાસવા માટે શહેરભરમાં 1231 ક્લોરિન ટેસ્ટ પણ કર્યા
જો ઘરમાં મચ્છરના પોરા મળશે તો મનપા વસૂલશે વહીવટી ચાર્જ: એક જ અઠવાડિયામાં 300થી વધુને નોટિસ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બદલાતા વાતાવરણને કારણે સીઝનલ બીમારીઓમાં ઉછાળો જોવા મળ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા. 04/05/2026 થી 10/05/2026 સુધીના જાહેર કરાયેલા આંકડા મુજબ, શહેરમાં સામાન્ય તાવ અને શરદી-ઉધરસના કેસોમાં વધારો થયો છે, જ્યારે મચ્છરજન્ય રોગચાળો હાલ કાબૂમાં હોવાનું જણાય છે.છેલ્લા એક અઠવાડિયામાં શહેરની વિવિધ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં શરદી-ઉધરસના 648 કેસ અને સામાન્ય તાવના 758 કેસ નોંધાયા છે. આ ઉપરાંત, દૂષિત પાણી અને ખોરાકને કારણે થતા ઝાડા-ઉલટીના 384 કેસ પણ સામે આવ્યા છે. ગંભીર બીમારીઓની વાત કરીએ તો, ટાઈફોઈડનો 1 અને કમળાના 2 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે પાણીની શુદ્ધતા ચકાસવા માટે શહેરભરમાં 1231 ક્લોરીન ટેસ્ટ પણ કર્યા છે. મચ્છરજન્ય રોગોને ડામવા માટે મનપાની ટીમોએ આક્રમક કામગીરી હાથ ધરી છે. આરોગ્ય શાખાએ કુલ 30,358 ઘરોમાં તપાસ કરી મચ્છરના પોરાનો નાશ કર્યો છે. મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા 252 ઘરોમાં અને જાહેર માર્ગો પર વહિકલ માઉન્ટેન મશીન દ્વારા ફોગીંગ કરવામાં આવ્યું છે. રાહતની વાત એ છે કે આ અઠવાડિયામાં ડેન્ગ્યુ કે ચિકુનગુનિયાનો એક પણ નવો કેસ નોંધાયો નથી, જ્યારે મેલેરિયાનો માત્ર 1 કેસ સામે આવ્યો છે. મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળી આવતા તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. તપાસ દરમિયાન રહેણાંક વિસ્તારમાં 267 અને કોમર્શિયલ એકમોમાં 38 આસામીઓને મચ્છર ઉત્પત્તિ સબબ નોટિસ ફટકારી વહીવટી ચાર્જ વસૂલવાની કામગીરી કરવામાં આવી છે. કુલ 709 બાંધકામ સાઇટ, હોસ્પિટલ અને સ્કૂલો જેવા પ્રીમાઇસીસમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. મનપા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ન રહેવા દે, જેથી મચ્છરોનો પ્રજનન કાળ અટકાવી શકાય અને રોગચાળાથી બચી શકાય.



