મા માત્ર એક શબ્દ નહીં, પરંતુ લાગણી, ત્યાગ, પ્રેમ અને અડગ હિંમતનું જીવંત સ્વરૂપ. મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઉજવાય છે, પરંતુ માતાનું મહત્ત્વ કોઈ એક દિવસમાં સમાઈ શકે તેમ નથી. દરેક માતા પોતાના બાળક માટે અનેક સપનાઓ જોતી હોય છે. બાળક ગર્ભમાં આવે ત્યારથી જ તેની ભવિષ્યની કલ્પનાઓ શરૂ થઈ જાય છે. પરંતુ જ્યારે બાળક દિવ્યાંગ જન્મે, ત્યારે માતા-પિતાના સપનાઓ સાથે મનમાં અનેક પ્રશ્નો અને પડકારો પણ ઊભા થાય છે. આજે વાત છે એવી જ એક હિંમતવાન માતાની – બીજલ હરખાણી, જેઓએ પોતાના દિવ્યાંગ દીકરા મંત્ર હરખાણીના ઉછેરને માત્ર જવાબદારી નહીં, પરંતુ જીવનનું ધ્યેય બનાવી દીધું.
બીજલબેન જ્યારે પહેલીવાર માતા બન્યાં ત્યારે તેમના જીવનમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. ગર્ભાવસ્થા દરમિયાન તમામ રિપોર્ટ સામાન્ય હતા. પરંતુ બાળકના જન્મ પછી જાણવા મળ્યું કે તેમનો દીકરો ડાઉન સિન્ડ્રોમથી પીડિત છે. જીનેટીકલ ડીસઓર્ડર (માનસિક દિવ્યાંગતા) ધરાવે છે. ચોવીસ વર્ષ પહેલા ડાઉન સિન્ડ્રોમ એટલે શું તેનો કોઈ જ ખ્યાલ નહીં. તે સમય એવો હતો જ્યારે સમાજમાં આ વિષય અંગે બહુ ઓછી સમજણ હતી. પરિણામે લોકોના સવાલો, ઉપેક્ષા અને ટિપ્પણીઓએ બીજલબેનને અંદરથી તોડી નાખ્યાં. બીજલબેન પણ વિચાર આવતો કે મેં ગયા જન્મમાં ક્યાં પાપ કર્યા હશે તો ઈશ્વરે મને આ જન્મમાં દિવ્યાંગ બાળક આપ્યું. પરિણામે તેઓ કહે છે કે એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેમણે બહાર જવાનું બંધ કરી દીધું હતું. સતત માનસિક દબાણ અને સમાજની અવગણનાના કારણે તેઓ ચાર પાંચ વર્ષ સુધી ડિપ્રેશનમાં રહ્યા. પરંતુ પરિવારના પ્રેમ અને સહકારથી તેમણે હિંમત એકઠી કરી અને પોતાના દીકરા મંત્રને સંપૂર્ણ સ્વીકારી લીધો.
- Advertisement -
માઇક્રોબાયોલોજીનો અભ્યાસ કરનાર બીજલબેન લેબોરેટરી શરૂ કરવા અને વિદેશમાં સ્થાયી થવાના સપના જોતા હતા. પરંતુ મંત્રના ઉછેર માટે તેમણે પોતાના બધા સપનાઓને પાછળ મૂકી દીધા. તેમણે નક્કી કર્યું કે હવે જીવનનો દરેક શ્વાસ પોતાના બાળકને સ્વાવલંબી બનાવવા માટે જ સમર્પિત કરવો. મંત્રના વિકાસ માટે શરૂઆતથી જ વિવિધ થેરાપી, સર્જરી અને તાલીમ આપવામાં આવી. જ્યારે શાળામાં પ્રવેશનો સમય આવ્યો ત્યારે સામાન્ય શાળાઓએ પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો. આ પડકાર સામે પણ બીજલબેન હાર્યાં નહીં. તેમણે સ્પેશિયલ એજ્યુકેશનમાં બી.એડ. તથા મલ્ટિપલ ડિસએબિલિટીનો અભ્યાસ કર્યો અને પોતાના દીકરાના નામ પરથી મંત્ર ફાઉન્ડેશનની સ્થાપના કરી.
આજે મંત્ર ફાઉન્ડેશન અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કેન્દ્ર બની ગયું છે. અહીં બાળકોને શિક્ષણ સાથે ડાન્સ, યોગા, આર્ટ એન્ડ ક્રાફ્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ જેવી વિવિધ પ્રવૃત્તિઓની તાલીમ આપવામાં આવે છે. બીજલબેનનો મુખ્ય હેતુ એ છે કે દિવ્યાંગ બાળકો આત્મવિશ્વાસ સાથે સ્વતંત્ર જીવન જીવી શકે. ફક્ત પોતાના બાળક સુધી મર્યાદિત ન રહી, તેમણે હજારો માતા-પિતાને માર્ગદર્શન આપવાનું કાર્ય પણ શરૂ કર્યું. જીાયિ ખજ્ઞળ બુ ઇશષફહ ઇંફસિવફક્ષશ ઢજ્ઞીઝીબય ચેનલ અને ઈન્સ્ટાગ્રામ ળફક્ષિફિંરજ્ઞીક્ષમફશિંજ્ઞક્ષફિષસજ્ઞિં સોશિયલ મીડિયા દ્વારા તેઓ દિવ્યાંગ બાળકોના ઉછેર અને તાલીમ અંગે માર્ગદર્શન આપે છે.
બીજલબેનને બીજું સંતાન પણ દીકરો છે જેનું નામ જૈમિન છે તે નોર્મલ બાળક છે ભણવામાં પણ ખૂબ હોશિયાર છે. મંત્રના ઉછેર માટે તેના પિતાનો પણ મહત્વનું યોગદાન રહ્યું છે. મંત્રના માતા-પિતાના અવિરત સંઘર્ષ અને પરિશ્રમના પરિણામથી મંત્ર હરખાણીએ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક સિદ્ધિઓ મેળવી છે. વર્ષ 2021માં તેમને નરેન્દ્ર મોદીના હસ્તે પ્રધાનમંત્રી બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે વર્લ્ડ સમર સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારત માટે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. સ્કેટિંગ, યોગા, જિમ્નાસ્ટિક, ડાન્સ અને મ્યુઝિક જેવી અનેક પ્રવૃત્તિઓમાં પણ તેઓ અગ્રેસર રહ્યા છે. હાલ ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું. મંત્રની શિક્ષણની સાથે અન્ય સ્કીલ ડેવલોપ કરવામાં માતા બીજલબેનનો મોટા ફાળો છે.
- Advertisement -
મધર્સ ડે નિમિત્તે બીજલબેન દરેક માતા-પિતાને એક સુંદર સંદેશ આપે છે: તમારા બાળકનો જેવો છે તેવો સ્વીકાર કરો. અન્ય બાળકો સાથે તેની સરખામણી ક્યારેય ન કરો. પ્રેમ, ધીરજ અને મહેનતથી દરેક બાળક કંઈક ખાસ કરી શકે છે. દિવ્યાંગ બાળકની માતા એ અન્ય દિવ્યાંગ બાળકની માતા સાથે સંપર્કમાં રહેવુ. સ્પેશિયલ ચાઇલ્ડ પાછળ પોતાનું સર્વસ્વ આપો. જરૂર તમારી મહેનતનું પરિણામ મળશે અને તમારું બાળક સફળ થશે. બીજલ બેનનું માનવું છે કે બાળકો માતા પિતાના નામે ઓળખાતા હોય છે પણ જ્યારે તમને તમારા બાળકથી ઓળખ મળે કે પ્રસિધ્ધિ થાય તે જ સાચી ઓળખ અને સફળતા છે. ખરેખર, માતૃત્વનો સાચો અર્થ એ જ છે – સંજોગો સામે હાર ન માનવી અને પોતાના બાળક માટે આખું જીવન સમર્પિત કરી દેવું. બીજલ હરખાણી જેવી માતાઓ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.



