આપણે પણ જીવનની મુસીબતોમાં પરમપિતા પર વિશ્ર્વાસ રાખીએ તો જીવનની ચિંતાઓ દૂર થાય
કોઈ એક સંત વિદેશ યાત્રાએ જઈ રહ્યા હતા. એ સંત તમામ મુસાફરોની સાથે જ વિમાનમાં બેઠા અને વિમાને સફળતાપૂર્વક ટેક-ઓફ કર્યું. થોડો સમય પસાર થયો ત્યાં વિમાનમાં અચાનક જ કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ. તમામ મુસાફરને આ બાબતથી વાકેફ કરવામાં આવ્યા. ધરતીથી હજારો મીટર ઊંચે વિમાન હાલક-ડોલક થવા લાગ્યું. બધાં મુસાફરો ભયની ચીસો પાડવા લાગ્યા. હવે શું થશે ? વિનાશનો વિચાર વિમાનની સાથે બધાં મુસાફરોને પણ ધ્રુજાવતો હતો. પેલા સંતની નજર એક નાની છોકરી પર ગઈ. એણે જોયું તો એ છોકરી બહુ જ શાંતિથી વાર્તાની ચોપડી વાંચી રહી હતી. સંતને આશ્ચર્ય થયું કે, ‘આ છોકરીને મરવાની બીક કેમ નહીં લાગતી હોય ? શું આ છોકરીએ જાહેરાત નહીં સાંભળી હોય ? એને નહીં સમજાયું હોય કે આપણે કેવી મહામુસીબતમાં આવી ગયા છીએ.’ સંત આ વિચારતા હતા ત્યાં જ બધાંના આશ્ચર્ય વચ્ચે વિમાન સ્થિર થઈ ગયું અને ફરીથી જાહેરાત થઈ કે આપણા બાહોશ પાઇલટે ટેક્નિકલ ક્ષતિ દૂર કરી દીધી છે. હવે આપણે સંપૂર્ણ સલામત છીએ. બધાંએ રાહતનો શ્વાસ લીધો. પેલા સંત ઊભા થઈને નાની છોકરી પાસે ગયા. છોકરી તો હજુ પણ પોતાની વાર્તાની ચોપડી વાંચવામાં જ ગુલતાન હતી. સંતે એ છોકરીના માથા પર હાથ મૂક્યો એટલે એણે ઊંચે જોયું અને સંતને વંદન કર્યા. સંતે પૂછ્યું, બેટા આ વિમાનમાં હમણાં શું થયું એ તને કંઈ ખબર છે ? પેલી છોકરીએ કહ્યું, જી મહારાજ, મેં બધું જ સાંભળ્યું હતું અને હું સમજતી પણ હતી. સંતે આશ્ચર્ય સાથે પૂછ્યું, તો તને ડર ના લાગ્યો ? તું આટલી શાંતિથી કઈ રીતે વાંચી શકતી હતી ? પેલી છોકરીએ હસતાં હસતાં કહ્યું, મહારાજ, આ વિમાનના પાઇલોટ મારા પપ્પા છે. મારા પપ્પા પોતે વિમાન ચલાવતા હોય, તો મને શું ચિંતા હોય ? કોઈ બાપ પોતાની દીકરીને મરવા દે ખરો ? આપણા આ જીવનરૂપી વિમાનનો પાઇલોટ પણ આપણો પરમપિતા છે. આપણા આ જીવન વિમાનમાં કોઈ ક્ષતિ સર્જાય છે ત્યારે પેલી નાની બાળકી જેવો પૂર્ણ વિશ્વાસ આપણને પણ આપણા એ પરમપિતા પર હોય તો ?
- Advertisement -
શંકા રાખી બરબાદ થઈ જવા કરતા વિશ્વાસ રાખીને લૂંટાઈ જવું વધુ સારું.
– શરદબાબુ