શૈલેષ સગપરિયા : શૈલવાણી
એક વખત બે મિત્રો વચ્ચે ચર્ચા થતી હતી. ચર્ચાનો વિષય હતો કે, ‘જગતમાં સૌથી મોટું કોણ ?* બંને મિત્રોએ આ વિષય પર ખૂબ ચર્ચા કરી પરંતુ કોઈ જ સ્પષ્ટ તારણ પર ન આવી શક્યા. બંનેએ નક્કી કર્યું કે આપણે કોઈ સંત-મહાત્મા કે ફકીરને જઈને આ બાબતે પૂછીએ. તેઓ એક સંત પાસે ગયા અને પોતાનો પ્રશ્ન રજૂ કર્યો. સંતે કહ્યું, ભાઈઓ, આ પ્રશ્નનો જવાબ તો હું પણ આપી શકું તેમ નથી. આપણે ભગવાન પાસે જ જઈએ અને એની પાસેથી જ જવાબ મેળવીએ. પેલા સંત આ બંને મિત્રોને લઈને ભગવાન પાસે ગયા.
- Advertisement -
ભગવાને ત્રણેનું સ્વાગત કરીને આદરપૂર્વક બેસાડયા પછી આવવાનું કારણ પૂછ્યું એટલે બંને મિત્રોએ પોતાનો પ્રશ્ન પૂછ્યો, આ જગતમાં સૌથી મોટું કોણ ? આ બાબતનો જવાબ અમને મળતો નથી. ભગવાને સ્મિત સાથે કહ્યું, અરે ! સૌથી મોટી પૃથ્વી છે. પેલા કહે, ના પ્રભુ. પૃથ્વીને તો સમુદ્રે ઘેરી લીધી છે તો પૃથ્વીને કેવી રીતે મોટી કહી શકાય ? ભગવાન કહે, તમારી વાત સાચી છે. મને લાગે છે કે, આ જગતમાં સમુદ્ર જ સૌથી મોટો છે. પેલા બંનેએ વિરોધ કરતા કહ્યું, પ્રભુ, પણ આ સમુદ્રને અગત્સ્ય ઋષિ અંજલિ કરીને પી ગયા હતા એ ભૂલી ગયા કે શું? ભગવાન કહે, હા હો તમારી વાત સાચી. અગત્સ્યને જ સૌથી મોટા ગણી શકાય. ફરીથી પેલા બંનેએ કહ્યું, પ્રભુ, અગત્સ્યનું સ્થાન આકાશમાં છે તો પછી એના કરતા તો આકાશ મોટું ન થયું ? ભગવાને ફરી પેલાઓની હામાં હા પુરાવી અને કહ્યું. તો પછી આકાશ જ સૌથી મોટું ગણાવું જોઈએ. પેલા બંને મિત્રો તો ખડખડાટ હસવા લાગ્યા. ભગવાને પૂછ્યું, કેમ હસો છો ? તો હસતાં હસતાં જ જવાબ આપ્યો, અરે પ્રભુ, તમે સાવ ભૂલી ગયા. વામન અવતારમાં તમે આ આકાશને એક ડગલામાં માપી લીધું હતું, તો પછી આકાશને કેમ મોટું ગણાય ? ભગવાને હવે સામો પ્રશ્ન કર્યો, તો કોણ મોટું ગણાય ? પેલા બંને મિત્રોએ કહ્યું, સૌથી મોટા આપ જ છો, પ્રભુ. આપનાથી મોટું બીજું કોઈ અમને દેખાતું નથી. ભગવાને કહ્યું, ના. હજુ તમારો જવાબ બરાબર નથી. કારણ કે મારા કરતા પણ કોઈક મોટું છે. બંને મિત્રોએ કહ્યું, પ્રભુ, એ કોણ જે આપનાથી પણ મોટું છે ? ભગવાને આ બંને યુવાનોની સામે આંગળી ચીંધીને કહ્યું, તમે બંને. પેલા મિત્રો તો આશ્ચર્યમાં પડી ગયા કે, અમે બંને આપનાથી મોટા કેવી રીતે ! ભગવાને કહ્યું, હું તમારા નાના એવા હૃદયમાં રહીને સતત ધબક્યા કરું છું. જો હું તમારા શરીરના નાના એવા ભાગમાં રહેતો હોય તો તમે મારાથી મોટા થયા કે નહીં ? બંને મિત્રો અને પેલા સંત એકબીજા સામે જોતા રહ્યા અને પરમાત્મા એક દિવ્ય જયોત સ્વરૂપે ત્રણેના હૃદયમાં પ્રવેશી ગયા. યાદ રાખજો મિત્રો, આ જગતમાં સૌથી મોટામાં મોટા આપણે પોતે જ છીએ. કારણ કે એ પરમશક્તિ આપણા હૃદયમાં બિરાજમાન છે.




