વરસાદ પહેલાં ખાલી હતા 86 ડેમ, નર્મદા ડેમ 90% ભરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયાને ત્રણ મહિનાનો સમય વીતી ચૂક્યો છે. રાજ્યમાં ત્રણ મહિના દરમિયાન ધોધમાર વરસાદે ડેમમાં પાણીની સ્થિતિ પણ બદલી નાખી છે. રાજ્યના 207 ડેમમાંથી 86 ડેમ ત્રણ મહિના પહેલાં તળિયાઝાટક હતા, એની સામે આજે 119 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. રાજ્યના અન્ય ડેમમાં પણ નોંધપાત્ર પાણીની આવક થઈ ચૂકી છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા અને ઉકાઈ ડેમમાં બે વર્ષ ચાલે એટલું પાણી આવી ચૂક્યું છે. હાલ બંને ડેમમાંથી રૂલ લેવલ જાળવવા તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યના મહત્ત્વના ગણાતા કયા ડેમ ઓવરફ્લો થયા છે અને કયા ડેમ હજી પણ ખાલી છે?, નર્મદા, ઉકાઈ અને શેત્રુંજી ડેમમાં પાણીની સ્થિતિ શું છે? આવો આ તમામ સવાલોના જવાબ જાણીએ.
રાજ્યમાં 11 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હતો. એ પહેલાં રાજ્યના 207માંથી 86 ડેમ ખાલીખમ હતા. વણાકબોરી, ધોળીધજા અને મચ્છુ-3 ડેમ એવા હતા, જેમાં 80 ટકાથી વધુ પાણીનો જથ્થો હતો. જ્યારે 118 ડેમમાં 10 ટકાથી લઈ 90 ટકા સુધીનો પાણીનો જથ્થો હતો.
રાજ્યમાં 11 સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 106 ટકા વરસાદ વરસી ચૂક્યો છે, પરંતુ ઉત્તર ગુજરાત ઝોનમાં આવતા અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના ડેમમાં હજી સરેરાશ 61.65 ટકા પાણીનો જ સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના 5 જિલ્લાના ડેમોમાં સૌથી વધુ 94.13 ટકા, કચ્છ ઝોનના ડેમોમાં 86.33 ટકા, સૌરાષ્ટ્ર ઝોનના 11 જિલ્લાઓના ડેમોમાં 86.24 ટકા અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓના ડેમોમાં 84.30 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની મોટા ભાગની વસતિ આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં વસે છે. આ વર્ષે સારા ચોમાસાના કારણે આ આઠેય મહાનગરપાલિકાની આગામી એક વર્ષની પાણીની સમસ્યાનો હલ થઈ ચૂક્યો છે.
સરદાર સરોવરમાં બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર, જેને લોકો નર્મદા ડેમથી પણ ઓળખે છે એમાં બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો આવી ચૂક્યો છે. સરદાર સરોવરમાં 90 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. રાજ્યમાં ચોમાસું બાકી હોય અને ઉપરવાસમાંથી પણ પાણીની આવક થવાની શક્યતા હોઈ, આ ડેમ પણ નજીકના દિવસોમાં ઓવરફ્લો થવાની પૂરી શક્યતા છે. નર્મદા ડેમમાંથી રાજ્યના 173 શહેર અને 9490 ગામના અંદાજે 2.90 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તો 18.45 લાખ હેકટરમાં સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવે છે. ગુજરાતમાં સરદાર સરોવર પછી બીજા ક્રમે આવતા ઉકાઈ ડેમમાં પણ પાણીનો નોંધપાત્ર સંગ્રહ થઈ ચૂક્યો છે. ઉકાઈ ડેમમાં 86.31 ટકાનો જળસંગ્રહ છે. રૂલ લેવલ જાળવવા માટે હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં આગામી બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.