ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
રાજકોટમાં આર્યનગરમાં રહેતા અને એસ.એસ.ઓ. કોર્પોરેશનના નામે ચાંદીના દાગીનાનું ઉત્પાદન અને વેચાણ કરતાં અગ્રણી ચાંદીના વેપારી ઘનશ્યામભાઈ કાનજીભાઈ સખરેલીયાએ રાજકોટની અદાલતમાં વર્ષ 2022માં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવેલી કે અમદાવાદમાં અંબર ઓર્નામેન્ટ્સના નામે માણેક ચોક વિસ્તારમાં સોના-ચાંદીના દાગીનાનો ધંધો કરતાં ગોપાલ રસીકભાઈ સોની સાથે વેપારી સંબંધ હોય તેમને તેમના ઓર્ડર મુજબ ચાંદીના દાગીના અલગ-અલગ ઈનવોઈસથી આપેલા હતા અને જે કાયદેસરની લેણી નીકળતી રકમ પેટે એક ચેક રૂા. 12,61,931 અને બીજો ચેક રૂા. 2,06,220નો આપેલો, જે બંને ચેકો આરોપીની સૂચના મુજબ બેંકના રજૂ રાખતાં બંને ચેકો ફંડ્સ ઈનસફીસ્યન્ટના શેરા સાથે પરત ફરેલા અને જે અંગે ફરિયાદી પેઢીએ પોતાના એડવોકેટ મારફત લીગલ નોટીસ આપેલી અને નામદાર કોર્ટમાં બે ફોજદારી ફરિયાદો દાખલ કરવામાં આવી ત્યારબાદ આરોપી વિરૂદ્ધ કોર્ટ દ્વારા સમન્સ ઈસ્યુ કરવામાં આવેલા અને જેથી આરોપી ગોપાલભાઈ નામદાર અદાલત સમક્ષ હાજર થયેલા અને ત્યાર બાદ કેસ ચાલવા ઉપર આવેલો હતો. કેસમાં ફરિયાદી દ્વારા જુદા જુદા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવેલા અને સોગંદ ઉપર જુબાની પણ રજૂ કરેલી હતી.
- Advertisement -
ત્યારબાદ અદાલત દ્વારા સમગ્ર દસ્તાવેજી પુરાવાઓ અને ફરિયાદ, સોગંદનામાની જુબાનીનું મૂલ્યાંકન કરવામાં આવેલું હતું. કામમાં ફરિયાદ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવેલી કે આરોપી દ્વારા નોટીસનો કોઈ જવાબ આપવામાં આવેલો નથી, પોતાનો કોઈ યોગ્ય બચાવ કરવામાં આવેલો નથી અને નામદાર અદાલતનો કિંમતી સમય વ્યય કરેલો છે અને સમાજમાં દિનપ્રતિદિન માલ મેળવી નાણા ન ચૂકવવાના કિસ્સા વધી રહેલા છે ત્યારે આવા આરોપીને સજા થવી જોઈએ. નામદાર ઉચ્ચ અદાલતોના વિવિધ ચૂકાદાઓ અને કાયદાકીય બાબતોને ધ્યાને રાખી અદાલત દ્વારા માનવામાં આવેલ કે આર્થિક વ્યવહાર દેશની અર્થવ્યવસ્થા જીવનરેખા સમાન છે અને દાખલારૂપ સજા થાય અને ફરિયાદીને યોગ્ય ન્યાય વળતર મળે તે જરૂરી છે જેથી બંને કેસોમાં નેગોશિયેબલ એક્ટની કલમ 138ના ગુન્હા સબબ 1 વર્ષ અને 6 માસની સાદી કેદની સજા તથા સીઆરપીસીની કલમ 357(ક) અન્વયે ફરિયાદીને ચેક મુજબની રકમ વળતર આરોપી મળી આવ્યેથી દિન 30માં ચૂકવી આપવું, જો રકમ ચૂકવવામાં કસુર કરે તો આરોપીને વધુ 6 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલો હતો અને આરોપી અદાલતમાં ચૂકાદાના દિવસે હાજર ન હોય તેમની સામે સજા વોરંટ કાઢવાનો હુકમ કરેલો હતો. આ કામમાં ફરિયાદી એસ.એસ.ઓ. કોર્પોરેશનના ઘનશ્યામભાઈ સખરેલીયા વતી યુવા લો એસોસિએટના યુવા ધારાશાસ્ત્રી કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, કુલદીપ ચૌહાણ, યશપાલ ચૌહાણ, નિધિ રાયચુરા, ડેનીશા રાઠોડ તથા લો આસિસ્ટન્ટ જીજ્ઞેશ ચૌહાણ સહિતની યુવા ટીમ રોકાયેલા હતા.