મઢડા સોનલધામ ખાતે ત્રિ-દીવસીય મહોત્સવનું આયોજન
મઢડા ખાતે તા. 11, 12, 13 જાન્યુ.એ ઉજવણી થશે: રાજયના સંતો-મહંતો અને રાજયપાલ, મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામે આવેલ સોનલ ધામ મંદિર ખાતે માં સોનલ આઇના 100 વર્ષ પૂર્ણ થતા સોનલ ધામ ખાતે ભવ્ય જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન આગામી તા.11 થી 13 જાન્યુઆરીના રોજ ત્રિદીવસીય શતાબ્દી મહોત્સવ યોજાશે. જેમાં લાખોની સંખ્યામાં માઇ ભક્તો આ મહોત્સવમાં પધારશે. જેની ઉજવણીના ભાગરૂપે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મઢડા ખાતે આવેલ સોનલ ધામ ખાતે 700 વીઘામાં સોનલ આઇ માં નો જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી થવાની છે. ત્યારે 200 વિઘામાં શભા મંડપ તેમજ ભોજનાલય સાથે અનેક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે અને આ મહોત્સવમાં રાજયના અનેક સંતો મહંતો તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જેમાં દ્વારકા શારદાપીઠ પીઠાધિશ્ર્વર જગતગુરૂ શંકરાચાર્યજી, પ્રખર રામાયણી મોરારીબાપુ, મુકતાનંદબાપુ, ખોડલધામના નરેશ પટેલ, શ્રીમદ ભગવત કથાકાર રમેશભાઇ ઓઝા, પ્રાસલા આશ્રમના ધર્મબંધુજી મહારાજ તેમજ ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રી અને ગુજરાત રાજયના પ્રદેશ આગેવાનો તેમજ સાંસદ, ધારાસભ્ય સહિત ચારણ સમાજના આગેવાનો અને દેશના ખ્યાતનામ લોકસાહિત્યકાર સાથે નામાક્તિ ભજનીક કલાકારો ઉપસ્થિતીમાં ભવ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
આ મહોત્સ્વ ઉજવણી પ્રસંગે વિશ્ર્વભરના સોનલઆઇ માં ના 400 મંદિરના સંચાલકો અને ભાવિકો એક જ જગ્યાએ મઢડા ધામ ખાતે એકત્ર થાય તે પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં 3 દિવસ સુધીના કાર્યક્રમમાં આવતા લાખો માઇ ભક્તોને કોઇ અગવડતા ના પડે તેના માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાસગરબા મેદાન, મનોરંજન સાધનોના ખાણીપીણી સ્ટોલ વિભાગ અને 7000 ભાવિકો માટે ટેન્ટની વ્યવસ્થા 120 વિઘામાં પથરાશે. આ સમગ્ર ઉત્સવ 700 વિઘામાં આધાર લેશે. જેમાં આરોગ્યલક્ષી સેવા સહિત એમ્બ્યુલન્સ ડોકટર અને દવા સાથે ઉપલબ્ધ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોનલધામના ગાદીપતી કંચનઆઇ માં સંચાલક ગિરીશ આપા, દાદુભાઇ, આશિષભાઇ સહિતના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે. પૂ.આઇ માં ની સેવાકીય પ્રવૃતિની સુધારવાદી વિચારધારાની ધજા સમગ્ર દેશમાં ફરકવા લાગી જેથી નાનુ એવુ મઢડા ગામ દેશ વિદેશમાં સોનલધામ તરીકે વિખ્યાત બન્યું છે. આઇશ્રી સોનલમાતાજીના શૈક્ષણીક અને સમાજીક સુધારણાના પ્રયાસોથી ચારણ સમાજે આજના વર્તમાન સમયમાં અનેકવિધ સિઘ્ધીઓ હાંસલ કરી છે. દેવકોટી ચારણોની પરંપરામાં અનેક આઇ માંના જન્મ થયા છે, જેમાં સરાકડીયાવાળા આઇ શ્રી સોનલબાઇ માં ના ગિયડના આશીર્વાદથી જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામની ભૂમિ પર કરણાઆપા મોડવા વંશજ હમીરઆપા માણસુરઆપા મોડના પત્ની રાણબાઇ માં ની કુખે સં.1980ને તા.8.1.1924ને પોષ સુદ બીજને મંગળવારે રાત્રે 8.30 કલાકે ભગવતી સોનલનું પ્રાગટ્ય થયુ હતુ. સોનલ માતાજીના અવતાર કાર્યને તા.13.1.24ના રોજ 100 વર્ષ પૂર્ણ થવા જાય છે ત્યારે તેમની જન્મ શતાબ્દીના ત્રિદિવસીય મહોત્સવ ઉજવવાનું નકકી કરવામાં આવ્યું છે.