નીંભર તંત્ર નિર્દોષ લોકોના મોતની રાહ જોવે છે ? મોટા અકસ્માત પછી જ તંત્ર પગલાં ભરશે ?
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી સીરામીકનું હબ હોય એકલા મોરબીમાં દરરોજ આશરે દસ હજાર વાહનોનું લોડીગ અનલોર્ડીંગ છે. આથી માળીયા ફાટક હાઈવેને જોડતી હોય અહીંયા દરરોજ સરેરાશ 7 હજારથી વધુ ટ્રક સહિતના માલવાહક વાહનો પસાર થાય છે અને સ્થાનિક ટુ વ્હીલર સહિતનો અનેક વાહનો તો જુદા જ એટલે હજારો વાહનો અહીંથી નીકળે છે. ઓવરબ્રિજ રોડ ચડતા અને ઉતરતી જગ્યાએ પડેલા મસમોટા ખાડાઓએ અકસ્માત ઝોન બનાવી દીધો છે. આ ઓવરબ્રિજ ઉપર જીવલેણ ખાડાના કારણે છેલ્લા પાંચ દિવસમાં આઠ જેટલા વાહનો પલ્ટી ગયા છે જેમાંથી શનિવારે એક દિવસમાં જ ત્રણ જેટલા વાહનો ખાબકયા હતા એમાંથી એક બાઈક ચાલકને ઇજા થઇ હતી જ્યારે શનિવારે મોડી રાત્રે એક માલવાહક ટ્રક પણ પલ્ટી મારી ગયો હતો જોકે સદનસીબે જાનહાની થઈ ન હતી. આ ઓવરબ્રિજના મેન્ટેનન્સની જવાબદારી કોન્ટ્રાક્ટ કંપનીની ભલે બનતી હોય પણ એની પાસે કામ કરાવવાની જવાબદારી તો આખરે જે તે જવાબદાર તંત્રની જ હોય છે પણ તંત્રને આ બાબતે જાણ હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. કદાચ ન કરે નારાયણને ખાડાને કારણે કોઈ વાહન પલ્ટી જાય અને સામેથી પુરપાટ ઝડપે મોટું વાહન આવતું હોય ત્યારે મોટો અકસ્માત થાય તો જવાબદારી કોની ? જેથી તંત્ર વહેલી તકે આ ખાડાનું રીપેરીંગ કામ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.