રાજકોટની ધરતી પર યોજાનાર બાબા બાગેશ્ર્વર – ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની કથાને લઈને સમાજમાં અને સોશિયલ મીડિયા પર વિવિધ ચર્ચાઓ અને વિરોધના સૂર સંભળાઈ રહ્યા છે. જોકે અહીં ખાસ સમજવા જેવી બાબત એ છે કે, ચોતરફ જોવા મળતો વિરોધ બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાનો નહીં પરંતુ બાબા બાગેશ્ર્વર દ્વારા કથા દરમિયાન ભરાતા દિવ્ય દરબાર – પર્ચીઓ પઢવા, અકલ્પનિય દાવાઓ કરવા તેમજ ભૂત ભગાડવા ને ઘૂણાવવા મામલે થઈ રહ્યો છે. વધુમાં મોંઘવારી માર અને ઈંધણની અછત વચ્ચે આ પ્રકારના આયોજન કેટલા અંશે યોગ્ય એવા સવાલ ઉઠી રહ્યા છે. હકીકતમાં આજ સુધીમાં એકપણ વ્યક્તિએ હનુમંત કથાનો સીધો વિરોધ કર્યો નથી અને કોઈ નાસ્તિક હિંદુ કે વિધર્મી પણ એ કરી ન શકે. કોઈએ પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની હનુમંત કથા નહીં કરવા દઈએ એવું કહ્યું જ નથી. વાંધો માત્ર બાબા બાગેશ્ર્વર દ્વારા કરાતા ચમત્કાર સામે છે, તેમના દ્વારા કરાતી હનુમંત કથાનું રસપાન કરવા તેમના વિરોધીઓ પણ આતુર હોય છે.
ધાર્મિક કથા, ભજન ગીત અને આધ્યાત્મિક પ્રવચનો આપણી પરંપરાનો ભાગ છે તેને રોકવાની વાત કરવી યોગ્ય ગણાય નહીં. પરંતુ જ્યારે ધાર્મિક મંચ પર અંધશ્રદ્ધા, અલૌકિક દાવાઓ અથવા અરજીના નામે ચમત્કારના પ્રદર્શન જેવી બાબતો ઉમેરાય છે ત્યારે પ્રશ્ર્નો ઊભા થવા સ્વાભાવિક છે. જોકે અહીં વિચારવા જેવી બાબત છે કે, હજારો બાબાઓમાંથી એકમાત્ર બાબા બાગેશ્ર્વરનો જ વિરોધ શા માટે? વળી, બાબા બાગેશ્ર્વર તો દેશ-દુનિયામાં દરબાર યોજે છે, ટીવીમાં આવે છે ત્યારે તેમનો વિરોધ નહીં અને રાજકોટમાં જ કેમ? જે રીતે વિચારકો કે વિવેચકોને પોતાના વિચારો રજૂ કરવાનો હક છે, તે જ રીતે કોઈ ધાર્મિક વક્તાને સાંભળવા કે ન સાંભળવા એ જનતાનો અંગત અધિકાર છે. જો કોઈ આયોજન કાયદો અને વ્યવસ્થાની મર્યાદામાં રહીને થતું હોય તો માત્ર વૈચારિક અસંમતિના કારણે તેના પર પ્રતિબંધ મૂકવાની કે તેનો વિરોધ કરવાની માગ બંધારણીય મૂલ્યોની વિરુદ્ધ છે. પછી કાયદો કાયદાનું કામ કરે, પણ જો કોઈ હનુમંત કથાનો વિરોધ કરતું હોય તો તે અસ્થાને છે.
બાબા બાગેશ્ર્વરના વિરોધ પાછળ મોટેભાગે ‘ચમત્કાર’ કે ‘દિવ્ય દરબાર’ના દાવાઓને આગળ ધરવામાં આવે છે. વિજ્ઞાન અને તર્કના આધારે પ્રશ્ર્નો ઉઠાવવા એ ખોટું નથી પરંતુ ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં શ્રદ્ધા એ લોકોની આંતરિક બાબત છે. સનાતન પરંપરામાં કથા અને સત્સંગનો મોટો ઈતિહાસ રહ્યો છે. જો કોઈ વ્યક્તિ આપમેળે ત્યાં જઈને આસ્થા અનુભવતી હોય તો ત્રીજી વ્યક્તિએ તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. જ્યાં સુધી કોઈ કાયદાકીય છેતરપિંડી કે નુકસાન સાબિત ન થાય ત્યાં સુધી કોઈની આસ્થાને અંધશ્રદ્ધાનું લેબલ લગાવીને વિરોધ કરવો એ લોકતાંત્રિક નથી.
જાહેર મંચ પરથી હજારોની મેદની વચ્ચે અને ડિજિટલ માધ્યમોમાં ચાલતા જીવંત પ્રસારણમાં વ્યક્તિના જીવન વિશે અજાણી માહિતી કહેવી, સમસ્યાઓનો ઉકેલ બતાવવો અથવા ચમત્કારિક શક્તિઓનો સંકેત આપવો.. આ બાબતો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ચર્ચાસ્પદ બને છે. પ્રબુદ્ધ પ્રજા માટે આવી બાબતો નાટક-ઢોંગ હોય છે અને તેઓ તેને સીધી કે આડકતરી રીતે કદાપિ સ્વીકારતા નથી. અહીં વિરોધ ભક્તિનો નહીં, પરંતુ અંધભક્તિનો થતો હોય છે. બાબા બાગેશ્ર્વરના કિસ્સામાં પણ વિરોધ હનુમંત કથાનો નહીં, દિવ્ય દરબારનો થઈ રહ્યો છે. અને આ પહેલીવાર પણ નથી. વિરોધો વચ્ચે પણ રાજકોટ નહીં તો બીજે કશે કેટકેટલાય બાબાઓના દરબાર ભરાતા રહેવાના છે. કોઈ એક કે અમુક વ્યક્તિ તેને અટકાવી-રોકી શકે તેમ નથી. તેથી બાબા બાગેશ્ર્વરનો વિરોધ કરવો એ સમય અને શક્તિની બરબાદી સિવાય બીજું કશું નથી.
રાજકોટમાં યોજાનાર બાબા બાગેશ્ર્વરની કથામાં યોજાનારા દિવ્ય દરબારને લઈને કેટલાક વર્ગોમાં વિરોધના સ્વર ઉઠ્યા છે ત્યારે આ સમગ્ર મુદ્દાને ભાવનાત્મક નહીં પરંતુ તાર્કિક દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે. આજે જ્યારે યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિ અને ડિજિટલ દુનિયા તરફ આકર્ષાઈ રહી છે એ સમયે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી જેવા વક્તાઓ પોતાની આગવી શૈલીથી લાખો યુવાનોને સનાતન સંસ્કૃતિ, સંસ્કાર અને રાષ્ટ્રવાદ તરફ વાળી રહ્યા છે. વ્યસનમુક્તિ અને ગૌસેવા જેવા સામાજિક મુદ્દાઓ પર પણ તેમના મંચ પરથી સતત ભાર મૂકવામાં આવે છે. આવા આયોજનો સમાજને એકસૂત્રતામાં બાંધવાનું અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવાનું કામ કરે છે. બીજી તરફ આ પ્રકારના દિવ્ય ભવ્ય આયોજનમાં અરજી લગાવવાના – પર્ચા પઢવાના – ચમત્કાર બતાવવાના વિરોધ પાછળ આખીયે કથાનો વિરોધ અયોગ્ય છે. આયોજકો અને વિરોધ કરનારાઓએ મીડિયા કે સોશિયલ મીડિયામાં સામસામે આવ્યા વિના રૂબરૂ સીધો સંવાદ સાધીને મધ્યમ માર્ગ ચોક્કસ નીકાળી શકે, જેથી રાજકોટની જનતાને હનુમાનજીની કથાનો લાભ મળે.
વિરોધનો અધિકાર છે, અવરોધનો નહીં!
- Advertisement -
ભારતનું બંધારણ દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન, પ્રચાર અને પ્રસાર કરવાનો અધિકાર આપે છે. જો કોઈ કાર્યક્રમ કાયદો અને વ્યવસ્થાને ભંગ કરતો ન હોય, હિંસા કે દ્વેષ ફેલાવતો ન હોય અને કાયદેસર પરવાનગીઓ સાથે યોજાતો હોય તો માત્ર વ્યક્તિગત અસહમતિના આધારે તેનો વિરોધ કરવો લોકશાહી ભાવનાને અનુકૂળ ગણાઈ શકે નહીં. બાબા બાગેશ્ર્વરને લાખો લોકો આધ્યાત્મિક વક્તા અને ધર્મ ગુરુ તરીકે માને છે. ઘણા લોકો તેમની કથાઓમાં ધાર્મિક શાંતિ, ભક્તિ અને જીવનમૂલ્યોનો અનુભવ કરે છે. કોઈ વ્યક્તિ અથવા સંસ્થા સાથે સહમત ન હોવું અલગ બાબત છે પરંતુ અન્ય લોકોની આસ્થાને દબાવવાનો પ્રયાસ કરવો યોગ્ય નથી. લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર પણ મહત્વનો છે. જો કોઈ વર્ગ બાબા બાગેશ્ર્વરના વિચારો સાથે અસહમત હોય તો તેઓ ચર્ચા, લેખન અથવા શાંતિપૂર્ણ રજૂઆત દ્વારા પોતાનો મત વ્યક્ત કરી શકે છે. કથાના આયોજકોએ કે કથામાં કરાતા ચમત્કારનો વિરોધ કરનારાઓએ મર્યાદા ચૂકવી ન જોઈએ. રાજકોટમાં યોજાનારી બાબા બાગેશ્ર્વરની હનુમંત કથા મામલે સંઘર્ષ નહીં પરંતુ સંતુલન સર્જાય એ જ સાચો માર્ગ બની શકે.



