UPSCના અધ્યક્ષ મનોજ સોનીએ તેમના કાર્યકાળના પાંચ વર્ષ પહેલા રાજીનામું આપી દીધું
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCના અધ્યક્ષ મનોજ સોનીએ તેમના કાર્યકાળના પાંચ વર્ષ પહેલા રાજીનામું આપી દીધું છે. વાસ્તવમાં મનોજ સોનીની કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો. તેમણે “વ્યક્તિગત કારણોસર” રાજીનામું આપ્યું છે. મનોજ સોની 2017થી UPSC સભ્ય તરીકે સેવા આપ્યા પછી 16 મે, 2023ના રોજ UPSC અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. જેમનો કાર્યકાળ છ વર્ષનો છે. તેમણે લગભગ એક મહિના પહેલા રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપ્યું હોવાના અહેવાલ છે. જોકે તે સ્વીકારવામાં આવશે કે નહીં તે સ્પષ્ટ નથી.
PM મોદીના નજીકના મનાય છે મનોજ સોની
- Advertisement -
મનોજ સોની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના ગાઢ સંબંધો માટે જાણીતા છે. મનોજ સોનીને 2005માં વડોદરાની MS યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા હતા. UPSCમાં જોડાતા પહેલા તેમણે ડો બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)માં બે ટર્મ સહિત ગુજરાતની બે યુનિવર્સિટીઓમાં વાઈસ ચાન્સેલર તરીકે 3 ટર્મ સેવા આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મનોજ સોની ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની શાખા અનુપમ મિશન માટે વધુ સમય ફાળવવા માંગે છે.
UPSCનું શું કામ છે?
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન કેન્દ્ર સરકાર વતી વિવિધ પરીક્ષાઓ યોજવામાં મહત્વની ભૂમિકા ભજવે છે જેમાં સિવિલ સર્વિસ પરીક્ષાઓ પણ સામેલ છે. આ સંસ્થા સામાન્ય રીતે IAS, IFS, IPS અને કેન્દ્રીય સેવાઓમાં પ્રતિષ્ઠિત પોસ્ટ્સ માટે ઉમેદવારોની ભલામણ કરે છે.