નપુંસકનું બ્રહ્મચર્ય, ગરીબનો ત્યાગ અને કાયરની અહિંસા – આ ત્રણેય એકસમાનપણે નકામા છે.
સિદ્ધાર્થ રાઠોડ : પરિપ્રેક્ષ્ય
- Advertisement -
આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં એન્ગર મેનેજમેન્ટ, ઇમોશનલ ક્વોશન્ટ કે પ્રોફેશનલ એપ્રોચના નામે એક માનવી પાસેથી તેની માનવીય સંવેદનાઓ વ્યક્ત કરવાનો અવસર છીનવી લેવામાં આવે છે. ગુલામ બનાવવાની મનોવૃત્તિને આવા અતિ-આધુનિક શબ્દોની મીઠી ચાસણીમાં ડુબાડીને મોટા-મોટા આકાઓ કેટલાય માણસોને પોતાના સ્વાર્થ માટે વાપરે છે.
પરિણામ સ્વરૂપ, મોટાભાગના માનવીઓ પોતાની પ્રકૃતિદત્ત વિદ્રોહની ભાવના અને ક્રોધનો ત્યાગ કરીને, છળકપટ અને દંભ જેવા ગુણોને સ્વીકારી લે છે, જે તેમને તેમની મનુષ્યતાથી વિમુખ કરે છે. આવા સમયે પરશુરામ અત્યંત પ્રસ્તુત છે, જે શુદ્ધ ક્રોધ અને અન્યાય સામે ઉઠતા વિદ્રોહનું સ્વરૂપ છે. મને હંમેશા ક્રોધમાં એક પ્રકારની પ્રમાણિકતા અને પારદર્શિતા દેખાય છે, જે સામાન્ય રીતે શાંત સ્વભાવના માણસોમાં હોતી નથી.
લાઈફ ઓફ પાઈ મુવિનું પેલું દૃશ્ય યાદ છે કે જેમાં પાઈ પોતાની સ્વાભાવિક શ્રદ્ધાથી પ્રેરાઈને વાઘની સામે જાય છે? તેને એમ કે વાઘ તેની પર હુમલો નહી કરે. પછી તેના પપ્પા તેને બતાવે કે વાઘ વાઘ હોય, તમારા મગજમાં શું ભર્યું છે તેનાથી વાઘને કોઈ મતલબ નથી. તેના પપ્પા વાઘના પાંજરા સામે બકરીનું બચ્ચું બાંધી દે અને વાઘ તે બચ્ચાને પાંજરાના સળિયા સોંસરવું ફાડી ખાય છે. તેના પપ્પા ક્રૂર કે નિર્દય નતા માત્ર વાસ્તવિક હતા. એક બાપની ફરજ તે અદા કરતા હતા. એક જાણીતી વાત છે ને કે તમે જંગલમાં જાઓ તો તમે શાકાહારી અને અહિંસક છો, વાઘ નહી અને વાઘને એ ખબર પણ નથી કે તમે અહિંસામાં માંનો છો.
માણસો દિવસે દિવસે વધુ વેવલા અને નાટકિયા થતા જાય છે. સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં પ્રાણીઓ માણસો કરતાં બહેતર એવા વાક્યો સાંભળવા મળે છે. થોડા વર્ષો પહેલા પેલા રીંછ સામે પુરુષ વાળા સર્વેમાં ઘણી અક્કલ વગરની આઇટમોએ રીંછને મત આપેલ. આવી બધી કપલીનોને કહેવાનું કે માણસો ચેતના અને સમજદારીના એક સ્તર પર છે, પ્રાણીઓ નહી એટલે તમે પાપપુણ્ય, સારુખરાબ, હિંસાઅહિંસા જેમાં પણ માનતા હોય, મનુષ્યેતર સજીવોને તેનાથી કોઈ લેવા દેવા નથી. અમુક આપના વેવલા ભ્રમ જે હોય તે તૂટી જાય એ જ ઉચિત છે.
યાદ છે ને તે લાઈફ ઓફ પાઈ ફિલ્મમાં પાઈના પપ્પા તેને કહે છે કે જ્યારે તું વાઘની આંખોમાં જુએ છે ત્યારે તને તેની નહી પણ તારી પોતાની લાગણીઓનું પ્રતિબિંબ તેમાં દેખાય છે.
- Advertisement -
મૈને યે ભી સોચા હૈ અક્સર, તું ભી મૈં ભી સભી હૈ શીશે, ખુદ હી કો હમ સભી મેં દેખે……
નાનપણમાં અકબર બીરબલની એક વાર્તા વાંચી હતી. અકબરને રીંગણાં ખૂબ ભાવે એટલે બીરબલ રીંગણના વખાણ કરે; આહાહા રીંગણાં તો શાકના રાજા છે, તેનો રંગ પણ કેવો મસ્ત છે, આકાર પણ કેવો સરસ વગેરે વગેરે. અકબર રીંગણાં ખાધે રાખે અને ખાધે જ જાય. પછી, ધીરે ધીરે તેને રીંગણાં અબખે પડી જાય એટલે તે રીંગણની ટીકા કરે એટલે બીરબલ પણ તેની ટીકા કરે; સ્વાદમાં કેવા કડછા, એક તો નાના નાના અને ઉપરથી કાંટાવાળા, એમાંય વળી બી હોય. ત્યારે અકબર તેની પર ખીજાય જાય અને કહે કે પહેલા તો તું રીંગણના વખાણ કરતો હતો. બીરબલ કહે કે જહાંપનાહ, હું આપનો નોકર છું, રીંગણનો નહિ.
પોતાની વિચારધારાને કોઈ પણ ભોગે વળગી રહેતા, માનવતા, પરોપકાર, દેશ કરતાં પોતાની વિચારધારાને અહમ ગણતા લોકો અત્યારે બહુ જ છે. ‘રીંગણ’ના ખરા નોકરની દેશને અત્યારે તાતી જરૂર છે. એવા સ્વમાની ખુદ્દાર લોકોની જરૂરત હંમેશા રહેવાની.
પૂર્ણાહુતિ:
કાપડ ઓછું છે, તો ગજવાં હટાવ તું,
ઝભ્ભો મારો કૉલર વાળો બનાવ તું.
– મધુસુદન પટેલ




