રોહિંગ્યાઓની ભારતમાંથી હકાલપટ્ટી મુદ્દે હોબાળો થયો હતો પણ અફઘાન મુસ્લિમો અંગે મુસ્લિમ દેશો મૌન
યુદ્ધ વગર પાક.-અફઘાન સરહદે દસકામાં વિશ્ર્વની સૌથી મોટી હિજરત
- Advertisement -
બલુચિસ્તાન, કરાચી, લાહોર સહિતના શહેરોમાં હજારો અફઘાનિસ્તાનીઓની ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
ધર્મના નામે કટ્ટરવાદ અને આતંકવાદ ફેલાવનારુ પાકિસ્તાન હવે ધર્મને નેવે મુકીને પોતાના અસલી રંગમાં આવી ગયું છે. મુસ્લિમ બહુમતવાળા પાકિસ્તાનમાં રહેતા 17 લાખ અફઘાનિસ્તાની મુસ્લિમોને પાકિસ્તાને એક ઝાટકે કાઢી મુક્યા છે. વર્ષોથી પાકિસ્તાનમાં રહેતા આ અફઘાનિસ્તાનીઓ એક જ દિવસમાં શરણાર્થી બની ગયા અને હાલ આશરા માટે રઝળી રહ્યા છે. તેઓની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ખાવા પીવાની સાથે ઠંડીમાં ઓઢવા માટે પણ કઇ જ નથી. આ લોકોને મદદ કરનારી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ અનેક ખુલાસા કર્યા છે. પાકે. ઘરેણા, સોનુ, કિમતી સામાન સહિતની વસ્તુઓ છીનવી લીધી, માત્ર પહેરેલા કપડે જ રઝળતી હાલતમાં કાઢી મુક્યા. પાકિસ્તાન સરહદ પાર કરીને અફઘાનિસ્તાનમાં પ્રવેશી રહેલા આ શરણાર્થીઓએ ભારે દુ:ખ સાથે મીડિયાને જણાવ્યું હતું કે તેમને પાકિસ્તાને પોતાનો સામાન પણ સાથે ના લેવા દીધો અને ખાલી હાથે જ કાઢી મુક્યા.
સરહદે દરરોજ હજારોની સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનીઓને ધમકી આપી હતી કે તેઓ 31મી ઓક્ટોબર સુધીમાં પાકિસ્તાન ખાલી કરી દે નહીં તો તેમને ઘૂસણખોર જાહેર કરીને તેમની ધરપકડ કરવામાં આવશે. ધરપકડથી બચવા માટે આ અફઘાનિસ્તાનીઓ મોટી સંખ્યામાં હિજરત કરવા મજબૂર થયા હતા. આશ્ર્ચર્યની વાત એ છે કે અન્ય એક પણ મુસ્લિમ દેશ દ્વારા આ અંગે વિરોધ કરવામાં નથી આવ્યો. ઇઝરાયેલે ગાઝા પર હુમલો કર્યો જેને કારણે ત્યાં રહેતા 20 લાખથી વધુ મુસ્લિમો ઘર વિહોણા થઇ ગયા છે અને આશરા માટે રઝળી રહ્યા છે. જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કોઇ યુદ્ધ વગર જ 17 લાખથી વધુ મુસ્લિમોને ભટકવા માટે મજબૂર કરી દેવાયા. હાલ પાકિસ્તાન પોતાના દેશમાં રહેતા અફઘાનિસ્તાનીઓને ઘરે ઘરે જઇને શોધી રહ્યું છે. કરાચી, બલોચિસ્તાન સહિતના વિસ્તારોમાંથી અનેક લોકોની ધરપકડ કરાઇ છે. પોલીસે જણાવ્યું હતું કે પાંચ હજાર અફઘાનિઓને હોલ્ડિંગ સેંટરમાં મોકલી દેવાયા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં લાખોની સંખ્યામાં જોવા મળેલી આ સૌથી મોટી હિજરત માનવામાં આવે છે. અફઘાનિસ્તાનીઓ હાલ તોરખામ અને ચમન એમ બે મુખ્ય સરહદો પાર કરીને હાલ અફઘાનિસ્તાનમાં પ્રવેશી રહ્યા છે. તાલિબાન દ્વારા આ શરણાર્થીઓ માટે રાહત કેમ્પો તૈયાર કરાયા છે જોકે લોકોની સંખ્યા એટલી છે કે આ કેમ્પોની સુવિધા અપુરતી સાબિત થઇ રહી છે. પાકિસ્તાનના પેશાવરમાં 17 વર્ષથી રહેતા કયાલ મોહમ્મદે જણાવ્યુ હતું કે અમારા ઘરમાં જે કઇ સામાન એકઠો કર્યો હતો તેને પણ ના લેવા દેવાયો અને ખાલી હાથે પહેરેલા કપડે અમને ખદેડી મુકાયા.