અદ્યતન મેમરી ટેક્નોલોજી અને ખાદ્ય નવીનતા અંગે પ્રો. (ડૉ.) ઉત્પલ એસ. જોશીનું વ્યાખ્યાન
વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકોના સંશોધન આધારિત વ્યાખ્યાનો બન્યા આકર્ષણનું કેન્દ્ર
- Advertisement -
ReRAM, મટિરિયલ સાયન્સ, બાયોફિઝિક્સ અને ખાદ્ય વિજ્ઞાનના નવા આયામો રજૂ, અનેક વક્તાઓને CRS એવોર્ડથી સન્માનિત કરાયા
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે ચિરંતન રસાયણ સંસ્થા (CRS) દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય રસાયણ વિજ્ઞાન પરિસંવાદના બીજા દિવસે દેશ-વિદેશના ખ્યાતનામ વૈજ્ઞાનિકોના સંશોધન આધારિત વ્યાખ્યાનો યોજાયા હતા. પરિસંવાદ દરમિયાન અદ્યતન મેમરી ટેક્નોલોજી, મટિરિયલ સાયન્સ, બાયોફિઝિક્સ, ફૂડ ઇનોવેશન અને આધુનિક સંશોધનના વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સત્રમાં ઉપસ્થિત સંશોધકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય વૈજ્ઞાનિક સંશોધનો અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ હતી.
પરિસંવાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) ઉત્પલ એસ. જોશીએ “A Brief Review of Advanced Materials in Electronics” વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે આગામી પેઢીની મેમરી ટેક્નોલોજી Resistive Random Access Memory (ReRAM) અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે ટ્રાન્ઝિશન મેટલ ઓક્સાઇડ્સ, ખાસ કરીને નિકલ ઓક્સાઇડ (NiO), ભવિષ્યની નોન-વોલેટાઇલ મેમરી માટે અત્યંત સંભાવનાસભર સામગ્રી તરીકે ઉભરી રહ્યા છે. તેમણે Resistive Switching (RS)ની કાર્યપદ્ધતિ સમજાવતાં જણાવ્યું કે વિદ્યુત ક્ષેત્રના પ્રભાવથી પદાર્થના પ્રતિકારમાં થતા પરિવર્તનના આધારે માહિતીનો સંગ્રહ શક્ય બને છે. તેમણે Cr:SrzrO3, LaCoO3, PCMO/YBCO/LAO અને NiO જેવી વિવિધ ટ્રાન્ઝિશન મેટલ ઓક્સાઇડ સિસ્ટમ્સના સંશોધન પરિણામો રજૂ કરીને તેમની વિશેષતાઓ અને ઉપયોગિતા અંગે પ્રકાશ પાડ્યો હતો.
પ્રો. જોશીએ જણાવ્યું હતું કે ReRAM ટેક્નોલોજી નોન-વોલેટાઇલ મેમરી, નાનું સેલ સાઇઝ, ઝડપી રીડ-રાઇટ ગતિ અને ઓછા ઓપરેટિંગ વોલ્ટેજ જેવા ગુણધર્મોને કારણે ભવિષ્યની મેમરી ટેક્નોલોજી તરીકે અત્યંત આશાસ્પદ છે. તેમણે ઉમેર્યું કે પોલીક્રિસ્ટલાઇન પાતળી ફિલ્મો વધુ અસરકારક રેઝિસ્ટિવ સ્વિચિંગ દર્શાવે છે, જ્યારે બાઇનરી ટ્રાન્ઝિશન મેટલ ઓક્સાઇડ્સ CMOS ટેક્નોલોજી સાથે વધુ સુસંગતતા ધરાવે છે. વ્યાખ્યાન દરમિયાન તેમણે વર્ષ 2002માં Samsung Electronics, South Korea દ્વારા રજૂ કરાયેલા વ્યાવસાયિક ReRAM વિકાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે PCMO/SiO₂ સિસ્ટમમાં આશરે 950નો મહત્તમ Resistive Switching Ratio (RS Ratio) પ્રાપ્ત થયો હતો, જે ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા મેમરી ઉપકરણોના વિકાસ માટે નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવે છે.
આ ઉપરાંત મણિપાલ સ્કૂલ ઓફ લાઇફ સાયન્સિસના ડૉ. નિર્મલ મઝુમદારે પોતાના વ્યાખ્યાનમાં ખાદ્ય વિજ્ઞાન અને બાયોફિઝિક્સ ક્ષેત્રે થઈ રહેલા અદ્યતન સંશોધનો અંગે માહિતીસભર રજૂઆત કરી હતી. તેમણે ચોખાના સ્ટાર્ચની રચના, તેના ભૌતિક અને જૈવિક ગુણધર્મો તેમજ ખાદ્ય ક્ષેત્રે તેની વૈજ્ઞાનિક ઉપયોગિતા અંગે સંશોધન આધારિત માહિતી આપી હતી. સાથે જ તેમણે આધુનિક બાયોફિઝિકલ તકનીકો દ્વારા ખાદ્ય પદાર્થોની રચના અને કાર્યપ્રણાલી સમજવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમના જણાવ્યા મુજબ આવા સંશોધનો ભવિષ્યમાં વધુ ગુણવત્તાયુક્ત, પૌષ્ટિક અને નવીન ખાદ્ય ઉત્પાદનોના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. પરિસંવાદમાં અન્ય વક્તાઓ તરીકે ડૉ. જે. પૉલ એટફિલ્ડ (ઓનલાઇન), ડૉ. એસ. સંપથ (ઓનલાઇન), ડૉ. સશિધર બી. સોમપ્પા, ડૉ. જીબ કે. પાત્રા, ડૉ. પ્રતાપ વિશ્નોઈ (ઓનલાઇન), ડૉ. દુર્ગા પ્રસાદ હરી, ડૉ. વાય. એસ. વિદ્યા, ડૉ. ઉમેદ સી. ભોયા, ડૉ. નવ્યા રાણી એમ., પ્રો. ડૉ. બેટિના વી. લોદ્શ (ઓનલાઇન), પ્રો. શોવન કે. મજુમદાર તથા ડૉ. શ્રીધર એમ. બી.એ વિવિધ વૈજ્ઞાનિક વિષયો પર સંશોધન આધારિત વ્યાખ્યાનો આપ્યા હતા. તેમના વ્યાખ્યાનો દ્વારા મટિરિયલ સાયન્સ, અદ્યતન મેમરી ટેક્નોલોજી, બાયોફિઝિક્સ અને ફૂડ ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં થઈ રહેલા વૈશ્વિક સંશોધનો અંગે ઉપસ્થિતોને મહત્વપૂર્ણ માહિતી મળી હતી.
વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ ચિરંતન રસાયણ સંસ્થા (CRS) દ્વારા ડૉ. જે. પૉલ એટફિલ્ડ (ઓનલાઇન), ડૉ. એસ. સંપથ (ઓનલાઇન), ડૉ. નિર્મલ મઝુમદાર, ડૉ. પ્રતાપ વિશ્નોઈ (ઓનલાઇન), ડૉ. દુર્ગા પ્રસાદ હરી, પ્રો. ડૉ. બેટિના વી. લોદ્શ (ઓનલાઇન), ડૉ. શ્રીધર એમ. બી. તેમજ ડૉ. આશિષ કુમાર સતપતિ (ઓનલાઇન)ને CRS એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સમગ્ર વ્યાખ્યાનમાળાનું જીવંત પ્રસારણ Saurashtra University Officialની YouTube ચેનલ પર કરવામાં આવ્યું હતું, જેના કારણે દેશ-વિદેશના સંશોધકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઓનલાઈન પણ પરિસંવાદનો લાભ લીધો હતો. આ પરિસંવાદે વૈજ્ઞાનિક જ્ઞાનના આદાન-પ્રદાનને વધુ ગતિ આપતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વૈશ્વિક શૈક્ષણિક ઓળખને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.




