સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજર સંખ્યા ક્યારેય 80થી ઉપર ગઈ નથી
જે શાળા મર્જ થવી જોઈએ તેનાં પુન:નિર્માણ પાછળનો હેતુ શો હોઈ શકે?
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને અભિશાપ: કોઇ પારદર્શક પદાધિકારી કે શાસનાધિકારી મળતા નથી !
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વધુ કેટલાક ગોટાળા બહાર આવ્યા છે. શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલી શિક્ષણ સમિતિની શાળા નં. 28ને પાડીને નવું બાંધકામ કરવાના નામે માનીતા કોન્ટ્રાક્ટરને ખટાવવાનો તખ્તો ઘડાઈ ગયો છે. આ કાંડમાં શિક્ષણ સમિતિના પદાધિકારી અને શાસનાધિકારી કિરીટ પરમાર મુખ્ય ભૂમિકામાં હોય એવું ચર્ચાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા નં. 28 અને શાળા નં. 51માં આવેલી જૂની ઈમારત જમીનદોસ્ત કરીને નવું બાંધકામ કરવાની દરખાસ્ત કોર્પોરેશનમાં કરવામાં આવી હતી. આ દરખાસ્તને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં જ મંજૂરી મળી ગઈ છે. આ બંને શાળાઓ પૈકી શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી શાળા નં. 51માં નવું બાંધકામ જરૂરી છે પરંતુ ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલી શાળા નં. 28માં નવું બાંધકામ જરૂરી ન હોવા છતાં કરવામાં આવનાર છે. આમ, ચાલાકીપૂર્વક સરકારી નાણાંનો દુરુપયોગ કરીને સરકારી કામમાં કમિશન મેળવવા અધિકારી-પદાધિકારી દ્વારા વ્યવસ્થિત આયોજન થઈ ચૂક્યું છે.
- Advertisement -
ચેરમેન પુજારા શાળા નિર્માણના ખર્ચથી અજાણ!
શાળા નં. 28ના બિલ્ડિંગને પાડીને નવું બનાવવા પાછળ કેટલો ખર્ચ થશે તે અંગે જાણવા ’ખાસ-ખબર’ દ્વારા શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વિક્રમ પુજારાએ ‘ખાસ-ખબર’ને જણાવ્યું હતું કે, તેઓને ખર્ચની વિગતની જાણ નથી. વિગત મેળવવાની બાકી છે. તેઓ વિગત મેળવી જણાવશે કે, શિક્ષણ સમિતિની શાળાના બાંધકામ પાછળ કેટલો ખર્ચ મંજૂર થયો છે.
એક સમયે આ શાળા બંધ કરી દેવાનું નક્કી થઈ ગયું હતું!
રિનોવેશનથી જ કામ ચાલી જાય તેમ છે તો પછી આખું બિલ્ડિંગ નવું શા માટે કરવાનું?
કોને મલાઈ તારવવી છે? કોણ બિનજરૂરી ખર્ચ કરાવવા માંગે છે?
ઉલ્લેખનીય છે કે, શાળા નં. 28માં પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા માત્ર 123 જેટલી જ છે અને હાજર સંખ્યા કયારેય 80થી ઉપર નથી ગઇ. વળી, આ જ શાળાના ગ્રાઉન્ડમાં અન્ય એક બિલ્ડિંગ પણ આવેલું છે. આ શાળામાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા ન હોય, આ શાળાને અન્ય શાળામાં ભેળવવી જોઈએ કે બાજુના બિલ્ડીંગમાં લઈ જવી જોઈએ તેની જગ્યાએ બિનજરૂરી રીતે શાળાની ઈમારતને પાડીને નવેસરથી જ બનાવવા આવવા પાછળ ફક્તને ફક્ત માનીતા કોન્ટ્રાક્ટને ખટાવવાનો અને ખાટવાનો કારસો ઘડાયો છે એવું ચર્ચાઈ રહ્યું છે.
ચેરમેન સહિતના સભ્યો ઘર ભેગા થઈ ગયા પણ ‘મામાના ભાણા’ને કશું નહીં થાય તેવો ફાંકો
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ ચેરમેન સહિતના સભ્યોના રાજીનામાં લઈ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ શાસનાધિકારી કિરીટ પરમાર ઉપર કોઈ પગલાં ભરવામાં આવ્યા નહતા. આજકાલ મામાના ભાણા તરીકે ઓળખાતા કિરીટ પરમાર એવો ફાંકો રાખી રહ્યા છે કે, શિક્ષણ સમિતિમાં ગમે તે થાય તો પણ તેમને કશું નહીં થાય. કરપ્શન કરવામાં પણ આટલો જબરદસ્ત કોન્ફિડન્સ હોવાનું કારણ બધા જાણે છે. આ અંગે કિરીટ પરમારનો સંપર્ક સાધવા ખાસ-ખબર દ્વારા પ્રયત્ન કરાયો હતો પણ તેમણે ફોન ઉપાડ્યો ન હતો.
ડઝનેક શાળાઓનું કરોડોના ખર્ચે નવીનીકરણ કરાશે
રાજકોટ શિક્ષણ સમિતિમાં આવેલી ડઝનેક શાળાઓનું કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે. આ નવીનીકરણ પાછળ પ્રત્યેક શાળામાં ફર્નિચર સહિત બાંધકામનો 7થી 8 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. વિદ્યાર્થીઓને સુવિધાયુક્ત શિક્ષણ માટે શાળામાં નવું બાંધકામ જરૂરી છે પરંતુ શિક્ષણ સમિતિ દ્વારા માનીતા કોન્ટ્રાક્ટરને ખટાવવા માટે કેટલીક શાળાઓની ઈમારતને બિનજરૂરી પાડીને નવી બનાવવામાં આવનાર છે. અલબત્ત જે શાળાઓ નવી છે તેનું બિલ્ડીંગ પણ પાડીને નવેસરથી બનાવવામાં આવનાર છે જે અનેક શંકા અને સવાલ ઉપજાવનાર છે. અલબત્ત શિક્ષણ સમિતિ દ્વારા કોર્પોરેશનમાં મંજૂરી મેળવવા આવતી દરખાસ્તને જવાબદાર નેતા કે અધિકારીઓ મારફત પણ શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા કે અન્ય બાબત માટે માહિતી એકત્ર કરી ચકાસવામાં આવતી નથી અને સીધી જ શિક્ષણ સમિતિની દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવે છે!