પરેશ રાજગોર : બુક રિવ્યુ
જાસૂસી સાહિત્યના બેતાજ બાદશાહનું ગુજરાતી પદાર્પણ
- Advertisement -
પ્રથમવાર પ્રકાશિત થયો ૧૧ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ પોઇરો ઇન્વેસ્ટીગેટ્સ, મનોવિજ્ઞાનના આધારે કેસ ઉકેલતી અજોડ શૈલી
વિશ્વમાં શેક્સપિયર પછી સૌથી વધુ ભાષામાં અનુવાદિત થયા હોય અને સૌથી વધુ પુસ્તકો વેચાયા હોય એવા લેખીકા એટલે અગાથા ક્રિસ્ટી. તેમને ક્વીન ઓફ ક્રાઇમ તરીકે પણ ઓળખવામાં આવતા. તેમણે લગભગ 80 જેટલી નવલકથાઓ લખી છે. તેમના પુસ્તક એન્ડ ધેન ધેર વેર નનની 10 કરોડથી વધુ નકલો વેચાયાનું અનુમાન છે. એ સિવાય મર્ડર ઓન ઓરીયેન્ટ એક્સપ્રેસ, ડેથ ઓન ધ નાઇલ, મર્ડર ઓફ રોજર એક્રોઈડ, એબીસી મર્ડર જેવી નવલકથાઓ જગવિખ્યાત છે. તેમના પુસ્તકો પરથી ઘણી ફીલ્મો પણ બની છે. બોલીવૂડમાં બનેલી ઘણી મર્ડર મીસ્ટ્રી ફીલ્મો પણ એમના પુસ્તકો પરથી પ્રેરણા લઈ બનાવાઈ છે.
અગાથા ક્રીસ્ટીનું મુખ્ય જાસુસી પાત્ર એટલે હરક્યુલ પોઇરો. તે એક બેલ્જીયન જાસુસ છે. જે લંડનમાં રહે છે. તેના પુરોગામી જાસુસ શેરલૉક હોમ્સથી તેની કામ કરવાની શૈલી સાવ અલગ છે. તે હોમ્સની જેમ સુક્ષ્મ અવલોકન ક્ષમતાને આધારે નહીં. ગુનેગારોના મનોવિજ્ઞાનને સમજીને તેના સુધી પહોંચવામાં વધુ આધાર રાખે છે. તેઓ માને છે કે દરેક ગૂનાની પાછળ કોઈ માનસિક કારણ અને માનવિય સ્વભાવ છુપાયેલો હોય છે.
અગાથા ક્રિસ્ટીની સૌથી મોટી શક્તિ તેમની કથારચના છે. તેઓ શરૂઆતમાં વાચકને ઘણા સંકેતો આપે છે, પરંતુ તે સંકેતોનું સાચું મહત્વ અંત સુધી સમજાતું નથી. ઘણી વખત જે વ્યક્તિ નિર્દોષ લાગે છે તે શંકાસ્પદ બની જાય છે, અને જે સૌથી વધુ શંકાસ્પદ લાગે છે તે સંપૂર્ણપણે નિર્દોષ સાબિત થાય છે. આ જ કારણ છે કે તેમની વાર્તાઓ છેલ્લાં પાના સુધી રોમાંચ જાળવી રાખે છે.
આજે વાત કરવી છે. અગાથા ક્રિસ્ટીના પુસ્તક પોઇરો ઇન્વેસ્ટીગેટ્સ વિશે. આ નવલકથા નથી પરંતુ અગિયાર ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. જે સૌ પ્રથમ વખત ગુજરાતી ભાષામાં પ્રકાશિત થઈ રહ્યો છે. આ વાર્તાઓ સૌ પ્રથમ વખત બ્રિટનના પ્રખ્યાત મેગેઝિન ‘ધ સ્કેચમાં’ પ્રકાશિત થઈ હતી. 1924માં પ્રથમ વખત પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઇ હતી.
કથાઓ પોઇરોના મિત્ર કેપ્ટન હેસ્ટિંગ્સના મુખે કહેવાય છે. બધી વાર્તાઓમાં પોઇરોનો મિત્ર કેપ્ટન હેસ્ટિંગ્સ કેસની તપાસ દરમિયાન તેની સાથે રહે છે. મળતી માહિતી મુજબ એ પણ ગૂના શોધન માટેના પોતાના અનુમાનો લગાવતો રહે છે. તેની ઇચ્છા પણ પોઇરો પહેલા કેસ પોતાની રીતે ઉકેલી નાખવાની હોય છે. બધી વાર્તામાં પોઇરો અને હેસ્ટિંગ્સના સંવાદો અને રમુજ વાચકને અલગ મજા આપે છે. રહસ્યકથાના વાચકોએ આ પુસ્તક ચૂકવા જેવું નથી. પુસ્તક વાચતાં-વાચતાં વાચક પણ કેસનો ઉકેલ મેળવવા જાતે મથવા લાગે એવી રસપ્રદ લેખન શૈલી લેખીકાની છે. મૂળ કથાની અને અનુવાદની ભાષા પણ ખૂબ જ સરળ છે. ટૂંકી વાર્તાઓ હોવાથી પુસ્તકમાં ઘટનાને લગતા લાંબા-લાંબા વર્ણનો નથી. પુસ્તકમાં માત્ર ગૂનાની તપાસ જ નથી. માનવ સ્વભાવના અનેક રંગો પણ જોવા મળે છે. દરેક ગૂના પાછળ લોભ, ઇષ્યા, સ્વાર્થ, પ્રેમ, વિશ્વાસ, દગો જેવા ભાવ દરેક કેસમાં અલગ અલગ રીતે રજૂ થયા છે.
ધ એડવેન્ચર ઓફ ઇજિપ્શિયન ટૉમ્બ, ધ કિડનેપ્ડ પ્રાઇમ મિનિસ્ટર વાર્તાઓ મને ખૂબ પસંદ પડી છે. ગુજરાતી વાચકે અગિયાર વાર્તાઓ ચૂકવા જેવી નથી.




