ભૂલકાંઓનાં જીવ જોખમમાં!
મહાપાલિકાની 364માંથી ભાડાના મકાનમાં બેસતી 63 આંગણવાડી પાસે ફાયર NOC કે BU સર્ટિફિકેટની તપાસ કરવા કમિશનર કેમ આદેશ આપતાં નથી ?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટ મહાનગરપાલિકાના આઇસીડીએસ વિભાગ હસ્તકની 364 આંગણવાડીઓમાંથી 63 આંગણવાડીઓ ભાડાના મકાનમાં કાર્યરત છે. આંગણવાડીના 3થી 6 વર્ષના બાળકોના જીવન પર ખતરો હોવા છતાં મનપા તંત્ર ગુનાહિત બેદરકારી રાખી રહ્યાની બુમ ઉઠી છે.
મહાનગરપાલિકાના આઇસીડીએસ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં 364 આંગણવાડી ચાલે છે. આમાંથી 63 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. આ આંગણવાડીઓ મહાનગરપાલિકા હસ્તકની મિલકતો સીવાયની મિલકતોમાં કાર્યરત છે. સ્વાભાવિક રીતે આંગણવાડીમાં આવનારા બાળકો પછાત વિસ્તારના વધુ હોય છે. મહાનગરપાલિકાની જે આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે તેમાંની મોટાભાગની મિલકતો સુચિત સોસાયટીઓમાં હોવાથી આવી મિલકતોનેું બાંધકામ ગેરકાયદે બાંધકામ ગણાતું હોય તેની પાસે સ્વાભાવિકરીતે બીયુ સર્ટિફિકેટ કે ફાયર એનઓસી નથી આમછતાં મ્યુનિસિપલ કમિશનર આ બાબતને નજર અંદાજ કરી રહ્યા છે. જો એક તરફ ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી સીલ કરવામાં આવે તો પણ દેકારો બોલી જાય તેમ છે. ત્યારે મહાનગરપાલિકા પુરી તપાસ કરીને બીયુ સર્ટિફિકેટ વાળી મિલકતોમાં સ્થળાંતર કરવાની તસ્દી પણ લેતું નથી ઉલ્લેખનીય છે કે, ઇસ્ટઝોનમાં 119, વેસ્ટઝોનમા 123 અને સેન્ટ્રલઝોનમાં 122 આંગણવાડીઓ છે. મહાનગરપાલિકાના જવાબદાર સુત્રો એવું કહે છે કે, હાલમાં બાળકોની દૈનિક રસોઇ આંગણવાડીમાં બનતી નથી આથી કોઇ મોટું જોખમ નથી. આમછતાં જો બીયુ સર્ટિફિકેટ પુરતી કે ફાયર એનઓસી પુરતી જ વાત હોય તો કોઇ જોખમ ઉઠાવ્યા વગર આંગણવાડીનું સ્થળાંતર થવું જ જોઇએ.