મ્યુ. કમિશનર પણ મક્કમ, જ્યાં સુધી ફાયર NOC
અને BUના નિયમોનું પાલન નહી થાય ત્યાં સુધી એકપણ મિલકત નહીં ખુલે!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગેમઝોન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના નવ નિયુક્ત કમિશનર દેસાઇએ ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ મુદ્દે આકરૂં વલણ અપનાવીને બીયુ કે ફાયર એનઓસી વગરની મિલકતો સીલ કરવાની કામગીરી શરૂ કરી છે ત્યારે હવે ખાનગી શાળા સંચાલકો અને કેટલાંક તબીબો દ્વારા સીલ ખોલવા કમિશનર પર દબાણ લાવવાનું શરૂ કરાયું છે. બે દિવસ પહેલા શાળા સંચાલકોએ મનપાની કામગીરી સામે વિરોધ કરીને સીલ ખોલવાની માગણી કરી હતી આ પછી આજે ઉઘડતા અઠવાઠિયે ફરી શાળા સંચાલક મંડળના પ્રમુખ સહિતના હોદ્દેદારો કમિશનર દેસાઇને મળવા આવ્યા હતા અને વેકેશન ખુલી રહ્યું હોય વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે શાળા શરૂ કરવા સીલ ખોલી દેવા ઉગ્ર રજુઆત કરી હતી. આ પછી કેટલાંક તબીબો પણ કમિશનર અને બાદમાં કેટલાંક પદાધિકારીઓને મળીને હોસ્પિટલના સીલ ખોલવા રજુઆત કરી હતી. જોકે પદાધિકારીઓએ આ બાબતે કોઇ જ ભલામણ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. આ સપ્તાહે શાળાઓનું વેકેશન ખુલી રહ્યું છે ત્યારે કમરતોડ ફી ઉઘરાવતા ખાનગી શાળા સંચાલકોએ ફાયર એનઓસીના નિયમોનો ભંગ કરીને કરેલી મનમાની હવે તેઓને જ નડી રહી છે. ગેમઝોનના અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાએ ફાયર સેફ્ટિ 2023ના નવા નિયમો મુજબ ફાયર સેફ્ટિ અને એનઓસીના અભાવ તેમજ બીયુ વગરની મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરી છે.
આ કારણે શહેરની મોટાભાગની ખાનગી શાળાઓે સીલ થઇ જતાં સંચાલક મંડળના પગ નીચે રેલો આવ્યો છે અને શાળાઓના સીલ ખોલવા સતત દોડધામ કરી રહ્યા છે ગત અઠવાઠિયે શાળા સંચાલકોએ ફાયર સેફ્ટિ- 2023ના નિયમો જાહેર ર્ક્યા વગર શાળાઓ સહિતની મિલકતો સીલ કરવા સામે વિરોધ ર્ક્યો હતો. આ પછી આજે ફરીથી શાળા સંચાલક મંડળના હોદ્દેદારો મહાનગરપાલિકા કચેરીએ ધસી આવ્યા હતા અને શાળાઓના સીલ ખોલવા કમિશનરને રજુઆત કરી હતી. જોકે, કમિશનરે જ્યા સુધી ફાયર સેફ્ટિ અને બીયુ સંબંધિત ખુટતી કામગીરી પુર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી શાળાઓ જ નહીં કોઇપણ મિલકત ખુલશે નહીં તેમ સ્પષ્ટ કહ્યું હતું
આજે શાળા સંચાલક મંડળ ઉપરાંત ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબો પણ રજુઆત માટે દોડી આવ્યા હતા તેઓને પણ કમિશનરે મચક નહીં આપતાં આખરે પદાધિકારીઓને મળીને રજુઆત કરી હતી જો કે, પદાધિકારીઓએ પણ આ કિસ્સામાં કોઇ સહયોગ નહીં આપવાની સ્પષ્ટ વાત કરી દીધી હતી.