સુરત ડેપોની બસે રિવર્સ લેતા હીરાસર રૂટની બસને ટક્કર મારી, મુસાફર હિતરક્ષક સમિતિએ ડેપો મેનેજરની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના એસ.ટી. બસપોર્ટ પર આજે ફરી એકવાર બે બસ વચ્ચે ટક્કરનો બનાવ બનતા મુસાફરોની સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના જણાવ્યા અનુસાર, રાજકોટનું બસપોર્ટ થાળી ભાંગીને વાટકો જેવું બની ગયું છે, જ્યાં બસોના આડેધડ પાર્કિંગને કારણે નાના-મોટા અકસ્માતો રોજિંદા બની ગયા છે.
આજે બસપોર્ટના એન્ટ્રી ગેટ પાસે અનધિકૃત રીતે પાર્ક કરાયેલી રાજકોટ-હીરાસર રૂટની બસ (ૠઉં 01 ઊંઝ 246) સાથે સુરત ડેપોની જુનાગઢ-વડોદરા-સુરત રૂટની બસ (ૠઉં 18 ણઝ 0144) પ્લેટફોર્મ નંબર 3 પરથી રિવર્સ લેતી વખતે ભટકાઈ હતી. સદનસીબે, આ બે બસ વચ્ચે મુસાફરોની અવર-જવર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, અન્યથા મોટી દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી શક્યતા હતી. ટક્કરના પગલે રાજકોટ-હીરાસર બસનો આગળનો કાચ તૂટી ગયો હતો.
- Advertisement -
આ અંગે ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિઓ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી લાખાણી અને પ્રવીણભાઈ પારેખે સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા આ જ ગેટ પાસે બે બસ વચ્ચે ચગદાઈ જવાથી એક 24 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેમ છતાં તંત્રએ કોઈ બોધપાઠ લીધો નથી.
સમિતિએ આક્ષેપ કર્યો છે કે, એસ.ટી. બસપોર્ટ પર બસોનો આડેધડ ખડકલો જોવા મળે છે. એક્ઝિટ ગેટ પર પાર્કિંગ માટે બોક્સ બનાવવામાં આવ્યા હોવા છતાં, બસોને ગમે ત્યાં અનધિકૃત રીતે પાર્ક કરવામાં આવે છે. બસ પ્લેટફોર્મ પર લાગે તે પહેલા કલાકો સુધી અનધિકૃત રીતે પાર્ક થયેલી જોવા મળે છે, જે મુસાફરો માટે જોખમ ઊભું કરે છે.
સમિતિએ ડેપો મેનેજર અને ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જની જવાબદારી પર પણ સવાલ ઉઠાવ્યો છે. ભલે સુરત ડેપોના ડ્રાઇવરને ₹5,000નો દંડ કરવામાં આવ્યો હોય, પરંતુ આ પ્રકારની ઘટનાઓ માટે જવાબદાર ડેપો મેનેજર કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે? એવો વેધક સવાલ ઉઠાવી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે. જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી મુસાફરો પર મોતની તલવાર લટકતી રહેશે. સમિતિએ નાગરિકોને કોઈપણ ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર 9426229396 પર સંપર્ક કરવા પણ જણાવ્યું છે.



