ગત વર્ષે રાજકોટમાં ઠંડી દરમિયાન એક વિદ્યાર્થિનીનું શાળાએ જતી વખતે મૃત્યુ થયું હતું,
આ ઘટના ફરી ન બને તે માટે શાળાના સમયમાં ફેરફાર કરો: રોહિતસિંહ રાજપૂત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શિયાળાની કડકડતી ઠંડીના કારણે ગઈકાલે અમરેલીમાં એક યુવાનનું મોત નિપજયું હતું ત્યારે બાળકોને પણ વહેલી સવારની શાળાઓના સમયમાં ફેરફાર કરી આપવાની માંગ શિક્ષણ મંત્રીને કરવામાં આવી છે.
રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ તેને દોઢ મહિના કરતાં પણ વધુ સમય વિતી ગયો છે ને છેલ્લાં અઠવાડિયામાં ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે તેમ છતાં સરકાર દ્વારા હજુ સુધી સવારની પાળીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો સમય મોડો કરવા માટેની કોઈ જ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી. ઠંડીનું જોર વધતાં વહેલી સવારે શાળાએ જતાં ભૂલકાઓ ધ્રુજતા અને થરથરતા વર્ગખંડમાં પહોંચે છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળાના સમયમાં ફરવાની કરવાની માંગ ઉઠી છે તેવું રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
વધુમાં સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં ઠંડીનો પારો ગગડીને 12 ડિગ્રી સુધી પહોંચ્યો છે જેના કારણે ઘણાં વાલીઓ બાળકો બીમાર ન પડે એ બીકથી શાળાએ મોકલવાનું ટાળે છે. ઠંડી વધે ત્યારે મોટાભાગે સરકાર શાળાઓના સમયમાં ફેરફારનો પરિપત્ર જાહેર કરે છે તો આ વખતે કોઈ ગાઈડલાઈન કે પરિપત્ર બહાર પાડ્યો છે કે કેમ? એવો પ્રશ્ર્ન વાલીઓમાં અને શિક્ષણ જગતમાં ઉઠ્યો છે. આ બાબતે શિયાળાની શરૂઆતથી વાલીઓ અને વિદ્યાર્થી પ્રતિનિધિઓએ જે તે જિલ્લામાં અનેક વખત જિલ્લા શિક્ષણ વિભાગને રજૂઆત કરી છે છતાં શાળાઓના સમયમાં ફેરફાર અંગે હજુ સુધી રાજ્યના શિક્ષણ વિભાગમાંથી કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી તેવું જણાવવામાં આવે છે જેથી બાળકોની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાને રાખી આ બાબતમાં તાકીદે ગંભીરતા દાખવી રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ ઠંડીને અનુલક્ષીને કલાકથી દોઢ કલાક (ઠંડીના આધારે) શાળાઓનો સમય મોડો કરવા પરિપત્ર કરવામાં આવે તેવી વાલીઓની માંગ છે.
આ બાબતે વિશેષ જણાવવાનું કે ગત વર્ષે રાજકોટમાં શિયાળાની કાતિલ ઠંડી વચ્ચે હાર્ટએટેકને કારણે શાળાએ જતી વિદ્યાર્થિનીનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારે હાલ ઠાર સાથે પડી રહેલી ઠંડીને કારણે તમામ શાળાઓમાં સવારની પાળીનો સમય મોડો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.