ચોમાસા પૂર્વે રાજકોટ મહાનગરપાલિકા એક્શન મોડમાં
પોતે જોખમી બાંધકામ નહીં હટાવો તો તંત્ર તોડી પાડશે અને ખર્ચ માલિકે ચૂકવવો પડશે: મનપા
- Advertisement -
સેન્ટ્રલ ઝોનના પરા બજાર, ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ જેવા ગીચ વિસ્તારોમાં જૂની ઇમારતોનું પ્રમાણ વધુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં આગામી ચોમાસા દરમિયાન સંભવિત હોનારતો અને જાન-માલની હાનિ રોકવા માટે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાની બાંધકામ શાખાએ શહેરના ત્રણેય ઝોનમાં કરેલા સઘન સર્વેમાં કુલ 886 મકાનો જોખમી હોવાનું જણાયું છે, જેમાંથી 866 જેટલી ખાનગી મિલકતોના માલિકોને નોટિસ આપીને ચોમાસું બેસે તે પહેલાં જોખમી ભાગો ઉતારી લેવા અથવા મરામત કરાવી લેવા તાકીદ કરી છે. આ સર્વે મુજબ અત્યાર સુધીમાં 202 મકાનોનું રિપેરિંગ પૂર્ણ થયું છે, જ્યારે 90 જેટલી મિલકતો કોર્ટ કેસ કે માલિક-ભાડૂઆત વચ્ચેના આંતરિક વિવાદોમાં ફસાયેલી છે, જ્યાં રહેતા લોકોને પોતાની સુરક્ષાની જવાબદારી સ્વીકારવા જણાવાયું છે. આ સર્વેમાં સૌથી ચિંતાજનક બાબત ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરોની સામે આવી છે, જ્યાં અંદાજે 318 જેટલા મકાનો અતિ જોખમી હાલતમાં છે. મનપાએ આ ક્વાર્ટરો તાત્કાલિક ખાલી કરાવીને તોડી પાડવા માટે હાઉસિંગ બોર્ડના સત્તાધીશોને લેખિત જાણ કરી છે. જોકે, તંત્રની પોતાની મિલકતો, જેમ કે કનક રોડ પર આવેલું વર્ષો જૂનું ફાયર બ્રિગેડનું બિલ્ડિંગ પણ જર્જરિત હોવાથી નાગરિકોમાં સવાલો ઉઠી રહ્યા છે. શહેરના વિસ્તાર મુજબ જોઈએ તો, સેન્ટ્રલ ઝોનના પરા બજાર, ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ જેવા ગીચ વિસ્તારોમાં જૂની ઇમારતોનું પ્રમાણ વધુ છે. તેવી જ રીતે વેસ્ટ ઝોનના રૈયા, મોવા અને મવડી જેવા ગામતળ વિસ્તારો તથા ઈસ્ટ ઝોનમાં આજી નદીના પટમાં આવેલા નીચાણવાળા વિસ્તારો અને બાબરીયા કોલોનીમાં જોખમી મકાનોની ઓળખ કરવામાં આવી છે.તાજેતરના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જેવી ઘટનાઓ બાદ વહીવટી તંત્ર વધુ સતર્ક બન્યું છે. અગાઉ દર વર્ષે સરેરાશ 350-400 નોટિસ આપવામાં આવતી હતી, તેની સામે આ વર્ષે સર્વેની કામગીરી બમણી કરીને 886 મકાનો સુધી પહોંચાડવામાં આવી છે. મનપાએ અંતિમ ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો મિલકત ધારકો પોતાની મેળે જોખમી બાંધકામ દૂર નહીં કરે, તો તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે અને તેનો તમામ ખર્ચ વહીવટી ચાર્જ સાથે મિલકત માલિક પાસેથી જ વસૂલવામાં આવશે. રાજકોટવાસીઓને પણ અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદમાં જાનહાની ટાળવા સુરક્ષિત સ્થળે ખસી જાય અને તંત્રને સહયોગ આપે.



