ખાસ-ખબર સંવાદદાતા
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રચિત રાજ લોકોની લોકશાહીના મહાપર્વમાં અને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગીતા વધારવા નવો આયામો ઉમેરી રહ્યા છે.
જેમાં જૂનાગઢ જિલ્લાના મધ્યાહન ભોજન સંચાલક અને જાહેર વિતરણ વ્યવસ્થાના ભાગરૂપ એવા વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોને મતદાન જાગૃતિ અભિયાનને આગળ ધપાવશે અને લોકોને મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા માટે પ્રેરિત કરશે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ગ્રામીણ અને શહેર વિસ્તારમાં ઘર-ઘર સુધી પહોંચ ધરાવતા મધ્યાહન ભોજન સંચાલકો અને વ્યાજબી ભાવની અનાજની દુકાનના સંચાલકો સાથે બેઠક યોજી, મતદાન જાગૃતિ અભિયાન આગળ ધપાવવા માટે દિશાસૂચક માર્ગદર્શન આપ્યું હતું.અને મતદાનની ટકાવારીમાં વધારો કરવા માટે અને ચૂંટણી પ્રક્રિયામાં લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે વ્યાપક જન જાગૃતિ ઊભી કરવામાં આવી રહી છે. તેમાં મધ્યાહન ભોજન સંચાલકો અને વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો પણ મતદાન જાગૃતિ માટે પોતાની સ્તરેથી સામગ્રી વિતરણ કરી રહ્યા છે.
આ સાથે દરેક મતદારોને મતદાન મથકની વિગતો, મતદાર યાદી અને અન્ય મહત્વપૂર્ણ જાણકારીથી વાકેફ કરી રહ્યા છે.
મધ્યાહન ભોજન સંચાલકો તા.1 ડિસેમ્બરે મતદારોને મતદાન મથક સુધી લાવવા સાથે જ મતદાન કરવા માટે પ્રેરિત કરશે.અને ઉલ્લેખની છે કે, જિલ્લા વહીવટી તંત્ર આ વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લામાં સરેરાશ 82 ટકા મતદાનના ઐતિહાસિક લક્ષ્યાંક સાથે કામ કરી રહ્યું છે. આ માટે તકેદારીપૂર્વક કામ પણ કરવામાં આવી રહ્યું છે.