કાર્તિક મહેતા : કાર્તિકોલોજી
અંગ્રેજી ફિલ્મો જોવાનો ક્રેઝ ભારતમાં વર્ષોથી છે અને હવે તો એ એટલો સામાન્ય છે કે અમુક લોકો હિન્દી ફિલ્મો જોવાનું જ પસંદ કરતા નથી. (હિન્દી ફિલ્મોની ગુણવત્તા વળી એક અલગ ચર્ચાનો વિષય છે પણ) અંગ્રેજી ફિલ્મોમાં , ખાસ તો જેમાં યુરોપિયન વાતાવરણ દેખાડ્યું હોય એમાં કાળા અને રાખોડી રંગનો ઉપયોગ અતિશય થતો જોવા મળે.
લાલ પીળા લીલા વાદળી જાંબલી સોનેરી રૂપેરી જેવા રંગ સાવ ઓછા દેખાય. માત્ર કાળા, ગ્રે એટલે કે રાખોડી રંગનું વર્ચસ્વ દેખાય.
યુરોપ ગયા હોય કે રહેતા હોય એને પણ જાણ હશે કે ત્યાંના લોકો પણ ગ્રે રંગના શેડ્સ વાળા કપડાં પહેરવાનું પસંદ કરે. બ્લેઝર , ટ્રાઉઝર વગેરે કાળા રંગનું પસંદ કરવામાં આવે.. વધુમાં વધુ બ્લ્યુ રંગ પસંદ કરે. (બ્લ્યુ રંગ બનાવવાની શોધ એમણે ભારતમાં આવીને કરી એટલે એમની માટે બ્લ્યુ રંગનું મહત્વ બહુ વધ્યું..પછી તો એમણે ઈશ્વરીય અવતારોને પણ બ્લુ રંગના ચિતરવાનું શરૂ કર્યું બાકી એમને બ્લુ રંગ પણ પસંદ નહોતો) .
- Advertisement -
આનું કારણ એમ છે કે યુરોપના ઘણા દેશોમાં ખાસ તો જગત ઉપર શાસન ચલાવનાર ઇંગ્લેન્ડમાં મોટેભાગે વાદળિયું વાતાવરણ રહે. એમને ત્યાં તડકો નીકળે તો લોકો રાજી રાજી થઈને ટહેલવા નીકળી પડે.. વાદળીયા વાતાવરણને કારણે ત્યાંનું વાતાવરણ એકદમ સુસ્ત , ભારે , દુઃખી અને બોઝિલ લાગે.. આથી લોકોના મન પણ એવા એકાંગી , એકરંગી થયા. ત્યાં આપણી જેમ રંગબેરંગી કપડાં પહેરવાનું લોકો બહુ ઓછું પસંદ કરે. મોટેભાગે ગ્રેઇશ રંગો ઉપર ભાર મૂકે.
આજકાલ આપણું વાતાવરણ પણ વાદળિયું બન્યું છે. આખા ભારતને ઇન્દ્રદેવ વર્ષાથી ભીંજવી રહ્યા છે. મસમોટા અને એકદમ ઘેરા વાદળો આખા ભારત ઉપર છવાયેલા છે. આ ગ્રે એટલે કે રાખોડી રંગ બહુ વિશિષ્ટ રંગ છે. આમ તો દરેક રંગનું પોતાનું આગવું મહત્વ છે. પણ રાખોડી રંગને એટલા માન સમ્માન નથી મળ્યા જેટલા બીજા રંગોને મળ્યા છે.. કેમકે તે મેલો રંગ છે.. હિન્દીમાં એને ધુસર કહેવાય છે. એની પોતાની કોઈ ચમક નથી.. એમાં દુઃખ, બોજ, ડિપ્રેશન છે..કોઈ એને શુભ નથી માનતું.
પરંતુ ગ્રે રંગની પોતાની ફિલોસોફી છે. આજકાલ તો એક ચવાઈ ગયેલ વાત સહુકોઈ કરે છે કે એવરીથિંગ ઇઝ ગ્રે, નથીંગ ઇઝ બ્લેક એન્ડ વ્હાઈટ.
અર્થાત્ બધું ગ્રે છે , કશું જ તદ્દન કાળું કે તદ્દન સફેદ નથી..
- Advertisement -
ફિલ્મોમાં પણ આજકાલ ગ્રે શેડ વાળા કેરેક્ટર બહુ આવવા લાગ્યા છે. પહેલાંના સમયમાં હીરો અને વિલન એમ બે સ્પષ્ટ પાત્રો ઉપસાવવામાં આવતા. પણ આજે ફિલ્મોમાં ગ્રેઈશ શેડ ધરાવતા પાત્રો નખાય છે. જે તદ્દન સારા ના હોય અને તદ્દન ખરાબ પણ ના હોય.
માણસમાત્ર પણ આવો જ હોય છે.. કોઈ તદ્દન ખરાબ કે તદ્દન સારું હોય એમ બનતું નથી. બધા ગ્રે રંગના અલગ અલગ શેડસ ધરાવે છે.
માણસો તો ઠીક પણ આપણા પ્રાચીન દેવતાઓ પણ એકદમ વ્હાઈટ શેડ વાળા નથી. ઇન્દ્ર , વેદોમાં સર્વોચ્ચ દેવતા ગણાય છે એમનામાં પણ કાળપ ભળી છે એટલે એમનું ચરિત્ર ગ્રે રંગનું બને છે. ઋષિ પત્ની સાથે છળ કરીને સહવાસ કરવાની વાત હોય કે કોઈ અસુરને ક્રૂરતાથી મારવાની વાત હોય, ઇન્દ્રનું ગ્રે રંગી કેરેક્ટર અછતું રહેતું નથી. હા, ઇન્દ્ર એકંદરે ઉચ્ચ ગુણો ધરાવતા દેવ છે એમ છતાં એમનામાં કાઇક કાળાશ ભળેલી છે ખરી.
એવું જ ઉપેન્દ્ર વિષ્ણુ નું પણ ખરું. અસુરોને મોહની સ્વરૂપ ધારણ કરીને અમૃત પાન થી વંચિત રાખવાનો પ્રસંગ હોય કે પછી હિરણ્યકશ્યપ ને વધ કરવાની ટેકનિક હોય — વિષ્ણુ ખૂબ ચતુરાઈ પૂર્વક , યુક્તિ પૂર્વક અને છળ પૂર્વક કાર્ય કરે છે. આથી એમના વર્ણને મેઘવર્ણ કહેવાયો છે. અર્થાત્ ગ્રે રંગ !! વિષ્ણુ ભગવાનના ચિત્રોમાં પણ એમનો એવો રંગ બતાવ્યો છે.
કૃષ્ણનો તો અર્થ જ થાય કાળો.. પણ એને કહેવાય છે ઘનશ્યામ.. મેઘ જેવો કાળો!! અર્થાત્ રાખોડી, ગ્રે!
કૃષ્ણ પણ એવા દેવ છે જેમનું વ્યક્તિત્વ કાળા અને ધોળા એમ બેય ગુણ ધરાવે છે. ખાંડવવન દહનમાં નાગો (નાગ પ્રજા)ના નાશમાં કૃષ્ણ ભાગ લે છે તો સામે કૃષ્ણ ભગવદ ગીતામાં એક મહાન તત્વદર્શી તરીકે પ્રગટ થાય છે !! કેટલો કોન્ટ્રાસ્ટ? આ તો કૃષ્ણની મહાનતા છે..
દેવાધિદેવ મહાદેવ શિવશંકર ખરેખર એકદમ ધવલ વર્ણી છે. એકદમ સફેદ ! શરીર ઉપર ભભૂતિ લગાડવાના લીધે એ રાખોડી દેખાય છે! બાકી શિવ સાત્વિક છે, સત્વનું પ્રતીક છે, શાંતિનું પ્રતિક છે. સામે શક્તિ એટલે કે શિવના ધર્મપત્ની માં કાળી છે.. એ કાળા છે, કૃષ્ણા છે, મેલા છે.. કાળીમાં ને એટલે ગ્રામ્ય બોલીમાં મેલડી કહેવાય છે..
આ તો આપણા ધર્મની વાત . એ સિવાય બાઇબલમાં પણ જેકબ નામનું પાત્ર છે જે ગ્રે રંગી ગુણ ધરાવે છે. જેકબ નું બીજું નામ ઇઝરાયેલ છે. ઇઝરાયેલ દેશનું નામ જેકબ પરથી પડ્યું છે. ઇઝરાયેલ પણ એકદમ ગ્રે રંગનો સ્વભાવ ચરિત્ર ધરાવતો દેશ છે. જેકબ એકદમ ખરાબ કે દુર્ગુણી નથી પણ એકદમ સદગુણી પણ નથી..
ગ્રે રંગના કબૂતર પણ દેખીતી રીતે નિર્દોષ પક્ષી લાગે પણ એના ટોળાઓએ ભારતમાં શહેરોને બાનમાં લીધા છે અને અન્ય પક્ષીઓનું લગભગ નિકંદન નીકળવા આવ્યું છે. આમ એકદમ ડરપોક એવા કબૂતર ઝુંડમાં રહીને બીજા પક્ષીઓ અને સાથે માણસોના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર કરી રહ્યા છે.
ગ્રે રંગનો સફેદ તરફનો શેડ સમાજ માટે ફાયદાકારક છે. પણ ડાર્ક ગ્રે રંગના ચરિત્ર ધરાવતા લોકોની સમાજમાં બહુમતી થઈ જાય તો તે અંદરથી એક ખોખલો સમાજ બનતો જાય છે. ભ્રષ્ટાચાર, ક્રાઇમ વગેરે આવા સમાજમાં વધતા જાય છે.
સ્વભાવમાં ગ્રે રંગનું પરફેક્ટ મિશ્રણ ધરાવતા માણસને સમજવો અઘરો હોય છે. એ એકેય કાયદા કે નિયમોની ઝપેટમાં આવતો નથી. એને એના દુષ્કર્મો માટે દંડી શકાતા નથી કેમકે એના સદકરમો એની માટે સમાજમાં અનુકંપા ઉત્પન્ન કરે છે.
પાકા રાજકારણીઓ અને અભિનેતાઓ આવા પરફેક્ટ ગ્રે સ્વભાવના લોકો હોય છે . જે સમાજની નજરમાં એટલી ઉજ્જવળ છબી બનાવી રાખે છે કે સમાજ એના અનેક અપરાધો ને ક્ષમા કરી દે છે.
જૈન વાદ અનુસાર આપણે અત્યારે ડાર્ક ગ્રે શેડ વાળા સમયમાં રહીએ છીએ . જૈન વિદ્વાનો એને અવ સર્પિણી કાળ કહે છે જેમાં ધર્મ અને સદગુણો ની પડતી થતી હોય. ધીમે ધીમે આ શેડ એકદમ ડાર્ક થશે અને છેવટે ધર્મ અને સદગુણો નાશ પામશે. વળી સારો સમય શરૂ થશે.. બ્રાહ્મણ ગ્રંથો પ્રમાણે પણ આપણે કળિયુગના શરૂઆતના સ્ટેજમાં છીએ.
જોકે ઘણા મત પ્રમાણે સમાજ પહેલેથી આવો ગ્રે રંગના સ્વભાવ વાળો જ રહ્યો છે. બસ એને સતત વધુને વધુ સફેદ રંગી બનાવવાની મહેનત કરવી દરેક મનુષ્યનો પરમ ધર્મ છે.
નોટ : આ આંદોલન વગેરે પણ હાથી જેવા ગ્રે રંગના હોય છે.. એના ચાવવાના ને દેખાડવાના અલગ હોય છે .એટલે કે એનો ખરો ઉદ્દેશ્ય અને દેખાડવાનો ઉદ્દેશ્ય સાવ અલગ હોય છે.




