રીના બ્રહ્મભટ્ટ
ભારતએ દુનિયાની સૌથી સફળ લોકશાહી ધરાવતો દેશ છે.આપણે સમાજવાદ અપનાવ્યો છે જેથી બધાને સાથે લઈને ચાલી શકાય.લોકશાહીમાં લોકો જ સર્વોપરી હોય છે.જો,કે બંધારણના છીંડાના દુરુપયોગથી દરેક પક્ષે આ મુદ્દે આમ તો મનમાની કરી છે.પરંતુ તેમછતાં ભારતની હવામાં જે આઝાદી છે તે આપણા આસપાસના મુલ્કોમાં નથી.ખેર અહીં આપણે આઝાદીની કે કોઈપણ કાયદાના દુરુપયોગની વાત નથી કરી રહ્યા પરંતુ હાલ દેશમાં ચોમાસુ ચાલે છે ત્યારે દેશના સંસદમાં પણ મોન્સૂન કે ચોમાસુ સત્ર ચાલે છે.આ સત્ર 25 દિવસનું છે જે 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલવાનું છે. આ દરમ્યાન લોકસભા અને રાજ્યસભામાં કુલ 19 બેઠકો આયોજિત થશે.જેની શરૂઆત પણ થઇ ચુકી છે. તેવામાં એક મિનિટ થોભો અને વિચાર કરો કે, કે કલ્પના કરો. તમે તમારી ઓફિસમાં 1 મિનિટ માટે 20,000 રૂપિયા ચૂકવો. અને એ 1 મિનિટમાં કોઈ કામ જ ન થાય. ફક્ત બૂમો, હોબાળો અને ખુરશીઓનો અવાજ થાય તો શું થશે ? આ બિઝનેસ ચાલશે ખરો ?
- Advertisement -
આ જ સ્થિતિ આજે આપણી ભારતીય સંસદ ની છે.
દર 3 મહિને સંસદનું સત્ર બોલાવવામાં આવે. કરોડો રૂપિયાનો ખર્ચ. 543 લોકસભા સાંસદ + 245 રાજ્યસભા સાંસદ + હજારો કર્મચારી + સુરક્ષા. બધું તમારા અને આપણા સૌના Tax ના પૈસાથી.
ભારતમાં સંસદ (લોકસભા અને રાજ્યસભા) ચલાવવાનો ખર્ચ પ્રતિ 1 મિનિટ ખર્ચ : 2.5 લાખ આવે છે.
- Advertisement -
વધુમાં પ્રતિ કલાક કુલ મિલાવીને 1.5 કરોડ જેટલો અધધ ખર્ચ આવે છે.
તેમજ પ્રતિ દિનનો કર્યા અંદાજે લગભગ 9 કરોડ જેટલો જંગી આવે છે .( 6 કલાકની સક્રીય કાર્યવાહી ગણો તો )
પરંતુ મોટાભાગે આ 3 સીઝનના 3 સત્રો દરમ્યાન સરકાર કહે “ચાલો દેશના વિકાસ પર ચર્ચા કરીએ”. પણ વિરોધ પક્ષ હોબાળો કરી આખો લક્ષ્યાંક જ તોડી નાખે છે.પરિણામ? સત્રના પહેલા જ દિવસે 5 વાર કાર્યવાહી મુલતવી.
પણ સવાલ એ છે કે આ બધું કેમ થાય છે?
PM દર વખતે સત્ર પહેલા બધા પક્ષોને સર્વદળીય બેઠક બોલાવી ચર્ચા પહેલેથી જ જરૂરી ચર્ચા કરી લે છે.પરંતુ તેમછતાં અચાનક બધા પક્ષો જરૂરી કે આવનારા કાયદાના મુદ્દા પર ધ્યાન આપવાને બદલે NEET, રામમંદિર જેવા મુદ્દા યાદ કરી હોબાળો મચાવે છે અને આખરે સંસદની કાર્યવાહી કેમ ખોરવી નાખે છે. શું તેમને વિકાસના કે જરૂરી મુદ્દા પર ચર્ચા કરવી યોગ્ય નથી લગતી ?
હા, રામ મંદિર દાન ચોરી કે NEET મૂળે વિપક્ષ અવશ્ય સરકારને ઘેરી શકે.તે વિપક્ષનું કામ છે કે અધિકાર પણ છે.પરંતુ અન્ય જે કાયદા કે વટહુકમો લાવવાના હોય તે પર પણ તો ધ્યાન આપવું જોઈએ ને ? જે મુદ્દો યોગ્ય ન હોય તેના પર લોકશાહી માં તંદુરસ્ત ચર્ચા જરૂરી છે.તેની કોઈ “ના ” ન કહી શકે.
પરંતુ અહીં ઉલ્લેખનીય છે કે, સંસદ એ કોઈ સામાન્ય બિલ્ડિંગ નથી.સંસદનો ફ્લોર તે કોઈ સામાન્ય ફ્લોર નથી એ ભારતની લોકશાહીનું પવિત્ર મંદિર છે. વળી સંસદ ચલાવવા પાછળ પ્રજાના કે દેશના કરોડો રૂપિયા પણ ખર્ચાય જ છે. તે ન ભુલાય.
મતલબ એક કપ ચા પીવામાં જેટલો સમય લાગે એટલામાં 1 લાખ રૂપિયા વહી જાય.
આ પૈસામાં સાંસદોનો પગાર, પેન્શન, મુસાફરી, સુરક્ષા, સ્ટાફ, વીજળી, પ્રિન્ટિંગ બધું આવે.
હવે વિચારો. જો 1 કલાકનું સત્ર હોબાળાના કારણે બગડે તો સીધા કરોડો રૂપિયા પાણીમાં.
અને આ પૈસા કોઈ ઉદ્યોગપતિના નથી. આ તમારા કે આપણા સૌના Tax ના પૈસા છે.
વધુમાં PM દર વખતે “સર્વદલીય બેઠક” કેમ બોલાવે છે? એમની મજબૂરી શું છે?
તમે જોયું હશે. દરેક સત્રના 1 દિવસ પહેલા PM નિવાસસ્થાને બધા પક્ષના મોટા નેતાઓની મિટિંગ થાય. એને “સર્વદલીય બેઠક” કહે.
PM આ મિટિંગ 3 કારણથી બોલાવે છે:
1. લોકશાહીનું પ્રોટોકોલ: PM સંદેશો આપવા માંગે છે કે “હું સરમુખત્યાર નથી. હું બધાને સાથે લઈને ચાલવા માંગુ છું”.
2. એજન્ડા ફિક્સ કરવો: સરકાર પોતાનું કાર્યસૂચિ આપે છે. “અમે આ બિલ લાવીશું”. વિરોધ પક્ષ પોતાના મુદ્દા આપે. “અમે આ પર ચર્ચા કરવા માંગીએ છીએ”.
3. જવાબદારી નક્કી કરવી: સૌથી મહત્વનું. જો કાલે સત્રમાં હોબાળો થાય તો સરકાર કહી શકે “જુઓ, અમે તો પહેલાથી જ તમારી સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી.પણ એ લોકો તેમાં ધ્યાન આપવાને બદલે હોબાળો કરી સંસદનો સમય વેડફી નાખે છે.
3: હોબાળાનું અસલી કારણ – “ભવિષ્યનો ડર”
હવે સૌથી મોટો સવાલ. વિરોધ પક્ષો હોબાળો શા માટે કરે છે?
જવાબ છે “2/3 બહુમતીનો ડર”.તેમજ જે તે સરકારે ધાર્યા હોય તે કાયદા પસાર જ ન થવા દેવા.
અત્યારે સરકાર પાસે બહુમતી છે. પણ કાયદા પસાર કરવા માટે વિરોધ પક્ષ સાથે થોડી ઘણી વાટાઘાટો કરવી પડે.
પણ જો ભવિષ્યમાં સરકારને લોકસભા અને રાજ્યસભા બંનેમાં બે તૃતિયાંશ બહુમતી મળી જાય તો? જે માટે મોદી સરકાર પ્રયાસમાં જ છે.
ત્યારે સરકાર બંધારણ પણ બદલી શકે.ધારે તે કાયદા લાવી શકે.વિપક્ષની કે અન્ય પક્ષોની ગરજ જ ન રહે. કોઈને પૂછવાની જરૂર નહીં.
બસ આ જ ડરથી અત્યારથી જ રણનીતિ બનાવવામાં આવે છે: “સંસદને કામ જ ન કરવા દેવી”.
જેથી સરકાર કોઈ આકરા અને ઐતિહાસિક પગલાં ન લઈ શકે.
વેલ, જો મોદી સરકારને 2/3 બહુમતી મળશે તો સરકારની “ટોપ 5” યાદીમાં શું છે?
રાજકીય વિશ્લેષકો અને સરકારની અંદરની ચર્ચા મુજબ, 2/3 બહુમતી મળે તો આ 5 મુદ્દા સૌથી પહેલા પસાર થશે. અને આ જ 5 મુદ્દા વિરોધ પક્ષને સૌથી વધુ ખૂંચે છે:
1. સમાન નાગરિક ધારો – UCC
દેશના બધા નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસા માટે એક જ કાયદો. ધર્મના આધારે અલગ કાયદા નહીં.
વિરોધ પક્ષનું કહેવું: “આ દેશની વિવિધતા પર હુમલો છે”
2. નાગરિકોનું રાષ્ટ્રીય રજિસ્ટર – NRC
આખા દેશમાં કોણ ભારતીય નાગરિક છે અને કોણ ગેરકાયદે રહે છે એની સત્તાવાર યાદી.
વિરોધ પક્ષનું કહેવું: “આનાથી દેશમાં અશાંતિ અને ભેદભાવ ફેલાશે”
3. ઘૂસણખોરી વિરોધી કડક કાયદા
સરહદ પારથી આવતા અને દેશમાં ગેરકાયદે રહેતા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી.
વિરોધ પક્ષનું કહેવું: “આનાથી ચોક્કસ મત બેંકને નુકસાન થશે”
4. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી
જે NGO અને સંસ્થાઓ વિદેશથી પૈસા લઈને દેશમાં અશાંતિ ફેલાવે છે એના પર તાળા અને તપાસ.
વિરોધ પક્ષનું કહેવું: “આનાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા દબાશે”
5. લટકતા આર્થિક અને ન્યાયિક સુધારા
જમીન, શ્રમ, અને ન્યાયતંત્ર સાથે જોડાયેલા એવા બિલ જે વર્ષોથી સંસદમાં અટકેલા છે.
વિરોધ પક્ષનું કહેવું: “આ ફક્ત મોટા ઉદ્યોગોને ફાયદો કરાવશે”
આ વખતનું ચોમાસુ સત્ર – શું થયું?
સરકાર ચર્ચા કરવા તૈયાર હતી.
પણ સત્રના પહેલા જ દિવસે વિરોધ પક્ષે આ 3 મુદ્દા ઉછાળ્યા અને હોબાળો શરૂ કર્યો:
1. NEET ના પેપર લીકનો મુદ્દો
2. રામમંદિરમાં દાનની ચોરીનો આરોપ
3. અન્ય રાજ્યોના સ્થાનિક મુદ્દા
પરિણામ? લોકસભા અને રાજ્યસભા બંનેની કાર્યવાહી 5-5 વાર મુલતવી રાખવી પડી.
લોકસભા સ્પીકરે પણ હાથ જોડીને કહ્યું “કૃપા કરીને બંધારણીય રીતે સત્ર ચાલવા દો”.
પણ જવાબમાં ફક્ત શોરબકોર.
અંતિમ સવાલ જનતા માટે
સંસદ કોઈ રાજકીય પક્ષની જાગીર નથી. એ 140 કરોડ ભારતીયોની છે. 2.5 લાખ રૂપિયા પ્રતિ મિનિટ આપણે ચૂકવીએ છીએ ચર્ચા અને કાયદા માટે, હોબાળા માટે નહીં.લોકોના કામો થવા દેવા જોઈએ.સંસદ સત્રો વ્યવસ્થિત ચાલે તો જ સ્વસ્થ ચર્ચા થાય અને કાયદાઓ પસાર થઇ શકે.
કાયદાઓમાં કોઈ ખામી હોય કે તેના દુરુપયોગની આશંકા હોય તો તમે યોગ્ય વિરોધ કરી શકો બાકી દેશના કે પ્રજાના હિત માટેના કાયદા સુપેરે પસાર થવા જ દેવા જોઈએ તેમાં કોઈ બેમત નથી.આખરે સંસદની ગરિમા પણ જળવાવી જોઈએ…
વિરોધ કરવો એ લોકશાહીનો શણગાર છે. પણ જો વિરોધનો હેતુ જ “કામ ન થવા દેવું” હોય તો એ લોકશાહીનું અપમાન છે.તે વિપક્ષે સમજવું પડશે…




