સોરઠની છ બેઠકમાંથી મંત્રી પદ કોને?
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાની ચાર બેઠકો સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના 2017માં ચારેય બેઠકો કોંગ્રેસ જીત્યું હતું તેમાં આ વખતે તાલાળા, કોડીનાર અને ઉનામાં ત્રણ બેઠકો ભાજપને અને એકમાત્ર બેઠક સોમનાથની 1301ની પાતળી લીડે કોંગ્રેસને મળી છે. આમ 2017માં ચાર બેઠક જીતનાર કોંગ્રેસને ગીર સોમનાથમાં ખાસ્સું એવું નુકસાન થયું છે. જ્યાં તીવ્ર રસાકસી હતી અને 20માં રાઉન્ડમાં સોમનાથ બેઠક પર કોંગ્રેસ માત્ર 1301 મતની લીડે જીત્યું હતું. બાકીની ત્રણ બેઠક મોટી લીડથી ભાજપે કોંગ્રેસ પાસેથી ખૂંચવી લીધી હતી.
કોડિનારમાં 19386 મતની લીડ
ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર બેઠક આ વખતે ડોક્ટર એમડી અને પીએચડીની ડીગ્રી ધરાવતા ડોક્ટર પ્રદ્યુમન વાજાને ભાજપે ઉભા રાખ્યા અને કોંગ્રેસે સીટિંગ ધારાસભ્યને ટિકિટ ન આપી મહેશભાઈ મકવાણાની ટિકિટ આપી હતી. જેના કારણે પહેલા રાઉન્ડથી જ પ્રદ્યુમન વાજા સતત આગળ રહ્યા હતા અને અંતે 19માં રાઉન્ડમાં 19386ની લીડથી જીત મેળવી હતી.
- Advertisement -
સોમનાથ બેઠક પર કોંગ્રેસની જીત
સોમનાથ બેઠક પર ભાજપે જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમારને ઉભા રાખ્યા હતા. મોદી અને યોગીની સભા કરીને ભાજપે જોર લગાવ્યું હતું પરંતુ નગરપાલિકાની કામગીરીમાં અસંતોષના કારણે બે અપક્ષ ડોક્ટર ઈશ્ર્વર સોનેરી અને ઉદયભાઇ શાહ અપક્ષમાં ઊભા રહી 9000 જેટલા મતો મેળવી ભાજપની હારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાઉન્ડમાં ભાજપ-કોંગ્રેસ આગળ પાછળ રહ્યા હતા પરંતુ અંતે 20માં નિર્ણાયક રાઉન્ડમાં 1301 મતે કોંગ્રેસનાં વિમલ ચુડાસમાએ ગીર સોમનાથ જિલ્લાની એકમાત્ર બેઠક જાળવી રાખી હતી.
કોંગ્રેસનો ગઢ ગણાતી ઊના બેઠકમાં કમળ ખીલ્યું
છેલ્લા અઢી દાયકાથી આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી પોતાનુ વર્ચસ્વ જમાવી શકી ન હતી પરંતુ આ વખતે કોંગ્રેસનો ગઢ ગણાતો ઉના બેઠક પર ભાજપે જીત મેળવી છે. ઉના બેઠક ઉપર ભાજપના કાળુ રાઠોડની જીત થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે વંશ પુંજાભાઈને ઉના બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપે કાળુભાઈ રાઠોડને ટિકિટ આપી હતી. કાળુ રાઠોડએ 43 હજારથી વધુ મતે જીત મેળવી છે.
તાલાલામાં 20093 મતની લીડ
તાલાલા બેઠક પર ભાજપે બારડ પરિવારના કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય ભગવાન બારડને પક્ષ પલટો કરાવી ભાજપમાં ભેળવી લેતા ભગવાન બારડ 20093 મતની લીડથી જીતી ગયા હતા. બીજા નંબરે રહેલ આમ આદમી પાર્ટીના દેવેન્દ્રભાઈ સોલંકી પણ 44337 જેટલા મત મેળવી કોંગ્રેસને નુકસાન કર્યું હતું.