સિંગલ પટ્ટી રસ્તો બંધ થતાં અન્ય વાહન ચાલકોને પરેશાની
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
સાયલા તાલુકાના 3,000થી વધુ વસતી ધરાવતા કાશીપરા ગામને રસ્તા તથા એસટી બસ સુવિધાની મુશ્કેલી જોવા મળે છે. આ બાબતે સરપંચ અને ગ્રામજનો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કાશીપરા ગામના બિસમાર રસ્તાનું નવિનીકરણ કરવાનો કોઈ ઉકેલ આવતો નથી. સાયલાથી 3 કિમી દૂર કાશીપરા ગામના બિસમાર રસ્તાને કારણે વિદ્યાર્થીનીઓ પગપાળા અને સાઈકલ દ્વારા સાયલા અભ્યાસ માટે આવી રહ્યા છે. જ્યારે ગામના દર્દી અને સગર્ભા બહેનોને આ રસ્તેથી પસાર થતાં જીવનું જોખમ વધતું જોવા મળે છે. ત્યારેે બુધવારે સાંજે બિસમાર બનેલા કાશીપરા અને સોમાસર વચ્ચે આવેલા જર્જરિત નાળા ઉપરથી ડમ્પર પસાર થઈ રહ્યુ હતું. દરમિયાન અચાનક નાળું બેસી જતાં ડમ્પરનું વ્હીલ ફસાઈ ગયું હતું. આથી સિંગલ પટ્ટી રસ્તો બંધ થતાં અન્ય વાહન ચાલકોમાં પરેશાની જોવા મળી હતી. આ બાબતની જાણ થતા ગ્રામજનોને યુવાનોએ ભારે જહેમત ઊઠાવીને રસ્તા વચ્ચેથી ડમ્પર દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.