‘ગિલા મોન્સ્ટર’ના ઝેરમાંથી વિકસેલી ઓઝેમ્પિક-વેગોવીએ તબીબી ક્ષેત્રમાં સર્જી ક્રાંતિ, પરંતુ ગંભીર આડઅસરોને લઈને વધી રહી છે ચિંતા
શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમેરિકાના રણમાં ફરતી એક ઝેરી ગરોળી માણસના વજનને નિયંત્રિત કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી શકે છે? હા, આ વાત બિલકુલ સાચી છે. આજે હોલિવૂડના સેલિબ્રિટીઝથી લઈને સામાન્ય લોકોમાં વજન ઘટાડવા માટે ‘ઓઝેમ્પિક’ અને ‘વેગોવી’ નામની જે દવાઓનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે, તેનો સીધો સંબંધ ‘ગિલા મોન્સ્ટર’ નામની એક ગરોળી સાથે છે. જો આ ગરોળી ન હોત તો કદાચ આપણી પાસે વજન ઘટાડવાની આ આધુનિક દવાઓ પણ ન હોત. પ્રકૃતિના આ અનોખા જીવે તબીબી જગતમાં ક્રાંતિ તો લાવી છે, પણ સાથોસાથ આ દવાઓની આડઅસરો પણ કંઈ ઓછી નથી.
- Advertisement -
અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં જોવા મળતી ‘ગિલા મોન્સ્ટર’ ત્યાંની એકમાત્ર ઝેરી ગરોળી છે. વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે આ ગરોળીના ઝેરમાં એવા સંયોજનો છે જે મનુષ્યમાં બ્લડ સુગર અને ભૂખને ખૂબ જ સારી રીતે નિયંત્રિત કરી શકે છે. આ સંશોધનની શરૂઆત 1990ના દાયકામાં ડૉ. જોન એન્ગે નામના સંશોધકે કરી હતી. તેમણે જોયું કે ગિલા મોન્સ્ટરના ઝેરમાં એક ખાસ હોર્મોન હોય છે, જેને તેમણે ‘એક્સેન્ડિન-4’ નામ આપ્યું. આ હોર્મોન મનુષ્યના નાના આંતરડામાં બનતા ભૂખ-નિયંત્રણ હોર્મોન ગ્લુકાગો જેવું જ કામ કરે છે.
આપણે કરેલું ભોજન નાના આંતરડામાં પહોંચે, ત્યારે ત્યાં રહેલા એલ-સેલ્સ તરત જ કુદરતી ગ્લુકાગો હોર્મોન બનાવીને તેને લોહીમાં મુક્ત કરે છે. આ હોર્મોન સ્વાદુપિંડને ઇન્સ્યુલિન બનાવવાનો અને મગજને પેટ ભરાઈ ગયું હોવાનો સંદેશો મોકલે છે, જેથી ભૂખ શાંત થાય છે. પરંતુ, મનુષ્યના શરીરમાં આ કુદરતી હોર્મોનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું હોવાથી, કામ પૂરું થતાં જ લોહીમાં રહેલો એક એન્ઝાઇમ તેને માત્ર 1-2 મિનિટમાં જ તોડીને નષ્ટ કરી નાખે છે. જ્યારે ગિલા મોન્સ્ટરનું ‘એક્સેન્ડિન-4’ મિનિટોને બદલે કલાકો સુધી શરીરમાં ટકી રહે છે. આ ‘લાંબા સમય સુધી ટકી રહેવા’ના ગુણને કારણે જ તે નવી દવાઓ બનાવવા માટેનું ઉત્તમ ‘હથિયાર’ બન્યું છે.
દવાથી વજન કઈ રીતે ઓછું થાય છે?
વિજ્ઞાનીઓએ ગિલા મોન્સ્ટરના ‘એક્સેન્ડિન-4’ની નકલ કરીને લેબોરેટરીમાં ‘એક્સટેનાટાઇડ’ નામનું કૃત્રિમ હોર્મોન તૈયાર કર્યું અને એમાંથી દવાઓ બનાવી. ઇન્જેક્શન દ્વારા શરીરમાં દાખલ કરાતી આ દવા મગજને પેટ ભરેલું હોવાનો સંકેત મોકલે છે, જેના કારણે વ્યક્તિને કલાકો સુધી ભૂખ લાગતી નથી. ઉપરાંત આ દવા પાચનક્રિયા પણ ધીમી કરી દે છે, જેથી ખોરાક પેટ અને આંતરડામાંથી ખૂબ જ ધીમેથી આગળ વધે છે અને જમ્યા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. પરિણામે વ્યક્તિ ઓછું ખાય છે, જે વજનને નિયંત્રિત કરવામાં અને તેને ઝડપથી ઘટાડવામાં મદદરૂપ થાય છે.
- Advertisement -
ડાયાબિટીસમાં પણ ફાયદાકારક
ખોરાકનું પાચન થાય ત્યારે લોહીમાં ગ્લુકોઝ (સુગર)નું પ્રમાણ વધવા લાગે છે. સામાન્ય વ્યક્તિના શરીરમાં આ સુગરને પચાવવા માટે સ્વાદુપિંડ આપોઆપ ઇન્સ્યુલિન નામનું હોર્મોન બનાવે છે. પરંતુ ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં આ ઇન્સ્યુલિન પૂરતી માત્રામાં બનતું નથી અથવા સરખી રીતે કામ નથી કરતું. ‘એક્સટેનાટાઇડ’ ધરાવતી દવા શરીરમાં લાંબો સમય ટકી રહે છે અને જેવું લોહીમાં સુગરનું સ્તર વધે છે તેવું જ તે સ્વાદુપિંડને વધુ પ્રમાણમાં ઇન્સ્યુલિન છોડવાનો સંકેત આપે છે. આ વધારાનું ઇન્સ્યુલિન લોહીમાં રહેલી સુગરને લોહીમાંથી સ્નાયુઓ અને કોષો સુધી પહોંચાડીને તેને ઊર્જામાં બદલી નાખે છે. પરિણામે, જમ્યા પછી પણ લોહીમાં સુગરનું લેવલ અચાનક વધતું નથી અને ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.
હોલિવૂડ અને સોશિયલ મીડિયાના કારણે લોકપ્રિયતા
સમય જતાં વિજ્ઞાનીઓએ આ ટેક્નોલોજીને વધુ અદ્યતન બનાવી અને એમાંથી સર્જાઈ વધુ ઍડવાન્સ્ડ દવા ‘સેમાગ્લુટાઇડ’, જે બજારમાં ‘ઓઝેમ્પિક’ અને ‘વેગોવી’ બ્રાન્ડ નામે વેચાય છે. અગાઉની દવાઓ દિવસમાં બે વાર લેવી પડતી, જ્યારે આ દવા અઠવાડિયામાં માત્ર એક જ વાર લેવી પડે છે. હોલિવૂડના કલાકારોએ એનો ઉપયોગ કરીને એને લોકપ્રિય બનાવી. પછી સોશિયલ મીડિયાને લીધે તેનો ક્રેઝ આમ જનતામાં જાગ્યો. 2024 સુધીના આંકડા મુજબ અમેરિકામાં 8માંથી 1 પુખ્ત વ્યક્તિએ આ પ્રકારની દવા લીધી છે.
આ દવાઓની ગંભીર આડઅસરો છે
વજન ઘટાડવા માટે જાદુઈ લાગતી આ દવાઓની બીજી બાજુ ચિંતાજનક છે. તાજેતરના અભ્યાસોના પરિણામ સ્વરૂપે કેટલીક ગંભીર આડઅસરો સામે આવી છે. લેટેસ્ટ અભ્યાસ ‘એનલ્સ ઑફ ઇન્ટરનલ મેડિસિન’ મુજબ સેમાગ્લુટાઇડના કારણે 2022 અને 2023 વચ્ચે અંદાજે 25,000 લોકોને કંઈ ને કંઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ હતી.
1. પાચનતંત્ર સંબંધિત આડઅસરો
– જઠરાંત્રિય ગૂંચવણો : મોટાભાગના લોકોને ઉબકા, ઉલટી, પેટનો દુખાવો અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ હતી.
– ગેસ્ટ્રોપેરેસિસ(પેટનો લકવો): આ દવા પેટને યોગ્ય રીતે ખાલી થતા રોકે છે, જેને પેટનો લકવો કહેવાય છે.
– ઇલિયસ (આંતરડામાં અવરોધ) : સપ્ટેમ્બર 2024માં FDAએ ચેતવણી આપી હતી કે ઓઝેમ્પિકના કારણે આંતરડામાં જીવલેણ અવરોધ આવી શકે છે, જે અંગોમાં લોહીનો પ્રવાહ રોકીને પેશીઓનો નાશ કરી શકે છે.
2. દૃષ્ટિ ગુમાવવાનું જોખમ
– યુરોપિયન મેડિસિન એજન્સી (EMA) દ્વારા કરાયેલા અભ્યાસ પ્રમાણે, આ દવા લેનારા દર્દીઓમાં NAION નામની બીમારી થવાનું જોખમ વધી જાય છે.
– આ સ્થિતિમાં આંખને મગજ સાથે જોડતી મુખ્ય નસમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે, જેથી આંખમાં સોજો આવે છે અને અચાનક જ કોઈપણ પ્રકારની પીડા વિના માણસ દૃષ્ટિ ગુમાવી બેસે છે.
– જર્નલ JAMAના એક અભ્યાસ મુજબ સેમાગ્લુટાઇડ લેતા દર્દીઓમાં આ રોગ થવાની શક્યતા 4 ગણી વધારે જોવા મળી હતી. આ સંશોધન 2017 થી 2023 વચ્ચેના 16,827 દર્દીઓના ડેટા પર આધારિત હતું.
3. ઓઝેમ્પિક ફેસ : આ દવાઓના ઉપયોગથી ખૂબ ઝડપથી વજન ઘટે છે, જેને કારણે ચહેરાની ચરબી પણ ગાયબ થઈ જાય છે અને ચહેરો એકદમ ઘરડો કે કરચલીવાળો દેખાવા લાગે છે. આ સ્થિતિને ‘ઓઝેમ્પિક’ ફેસ કહેવામાં આવે છે.
4. મસલ લોસ : આ દવાથી માત્ર ચરબી જ નહીં, પણ શરીરના જરૂરી સ્નાયુઓ(Lean Muscle) પણ ઘટી જાય છે, જે લાંબે ગાળે શરીરને નબળું પાડે છે.
5. દવા બંધ કરતાં સ્થિતિ જૈસે-થે : આ દવા બંધ કરવાથી વજન ફરીથી વધી જાય છે, જેને મેડિકલની ભાષામાં Rebound Weight Gain કહેવાય છે. તબીબી અભ્યાસો કહે છે કે વજન કાબૂમાં રાખવા માટે આ દવા કદાચ આજીવન લેવી પડી શકે છે.
6. થાઇરોઇડ કેન્સરનું જોખમ : FDA એ ઓઝેમ્પિક અને વેગોવીના પેકેજિંગ પર ‘બ્લેક બોક્સ વોર્નિંગ'(સૌથી ગંભીર ચેતવણી) આપેલી છે કે આનાથી થાઇરોઇડ સી-સેલ ટ્યુમર(Thyroid Cancer)નું જોખમ વધી શકે છે. ખાસ કરીને જેમના પરિવારમાં આ હિસ્ટ્રી હોય તેમણે આ નથી લેવાની હોતી.
ઓઝેમ્પિક બનાવતી કંપનીનું શું કહેવું છે?
‘ઓઝેમ્પિક’ અને ‘વેગોવી’ બંને દવા ડેનમાર્કની ‘નોવો નોર્ડિસ્ક’ નામની કંપની બનાવે છે. બંનેમાં ‘સેમાગ્લુટાઇડ’ નામનું એક જ મૂળ તત્ત્વ હોવા છતાં કંપની તેને અલગ-અલગ નામ અને પેકેજિંગ સાથે વેચે છે, કારણ કે ‘ઓઝેમ્પિક’ ખાસ કરીને ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગર નિયંત્રિત કરવા માટે મંજૂર કરાયેલી છે જ્યારે ‘વેગોવી’ ખાસ કરીને એવા લોકો માટે છે જેમને ડાયાબિટીસ નથી પરંતુ માત્ર વજન ઘટાડવું છે આ બંને દવાની આડઅસર મોટી માત્રામાં સામે આવી હોવા છતાં નોવો નોર્ડિસ્કનું કહેવું છે કે તેમના માટે દર્દીઓની સલામતી હંમેશાં પ્રાથમિકતા રહી છે. કંપનીના મતે, યોગ્ય તબીબી સલાહ સાથે આ દવાનો ઉપયોગ કરાય તો તેનાથી થતા નુકસાનના જોખમ કરતાં તેનાથી મળતા સ્વાસ્થ્યના ફાયદાનું પ્રમાણ ઘણું વધારે છે.




