2થી 6 સપ્ટેમ્બર સુધી રેસકોર્સ મેદાન ખાતે પાંચ દિવસીય લોકમેળો યોજાશે
વિવિધ કેટેગરીના સ્ટોલ અને પ્લોટ માટે 1થી 6 ઓગસ્ટ દરમિયાન હરરાજી અને ડ્રો યોજાશે
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સ મેદાન ખાતે 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન પાંચ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં રમકડાં, ખાણીપીણી, આઈસ્ક્રીમ, એક્ઝિબિશન, યાંત્રિક રાઈડ્સ સહિતના વિવિધ પ્રકારના સ્ટોલ અને પ્લોટ માટે અરજી પ્રક્રિયા તથા હરરાજીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સમિતિની જાહેરાત મુજબ સ્ટોલ અથવા પ્લોટ મેળવવા ઇચ્છુક અરજદારો 20થી 28 જુલાઈ દરમિયાન ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ ખાતેથી દરરોજ સવારે 11 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી અરજીપત્રક મેળવી શકશે. અરજદારે નિર્ધારિત ફોર્મમાં જ અરજી કરવાની રહેશે અને સંબંધિત કેટેગરી મુજબની સંપૂર્ણ ફી, ટેક્સ તથા ડિપોઝિટની રકમ સહિતનો “અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેક્ટર રાજકોટ”ના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ જોડીને અરજી સબમિટ કરવાની રહેશે.
સમિતિ દ્વારા વિવિધ કેટેગરીના સ્ટોલ અને પ્લોટ માટે હરરાજી તથા ડ્રોની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. તા. 1 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે કેટેગરી-બીના 100 રમકડાના સ્ટોલ અને કેટેગરી-સીના 8 ખાણીપીણીના સ્ટોલ માટે હરરાજી યોજાશે. ત્યારબાદ સવારે 11:30 વાગ્યે કેટેગરી-જેના 3 મધ્યમ ચકરડીના પ્લોટ તથા કેટેગરી-કેના 24 નાની ચકરડીના પ્લોટ માટે હરરાજી કરવામાં આવશે. આ ઉપરાંત તા. 4 ઓગસ્ટે સવારે 11:30 વાગ્યે કેટેગરી-એ હેઠળ ખાણીપીણી, એક્સપો, એક્ઝિબિશન, વિવિધ શો અને પ્રદર્શન માટેના 2 પ્લોટ તેમજ બી-1 (કોર્નર) ખાણીપીણીના 40 પ્લોટ માટે હરરાજી યોજાશે. તા. 5 ઓગસ્ટે યાંત્રિક કેટેગરીના ઈના 5, એફના 3, જીના 20 અને એચના 6 પ્લોટ માટે હરરાજી થશે. જ્યારે તા. 6 ઓગસ્ટે સવારે 11:30 વાગ્યે કેટેગરી-એક્સ હેઠળ આઈસ્ક્રીમના 17 પ્લોટ માટે હરરાજી યોજાશે.
- Advertisement -
તમામ હરરાજી અને ડ્રોની પ્રક્રિયા નાયબ કલેક્ટર કચેરી, પ્રાંત રાજકોટ (શહેર-1), જૂની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ સ્થિત મિટિંગ રૂમમાં યોજાશે. યાંત્રિક કેટેગરીમાં અરજી કરનાર અરજદારો ઈ, એફ, જી અને એચ – તમામ કેટેગરીની હરરાજીમાં ભાગ લઈ શકશે. સમિતિએ પ્રવેશદર અંગે પણ સ્પષ્ટતા કરી છે. કેટેગરી-જે અને કેટેગરી-કે માટેની રાઈડ્સમાં મહત્તમ રૂ. 35નો પ્રવેશદર રાખી શકાશે, જ્યારે યાંત્રિક કેટેગરી ઈ, એફ, જી અને એચની વિવિધ રાઈડ્સ માટે મહત્તમ રૂ. 50નો પ્રવેશદર નક્કી કરવામાં આવ્યો છે. લોકમેળાનો સંપૂર્ણ નકશો નાયબ કલેક્ટર કચેરી, રાજકોટ (શહેર-1), જૂની કલેક્ટર કચેરીના નોટિસ બોર્ડ પર કચેરી સમય દરમિયાન નિહાળી શકાશે. ઉપરાંત કેટેગરી-એક્સ હેઠળ આઈસ્ક્રીમના પ્લોટ માટે કોઈપણ વ્યક્તિ અથવા કંપની હરરાજીમાં ભાગ લઈ શકશે તેમજ પોતાના સ્ટોલ પર પોતાની આઈસ્ક્રીમ કંપનીની જાહેરાત પણ કરી શકશે, તેવી માહિતી લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને નાયબ કલેક્ટર રાજકોટ (શહેર-1) દ્વારા જાહેર કરવામાં આવી છે.




