નવનિર્મિત રામમંદિરમાં પ્રથમ વખત રામ જન્મોત્સવ ઉજવવા તડામાર તૈયારી
16 થી 19 એપ્રિલ સુધી 19 કલાક, રાત્રીના 11 વાગ્યા સુધી રામલલ્લાનાં દર્શન થશે: સાત લાઈનોમાં ભાવિકો માટે દર્શનની વ્યવસ્થા: ગરમીથી લોકોને બચાવવા ખાસ ગોઠવણ: બધા કાર્યક્રમોનું જીવંત પ્રસારણ થશે.
- Advertisement -
અત્રે નવ નિર્મિત મંદિરમાં શ્રીરામ જન્મોત્સવ ભવ્યતાથી ઉજવવાની તડામાર તૈયારી ચાલી રહી છે. રામનવમીનાં દિવસે ભીડ ઉમટી પડવાની છે. ત્યારે તેને લઈને વ્યવસ્થા થઈ રહી છે.લોકોને સુલભ દર્શન કરાવવા માટે રામનવમીએ તા.17મીએ વહેલી સવારે 3.30 વાગ્યે જ રામલલ્લાનાં દર્શન માટે કપાટ ખુલી જશે.
દર્શનની સાથે સાથે જ શૃંગાર આરતી ભોગ વગેરે કાર્યક્રમો ચાલતા રહેશે તેમાં માત્ર થોડી મીનીટો સુધી જ પરદો રહેશે. મંદિર ટ્રસ્ટના પ્રોટોકોલની સાથે આવનારા વીઆઈપીઓને 19 એપ્રિલ બાદ જ દર્શન કરવા આવવા અનુરોધ કરાયો છે.
રામ મંદિરમાં સુગમ દર્શન, આરતી અને વીઆઈપી પાસ 19 એપ્રિલ સુધી રદ કરાયા છે. મંદિર ટ્રસ્ટનાં મહાસચીવ ચંપતરાયે જણાવ્યું હતું કે 16 એપ્રિલથી 19 એપ્રિલ સવારે 6 વાગ્યે રામલલ્લાનાં દર્શન શરૂ થઈ જશે. જે રાતના 11 વાગ્યા સુધી કે તેના બાદ પણ ભીડને જોઈને ચાલુ રખાશે. શયન આરતીનો સમય પણ ભીડના અનુસાર નકકી કરાશે.
- Advertisement -
17 એપ્રિલે 12 વાગ્યા પહેલાથી ઉત્સવ વિગ્રહ (મુર્તિ) અભિષેક શરૂ થઈ જશે. રામલલ્લાનો સુર્યાભિષેક તેમના પ્રતિકાત્મક જન્મ બાદ લલાટને સુર્ય કિરણોથી પ્રકાશીત કરીને કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ડો.અનિલ મિશ્રે જણાવ્યું હતું કે, 19 એપ્રિલ બાદથી દર્શનની નવી વ્યવસ્થા લાગુ કરાશે. 7 લાઈનોમાં દર્શન માટે જે સ્ટીલની બેરીકેડીંગ કરવામાં આવી છે તેમાંથી માત્ર 2 ટ્રેકથી જ સામાન્ય દર્શન કરવામાં આવશે.
બાકી પાંચ લાઈનોમાં વિભિન્ન કેટેગરીના શ્રદ્ધાળુઓ માટે પાસ જાહેર કરવામાં આવશે જેનું ઓનલાઈન બુકીંગ કરવામાં આવશે. ડીએમ નીતીશકુમારે જણાવ્યું હતું કે ગરમીથી બચાવ માટે સંબંધીત બધા વિભાગોમાં અધિકારીઓને લોકોને ગરમીથી બચાવવા જરૂરી નિર્દેશ કરાયા છે. વીજ પુરવઠો અને સાફ સફાઈને લઈને જરૂરી નિર્દેશ અપાયા છે.
રામ મંદિરમાં રામનવમીએ યોજાનાર બધા કાર્યક્રમોનું લાઈવ પ્રસાર પુરા શહેરમાં થશે. રામલલ્લાનાં લલાટ પર સુર્યકિરણ 12.16 મીનીટથી લગભગ 5 મીનીટ સુધી પડશે.રામનવમીએ 19 કલાક સુધી દર્શન થઈ શકશે.