ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગત તા. 27-10-2024ના રોજ રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સંજયભાઈ ગુડુભાઈ મોહનીયાએ આરોપી ટ્રેક્ટર લોડરના ચાલક વિશાલ કાંતીભાઈ જાદવ તથા નરેશભાઈ નારણભાઈ ચૌહાણ વિરુદ્ધ લોડર વડે કપચી ખસેડી દિવાલને ધક્કો મારતા દિવાલ પડી જતાં ફરિયાદીના પત્ની તથા પુત્રનું મોત નિપજાવવાના આરોપવાળી બી.એન.એસ. કલમ 105, 54 મુજબની ફરિયાદ નોંધાવેલી હતી.
- Advertisement -
ફરિયાદી સંજયભાઈ ગુડુભાઈ મોહનીયા દ્વારા આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદની હકીકતો મુજબ ફરિયાદી સંજયભાઈ, તેના પત્ની તથા પુત્ર સાથે મધ્યપ્રદેશથી ગુજરાત મજુરી કામ માટે આવેલા હતા અને રામનાથ ઈન્ડસ્ટ્રીઝ બાજુમાં સુરભી ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં નવા કારખાનાનું બાંધકામ ચાલુ હતુ તે બાંધકામ આરોપી નરેશભાઈ ચૌહાણે કોન્ટ્રાકટ ઉપર રાખેલું હતું ત્યાં ફરિયાદી સંજયભાઈના પત્ની મરણ જનાર સીમાબેન કામ કરતા હતા અને નરેશભાઈની બીજી સાઈડ શાપરમાં આવેલી છે ત્યાં ફરિયાદી સંજયભાઈ કડીયા કામ કરતા હતા.
વધુમાં ફરિયાદી સંજયભાઈએ પોતાની ફરિયાદમાં જણાવે છે કે જ્યારે ફરિયાદી પોતે શાપર કડીયાકામે ગયા હતા ત્યારે તેના માસીયાઈ ભાઈ નાથુભાઈનો ફોન આવેલો કે દીવાલ પડી જતા તેના ઘરનાને વાગ્યુ છે જેથી ફરિયાદી સંજયભાઈ બનાવવાળી જગ્યાએ પહોંચ્યા ત્યારે તેને જાણવા મળેલું કે તેની પત્ની ગુજરનાર સીમાબેન તેના એક વર્ષના પુત્ર સાર્થકને દિવાલના ટેકે પેટ ભરાવતા હતા ત્યારે આરોપી લોડર ડ્રાઈવર વિશાલભાઈ જાણતા હોવા છતાં કે ગુજરનાર સીમાબેન તેના પુત્રને પેટ ભરાવે છે તેમ છતાં લોડર વડે કપચી ખસેડતી વખતે દિવાલને ધક્કો મારી દીધો જેના પરિણામ સ્વરૂપે ફરિયાદીની પત્ની સીમાબેન તથા પુત્ર સાર્થક ઉપર દિવાલ પડતાં ઘટના સ્થળે જ બંનેના મોત નીપજેલું છે તેમજ બાંધકામના વહીવટ કરતાં નરેશભાઈ ચૌહાણે બનાવના સ્થળે કોઈ પણ જાતના સુરક્ષાના સાધનો, હેલમેટ વગેરે ઉપલબ્ધ રાખવાના હોય તેમ છતાં ઉપરોક્ત સુરક્ષાના સાધનો ન રાખતા આરોપી નરેશભાઈની બેદરકારીના કારણે બનાવ બનેલ છે તેવી હકીકત ફરિયાદી સંજયભાઈ પોતાની ફરિયાદમાં જણાવેલ હતી. ઉપરોક્ત ફરિયાદના કામે આરોપી નરેશભાઈ નારણભાઈ ચૌહાણની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી હતી અને ત્યાર બાદ તપાસ કરનાર અમલદાર દ્વારા તપાસ પૂર્ણ થઈ જતાં આરોપીઓ વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવેલું હતું, જેથી આરોપી નરેશભાઈએ તેમના તરફે રોકાયેલ એડવોકેટ અંશ ભારદ્વાજ મારફત નામદાર સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ બાદ જામીન પર છુટવા માટે જામીન અરજી કરેલી હતી.
આરોપી નરેશભાઈના બચાવ પક્ષે રોકાયેલ વકીલે દલીલ કરતાં જણાવેલું હતું કે આરોપી નરેશભાઈ નારણભાઈ ચૌહાણ કહેવાતા ગુના વિશે કશું જાણતા નથી કે કહેવાતો ગુનો કરેલ નથી તથા બનાવ સુરભી ઈન્ડસ્ટ્રીઝના નવા કારખાનાના બાંધકામનો કોન્ટ્રાકટ હતો ત્યાં બન્યો હતો જે હકીકત મુજબ આરોપી નરેશભાઈ બનાવ સમયે હાજર પણ ન હતા. આરોપી નરેશભાઈ ચૌહાણને બનાવમાં કોઈ ગુનાહીત મનુષ્યવધ થશે તેવી કોઈ જ જાણકારી ન હતી. ઉપરોક્ત દલીલના આધારે બચાવ પક્ષના વકીલે જામીન અરજી મંજૂર કરવા નામદાર કોર્ટને વિનંતી કરેલી હતી.
આમ બંને પક્ષોની વિગતવારની દલીલો સાંભળ્યા બાદ તેમજ બનાવ પક્ષ દ્વારા કરવામાં આવેલ દલીલ તથા રજૂ કરવામાં આવેલી વડી અદાલતોના વિવિધ ચૂકાદાઓને માન્ય રાખીને રાજકોટના નામદાર એડિશનલ સેશન્સ જજ એમ. જે. બ્રહ્મભટ્ટની કોર્ટે આરોપી નરેશભાઈ નારણભાઈ ચૌહાણને શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલો હતો.આ કામના આરોપી નરેશભાઈ નારણભાઈ ચૌહાણ તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સના અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુક્લ, ચેતન પુરોહીત, કૃણાલ દવે, દિશા ફળદુ, મિહિર શુક્લ વિગેરે રોકાયેલા હતા.