વિમાનો દાવો નામંજૂર થઇ શકે છે : ગ્રાહક અદાલતનો ચૂકાદો
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જીવન વિમા પોલીસી-મેડીક્લેઇમ લેતી વખતે બિમારીની સાથોસાથ શરાબ જેવા વ્યસનની માહિતી આપવાનું પણ ફરજીયાત છે અન્યથા વિમા કંપની દાવા નામંજૂર કરી શકે છે. જીવન વિમો લેનાર એક વ્યક્તિએ જૂની બિમારી અને શરાબ પીવાની આદત છૂપાવી હતી જેનો એલઆઈસીએ દાવો નામંજૂર કર્યો હતો અને ગ્રાહક પંચ દ્વારા પણ વિમા કંપનીને કાર્યવાહીને યોગ્ય ઠરાવવામાં આવી છે.
દિલ્હી ગ્રાહક પંચની બે સભ્યોની બેંચ દ્વારા અપાયેલા ચુકાદામાં એમ જણાવાયું છે કે, વિમો લેનાર વ્યક્તિ શરાબનું વ્યસન ધરાવતો હતો અને કેટલીક જૂની બિમારીઓ પણ હતી પરંતુ તેને વિમો લેતી વખતે આ માહિતી છુપાવી હતી. એલઆઈસીએ કાનૂની કેસમાં એવી દલીલ રજૂ કરી હતી કે વિમો મેળવનાર વ્યક્તિએ બદઇરાદાપૂર્વક માહિતી છુપાવી હોવાથી તેને વિમાનો લાભ ન મળી શકે. ગ્રાહક અદાલતે પણ આ દલીલનો સ્વીકાર કરીને વિમેદારના પરિવારને વિમાના લાભ આપવાની માંગણી ઠુકરાવી દીધી હતી.
આ કેસમાં ફરિયાદી અંજુ ગુપ્તાના પતિએ ડીસેમ્બર-2009 અને વર્ષ-2011માં 5-5 લાખના વિમા ઉતરાવ્યા હતા. નવેમ્બર-2012માં ફરિયાદી મહિલાના પતિને પેટની બિમારી સબબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેને કિડનીની બિમારી હોવાનું પણ જાહેર થયું હતું. આ બિમારીઓ વિમા લેતી વખતે છુપાવવામાં આવી હતી.
- Advertisement -
આ વ્યક્તિનું મોત થયા બાદ વિમા માટે દાવો પેશ થયો હતો પરંતુ જૂની બિમારીની માહિતી છુપાવવામાં આવી હોવાથી એલઆઈસીએ દાવો નામંજૂર કર્યો હતો અને સમગ્ર પ્રકરણ ગ્રાહક અદાલતમાં પહોંચ્યું હતું. ગ્રાહક અદાલતે પણ આ અરજી ફગાવી દીધી હતી.



