બંને દુશ્મનોના અભ્યાસ પર ભારતની બાજ નજર
ખાસ-ખબર સંવાદદાતા
ખંધા ચીને એક તરફ જી-20 બેઠક પહેલા પોતાનો વિવાદિત નકશો જાહેર કરીને લદ્દાખ અને અરુણાચલને પોતાના વિસ્તાર ગણાવ્યા છે. બીજી તરફ ચીન અને પાકિસ્તાનની વાયુસેનાએ ભારતને ટાર્ગેટ કરીને યુધ્ધાભ્યાસ શરૂૂ કર્યો છે. ભારતના બંને દુશ્ર્મનોના અભ્યાસ પર ભારત બાજ નજર રાખીને બેઠુ છે. કારણકે બંનેમાંથી એક પણ દેશનો ભારત ભરોસો કરી શકે તેમ નથી.
- Advertisement -
ચીન અને પાકિસ્તાનની વાયુસેનાની કવાયતને શાહીન 10 નામ આપવામાં આવ્યુ છે. જેમાં બંને દેશોની સેનાઓ સંયુક્ત રીતે હવાઈ સીમાડાઓની રક્ષા, સંયુક્ત રીતે જવાબી કાર્યવાહી તથા સંયુક્ત રીતે દુશ્ર્મન સરહદ પર કબ્જો કરવાની પ્રેક્ટિસ કરી રહી છે. બંને દેશોની સંયુક્ત હવાઈ કવાયતનો ઉદ્દેશ ભારતની વાયુસેના સામે કેવી રીતે લડી શકાય તે સિવાય બીજો કોઈ હોવાનુ માનવાને કારણ નથી. ચીનના સંરક્ષણ મંત્રાલયના કહેવા પ્રમાણે બંને દેશની વાયુસેનાઓ ફાઈટર જેટસ, અર્લી વોર્નિંગ એરક્રાફ્ટ અને બીજા અલગ અલગ પ્રકારના વિમાનોનો આ કવાયતમાં ઉપયોગ કરી રહી છે. સાથે સાથે જમીનથી હવામાં માર કરનારી મિસાઈલ, જમીન પરના રડારની ક્ષમતાની પણ ચકાસણી કરવામાં આવશે. બંને દેશોએ આ પહેલા 2011માં સંયુક્ત હવાઈ અભ્યાસ કર્યો હતો. ભારતની સરહદને અડીને બંને દેશોની વાયુસેનાઓ ફરી એક વખત સાથે યુધ્ધ કવાયત કરી રહી છે.