ઈઝરાયેલ-હમાસના યુદ્ધ વચ્ચે શરીફનો નવો વિવાદ: નેશનલ એસેમ્બલીમાં કાશ્મીર-પેલેસ્ટાઈનને મુક્ત કરાવવાનો ઠરાવ પસાર કરાવવા શરીફની હાકલ: ભારત સાથે સંબંધો સુધારવાનો દાવો કરતાં શરીફે દિલ્હી દૂતાવાસમાં સીડીએ વારાઈચની નિમણૂક કરી
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનમાં કેન્દ્રીય ચૂંટણી થયાના લગભગ એક મહિને આખરે વડાપ્રધાનનું નામ નિશ્ચિત થતાં પડોશી દેશમાં રાજકીય અસમંજસનો અંત આવ્યો છે. પીએમએલ-એનના નેતા શાહબાઝ શરિફ સતત બીજી વખત વડાપ્રધાનપદે રવિવારે ચૂંટાઈ આવ્યા છે. જોકે, પીએમપદે ચૂંટાવાની સાથે જ ભારત વિરોધી નિવેદન કરવાની પરંપરા જાળવી રાખતા શાહબાઝ શરીફે ફરી એક વખત કાશ્મીર રાગ આલાપ્યો છે. વડાપ્રધાન તરીકે સૌપ્રથમ સંબોધનમાં જ શાહબાઝ શરીફે કાશ્મીરની સરખામણી પેલેસ્ટાઈન સાથે કરી હતી. તેમણે ભારત સાથે સંબંધો સુધારવાના દાવા વચ્ચે પડોશી દેશ સાથેના સંબંધો વધુ તળીયે જવાના સંકેત આપ્યા છે.
નેશનલ એસેમ્બલીની ચૂંટણી પછી શાહબાઝ શરીફે કહ્યું કે, પાકિસ્તાન કોઈ પક્ષનો ભાગીદાર નહીં બને અને તેમની સરકાર પડોશીઓ સહિત શક્ય તેટલા મિત્રો વધારશે. અમે ગુણવત્તાના ધોરણે પડોશીઓ સાથે સંબંધો જાળવી રાખીશું. જોકે, પાકિસ્તાનમાં ટોચના પદો પર નિયુક્તિ સાથે જ કાશ્મીર મુદ્દો ઉઠાવવાની પરંપરા ચાલુ રાખતા શાહબાઝ શરીફે કહ્યું કે, કાશ્મીર મુદ્દો મધ્ય-પૂર્વના પેલેસ્ટાઈન જેવો જ છે. આપણે કાશ્મીર અને પેલેસ્ટાઈનની મુક્તિ માટે એક સાથે આવવું જોઈએ. આપણે નેશનલ એસેમ્બલીમાં કાશ્મીર અને પેલેસ્ટાઈનની મુક્તિ માટે એક ઠરાવ પસાર કરવો જોઈએ. તેમને ગૃહના નેતા બનાવવામાં અને તેમનામાં વિશ્વાસ જાળવી રાખવા બદલ સંયુક્ત સરકારના પક્ષોનો આભાર માન્યો હતો.
પાકિસ્તાનને વિકાસના જૂના માર્ગ પર લાવવાની ખાતરી આપતા શાહબાઝે ’નવાઝ કા વિઝન, શાહબાઝ કા મિશન’ સૂત્ર આપ્યું હતું. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા પછી ભારત-પાકિસ્તાનના સંબંધો અભેરાઈએ ચઢી ગયા હતા. બંને દેશની રાજધાનીઓમાં તેમના રાજદૂતો નથી. જોકે, કાશ્મીર મુદ્દો ઉઠાવવાની સાથે પાકિસ્તાને ભારત સાથે સંબંધો સુધારવા માટે વડાપ્રધાનપદે ચૂંટાવાની સાથે જ બે મોટા પગલાં ભર્યા છે. પાકિસ્તાન ધીમે ધીમે ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જેના ભાગરૂપે 5 ઑગસ્ટ 2019માં દિલ્હીમાંથી તેના દૂતાવાસોને પાકિસ્તાને પાછા બોલવી લીધા હતા. જોકે, હવે શાહબાઝે સાદ અહમદ વારાઈચને ત્રણ વર્ષના કાર્યકાળ માટે નવી દિલ્હીમાં તેના દૂતાવાસમાં નવા ચાર્જ ડી અફેર્સ તરીકે મોકલ્યા છે.
- Advertisement -
શરીફ સામે દેખાવો, 100થી વધુની ધરપકડ
પાકિસ્તાનની ચૂંટણીમાં કથિત ધાંધલીના વિરોધમાં રેલી કરી રહેલા જેલમાં કેદ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના પક્ષના 100થી વધુ સમર્થકોની ધરપકડ કરાઈ છે. પોલીસે રવિવારે કહ્યું કે, પીટીઆઈના સંસ્થાપક ઈમરાન ખાનની હાકલ પર પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના કાર્યકરોએ 8 ફેબુ્રઆરીએ યોજાયેલી સેન્ટ્રલ એસેમ્બલીની ચૂંટણીમાં ગોટાળા કરાયાનો આક્ષેપ કરાયો હતો. ચૂંટણી ગોટાળાના વિરોધમાં પીટીઆઈએ શનિવારે આખા પાકિસ્તાનમાં દેખાવો કર્યા હતા. જોકે, પોલીસે મોટાભાગે લાહોરમાંથી પીટીઆઈના કાર્યકરોની ધરપકડ કરી હતી.