દિવાળી અને બેસતા વર્ષના તહેવારોમાં લોકોને સસ્તી દાળ અને ડૂંગળી આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ઉપભોક્તા અને ખાદ્ય બાબતોના મંત્રાલયે રાજ્યોને સસ્તા ભાવે દાળ વેચવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયે કહ્યું કે દાળના ભાવમાં 8 રુપિયા ઘટાડાનો નિર્ણય કરાયો છે. ઉપભોક્તા મંત્રાલયે ગુરુવારે કહ્યું કે દિવાળી પર ખાદ્ય ચીજોના ભાવને નિયંત્રણમાં રાખવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારે મોટું પગલું ભરતાં રાજ્યોને ખૂબ જ ઓછા ભાવે કઠોળ આપવાની જાહેરાત કરી છે. મંત્રાલયે કહ્યું કે કેન્દ્ર સરકારે દાળના ભાવમાં 8 રૂપિયાનો ઘટાડો કર્યો છે અને આ ભાવે રાજ્યોને દાળ પૂરી પાડી રહી છે, જેથી ગ્રાહકો સુધી સસ્તું અનાજ પહોંચાડી શકાય.
ડૂંગળીના ભાવ કાબુમાં રાખવા માટે પગલાં લેવાશે
આ ઉપરાંત સરકાર ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા માટે પણ પગલાં ભરી રહી છે. ગ્રાહક મંત્રાલયના જણાવ્યા અનુસાર સરકાર એ વાતનું ધ્યાન રાખશે કે તહેવારોમાં લોકોને સસ્તી ડૂંગળી મળી રહે.
- Advertisement -
સરકાર પાસે હાલમાં કઠોળનો 43 ટન સ્ટોક
સરકાર પાસે હાલમાં કઠોળનો લગભગ 43 ટન સ્ટોક છે. કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં રાજ્યોને 88,000 ટન દાળ પૂરી પાડી છે. સરકારનું માનવું છે કે દિવાળી પર ભાવ નહીં વધે. અગાઉ સરકારે ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે કઠોળના લઘુતમ ટેકાના ભાવમાં પણ વધારો કર્યો હતો. આ અંતર્ગત મસૂર દાળની એમએસપીમાં 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી દાળની એમએસપી 5,500 રૂપિયા વધીને 6000 રૂપિયા થઈ ગઈ છે.
દર વર્ષે 3.5 લાખ ટન કઠોળની આયાત
ભારત હાલમાં તેની ગ્રાહકની જરૂરિયાતોને પહોંચી વળવા કઠોળની આયાત કરે છે. ગ્રાહક મંત્રાલયના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2022થી 2026 સુધી દેશમાં દર વર્ષે 2.5 લાખ ટન અડદ અને 1 લાખ ટન તુવેર દાળની આયાત થશે. આ કન્સાઇન્મેન્ટ મ્યાનમારથી આવશે. આ ઉપરાંત આગામી પાંચ વર્ષમાં 50 હજાર ટન તુવેરદાળની પણ દક્ષિણ-પૂર્વ આફ્રિકન દેશ મલાવીથી આયાત કરવામાં આવશે અને મોઝામ્બિકથી સરકાર 2026 સુધીમાં ખાનગી વેપાર દ્વારા 2 લાખ ટન તુવેરદાળની આયાત કરશે.