સિંચાઈ અધિકારી બીજાના કહેવાથી પાણી ધીમું છોડતા હોવાનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના આમરણ ગામના ખેડૂતોએ સિંચાઈ પ્રશ્ને મોરબીની સિંચાઈ કચેરીમાં મોરચો માંડ્યો હતો અને ખેડૂતોએ કોઈના ઈશારે પાણી ધીમું છોડતા હોય, અધિકારીઓને સરકારી નોકરી છોડી રાજકારણમાં જોડાઈ જવાનું કહી તમારાથી કામ ન થતું હોય તો બંગડી પહેરી લો તેવા ઉગ્ર આક્રોશ સાથે ઉઘડો લીધો હતો જોકે જ્યાં સુધી સિંચાઈનું પૂરતા પ્રમાણમાં પાણી ન મળે ત્યાં સુધી ધરણાં કરવાનો ખેડૂતોએ નિર્ધાર કર્યો હતો. આમરણ ગામના ખેડૂતોએ સિંચાઈ અધિકારી સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે, આમરણ ગામના ખેડૂતોને ડેમી 3 માંથી સિંચાઈ માટે પાણી આપવાની માંગ હતી. આ સિંચાઈના પાણી માટે ખેડૂતોએ પૈસા પણ ભરી દીધા હતા તેમ છતાં મંગળવારે સિંચાઈ માટે એકદમ ધીમી ધારે પાણી છોડાતા ખેડૂતો રોષે ભરાયા હતા. આથી ખેડૂતોએ પૂરતા ફોર્સથી પાણી છોડવામાં આવે તો જ છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચી શકે તેવી માંગ ઉઠાવી હતી પરંતુ ધીમી ધારે પાણી છોડાતું હોય અને કોયલી ગામના કહેવાથી આ ધીમી ધારે પાણી અપાતું હોવાનો આક્ષેપ કર્યો હતો. આમરણ ગામના 500 જેટલા ખેડૂતોએ સિંચાઈના પાણી માટે રૂ. 1.32 લાખ ભર્યા હોવા છતાં પૂરતું પાણી ન મળતા ખેડૂતોએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.
મોરબીની સિંચાઈ કચેરીમાં પાણી પ્રશ્ને આમરણ પંથકના ખેડૂતોનો મોરચો, રામધૂન બોલાવી
