કોળી સમાજની માંગ સ્વીકારાશે નહીં તો ગાંધીનગર ખાતે આંદોલન થશે
જે.બી. કરમુર વિરૂદ્ધ વિવિધ જિલ્લા કલેક્ટર-મામલતદારને આવેદનપત્ર અપાયા
- Advertisement -
કોળી સમાજને દલાલ કહેનારા પી.આઈ. જે.બી. કરમુર વિરુદ્ધ કેએસજી સંગઠનનાં સૌરાષ્ટ્ર પ્રમુખ દર્શન છનુરાની આગેવાનીમાં કોળી સમાજના વિવિધ સંગઠનો કેએસજી સંગઠન, કોળી સેના, માંધાતા સંગઠન વગેરે દ્વારા જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, વગેરે જીલ્લા કલેકટર તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને પી.આઈ. જે.બી. કરમુરને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે એવી ચિમકીઓ પણ આપવામાં આવી છે. કોળી સમાજનું અપમાન કરનારા જે.બી. કરમુરની માત્ર બદલીથી કોળી સમાજે અસંતોષ વ્યક્ત કર્યો છે અને જે.બી. કરમુરે કોળીઓને દલાલ કહ્યા બાદ કોળી સમાજમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાય છે. જ્યાં સુધી જે.બી. કરમુરને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોળી સમાજમાં ઉકળતો ચરુ શાંત નહીં પડે તેવું લાગી રહ્યું છે.
શું છે સમગ્ર મામલો?
કોળી સમાજના આગેવાન ચંદુભાઈ મકવાણા એક સામાજિક રજૂઆત બાબતે જેતપુર સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં કોળી સમાજના આગેવાનનું પી.આઈ. જે. બી. કરમુરે અપમાન કર્યું હતું જે અંગે કોળી સમાજમાં રોષ ફેલાયો હતો. પી.આઈ. જે.બી. કરમુરે એવું કહ્યું હતું કે, તમે બધા દલાલનું કામ કરો છો. કોળીઓ દલાલ છે. આમ, કોળી સમાજને દલાલ કહેવા બદલ પી.આઈ. જે.બી. કરમુર વિરુદ્ધ સમગ્ર કોળી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને જે.બી. કરમુરને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. જોકે ગૃહ વિભાગ અને પોલીસ વિભાગે માત્ર જે.બી. કરમુરની બદલી કરી સંતોષ માની લીધો છે. બીજી તરફ કોળી સમાજ જે.બી. કરમુરને સસ્પેન્ડ કરવાની માંગ પર અડીખમ છે.
CIDમાં ટ્રાન્સફરનો ઓર્ડર કેન્સલ કરાવવા P.I. કરમુરનાં ધમપછાડા
જેતપુરનાં વિવાદાસ્પદ P.I. જે. બી. કરમુરની CIDમાં બદલી થઈ હોવા છતાં હજુ તેઓ ત્યાં હાજર થયાં નથી. એમને ખ્યાલ છે કે, CIDનાં વડા સુભાષ ત્રિવેદીના હાથ નીચે કામ કરવું આસાન નથી. ત્યાં તેમની કોઈપણ ફિશિયારી પણ ચાલે તેમ નથી. એટલે જ તેઓ પોતાની બદલી રોકાવવા ધમપછાડા કરી રહ્યા હોવાની વાત બહાર આવી છે.
- Advertisement -
પોતાના જ વિદાય સમારોહમાં હાજર ન રહ્યા જે.બી. કરમુર
જેતપુર સિટી પોલીસમાંથી બે જેટલા પોલીસમેનની બદલી કરાઈ છે. આ બંને પોલીસમેનને વિદાય આપવા માટે એક વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અફવા છે કે, આ વિદાય સમારોહમાં હાજર રહેવાનું જે.બી. કરમુરે ટાળ્યું હતું. કોળી સમાજને દલાલ કહ્યા બાદ જે.બી. કરમુર હવે જાહેર જગ્યાઓ અને મેળાવડાઓમાં આવવાનું ટાળી રહ્યા છે અને પોતાના વિદાય સમારોહમાં પણ હાજર રહ્યા ન હતા. જેતપુર પોલીસ બેડામાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, જે.બી. કરમુર ડિપ્રેશનનો શિકાર બની ગયા છે અને વધુ લોકો સામે આવતાં ગભરાઈ રહ્યા છે.